Skip to content

ગાંડી ગેલ ગાત્રાળ મા નો ઇતિહાસ અને પરચા ભાગ 2

ગાંડી ગેલ ગાત્રાળ મા નો ઇતિહાસ
6551 Views

આજે વાંચો ગાંડી ગેલ ગાત્રાળ મા એ બહારવટીયા મુળુ માણેકને કરેલી સહાય. લેખક – વિજય વ્યાસ (વધાવી) જો ગાંડી ગેલ ગાત્રાળ મા (આ લેખનો) ભાગ 1 વાંચવાનો બાકી હોય તો અંતમા લિંક આપેલી છે.

ગાંડી ગેલ ગાત્રાળ મા નો ઇતિહાસ અને પરચા

🙏🔱જય હો મા ગાંડી ગેલ ગાત્રાળનો🔱🙏

હવે પછીના ઈતિહાસમા અંગ્રેજ સરકાર સામે બહારવટે ચડેલ મુળુ માણેક (વાઢેર)ના લોકવાયકા મુજબ બે ઈતિહાસ મળે છે એમાંથી જે ઈતિહાસની મને માહીતી છે તે રજુ કરુ છુ.

મુળુ માણેક ઓખાની અંદર ગોરી સરકાર સામે બહારવટુ ખેલે છે, અંગ્રેજ સરકારને મુળુએ નાકે દમ લાવી લીધો છે તેને જીવતો કે મરેલો પકડનારને અથવા તેના ઠેકાણાની જાણ આપનારને મોટા ઈનામનની જાહેરાત કરે છે,

મુળુ માણેક “જગદંબાનો” ભક્ત હોય છે માતાજીના ભરોસે જ એનુ બહારવટિરયુ ચાલે છે તે ક્યારેય ગરીબ પ્રજાને હેરાન કરતો નથી એ સંકટ સમયે હરહંમેશા પ્રજાની પડખે ઊભો રહે છે અને ગરીબોનો બેલી છે, તે ભેખડની કોતરમા રહે છે તેના ઠેકાણાની જાણ એના સાથીઓ સિવાય કોઈ ને હોતી નથી, એના ગુપ્તચર આેખાની આસપાસ છુપાવેશે બધી જાણકારી મેળવી મુળુને આપે છે,

ઓખાની પ્રજાએ મુળુને ઓખાનો કિંમતી “માણેક”ની ઉપમા આપી છે,બધા તેને મુળુ માણેક કહીને જ બોલાવે છે,

રાજા ભૈરવસિહ ઇનામની લાલચે અંગ્રેજ સરકારનો બાતમીદાર બની મુળુની માહિતી આપતો રહે છે,
“મૂળુ માણેક” ભૈરવસિંહની આંખમા કણાની જેમ ખૂંચે છે,

આ બધી ઘટનાની વચ્ચે દિલ્હીના બાદશાહની નજર “ઓખા” પર પડે છે, ઓખા કબ્જે કરવાના અરમાન સાથે માહિતી મેળવવા તેના સિપાહીઓને ઓખા મોકલે છે,
થોડા દિવસો પછી સિપાહીઓ દિલ્લીના બાદશાહ કલંદરના દરબારમાં આવી ઓખાની સમગ્ર માહીતીથી વાકેફ કરે છે કે ઓખા કબજે કરવા માટે મુળુ માણેકને રસ્તામાથી હટાવવો પડે તો જ ઓખા આપણા હાથમા આવે,

બાદશાહ સિપાહીઓને પુછે છે કે આ મુળુ માણેક કોણ છે અને તે શુ કરે છે, સિપાહીઓ જણાવે છે મુળુ માણેક ગોરી સરકાર સામે બહારવટુ ખેલે છે અને ખરાબ સમયે પ્રજાની સાથે ઉભો રહે છે,પચ્ચીસ બહાદુર અને નીડર યુવાનોની ટુકડી સાથે ગમે તેવડી ફૌજ પર હુમલો કરતા અચકાંતો નથી, તે ક્યારેય મોતની પરવા કરતો નથી…

બાદશાહ કલંદર તેના ખાસ ચતુર અને કપટી સુબા સેજકને કહે છે તમારી બુધ્ધિ મુજબ ઓખા કબજે કરી તેના પર રાજ કરો.

સેજક સિપાહીઓને હુકમ કરે છે ઓખા પર છુપાવેશે ચાંપતી નજર રાખો અને કાયમની સચોટ માહિતી મને પહોંચાડો.

એક દિવસ ભૈરવસિહની માહિતીના આધારે અંગ્રેજોની બટાલીયન મુળુ માણેક પર અચાનક હુમલો કરે છે છતાય મુળુ પોતાની ટોળકી સાથે ભાગવામા સફળ થાય છે પણ આેખાથી ઘણા દુર નિકળી જાય છે.

સેજક મોકાનો ફાયદો ઉઠાવી મુળુની ગેરહાજરીમા યુક્તિપૂર્વક દગાથી હુમલો કરી ઓખા પોતાના કબજે કરે છે અને પ્રજા પર રોફ જમાવવા હેરાન કરવાનુ ચાલુ કરે છે.

થોડા દિવસો પછી મુળુ માણેક ઓખાના ભોંયરામાં નવા ઠેકાણે ધાંમા નાખે છે અને તેના સાથીદારને ઓખાના સમાચાર જાણવા મોકલે છે, સાથીદાર છુપાવેશે બધી જાણકારી મેળવી મુળુને આપે છે.

મુળુ માણેક અત્યંત દુખી થઈ જાય છે તેના સાથીઓ કહે છે સરદાર તમે આટલા બધા કેમ મુંઝાયા છો જે થાશે તે જોયુ જાશે આપણી ખાસિયત મુજબ “જેવી પડશે એવી દઈ દેશુ” આપણે ક્યાં મોતથી કાઈ નિસ્બત છે !

મુળુ માણેક સાથીદારોને કહે છે આ મુળવો મોતને તો મુઠ્ઠીમા લઇ ફરે છે મોત કાલે આવતુ હોય તો આજે આવી જાય પણ આ દિલ્હીના બાદશાહ કલંદરે મોકાનો ફાયદો ઉઠાવીને તેના કપટી સુબા સેજકને ઓખાનો બાદશાહ બનાવી બહુજ અઘરી ચાલ ચાલી છે…હવે તો મારી “મા” કરે તે ખરૂ!

મુળુ માણેક જગદંબાને પ્રાથના કરે છે, હે “મા” હુ તારા વિશ્વાસે ધર્મના ધિંગાણા ખેલુ છે, આ દુનીયામા તારા સિવાય અન્ય કોઈ થી ડરતો નથી પણ અત્યારે એવા સંજોગો ઊભા થયા છે કે સેજક બાદશાહે ઓખામા ડેરો જમાવી પ્રજા પર જુલમ ગુજારવાનુ ચાલુ કરી દિધુ છે જે મારાથી જોવાતુ નથી અને એનો સામનો કરી શકે એવડી ફૌજ પણ મારી પાસે નથી, એની દરિયા જેવડી ફૌજની સામે અમે પચ્ચીસ જણા કેટલા સમય સુધી ટક્કર આપી શકી, ભગવતી હવે તો તુ જ કઈક રસ્તો બતાવ.

“ઓખાના મંડાણની ગાંડી” આકાશમાંથી મુળુ માણેક સામે પ્રગટ થાય છે અને કહે છે કે હે….. મુળવા મૂંઝાઈ શુ ગયો છો, હુ તારી સાથે હોવ પછી મુંઝાવાનુ શુ હોય.

માતાજીને જોઈને ગદગદીત થઈ દંડવત પ્રણામ કરી રડવા લાગે છે “મા” તમે દર્શન આપી મારો જન્મારો સુધારી દિધો હવે મને જીવવાના ઓરતા નથી, પણ આ સેજક બાદશાહનો ત્રાસથી થાકેલી પ્રજાને મારાથી નથી જોવાતી, જો “મા” તુ રજા આપતી હો તો કાલ સવારે મરણિયો થઈ સેજકના સૈન્ય પર હલ્લો બોલાવી દવ,

માતાજી કહે છે “ભુલીજા તારા ભુતકાળ ને એતો
માત્ર પવનની “લહેર “હતી
સંભાળ તારા ભવિષ્ય ને “તોફાન “તો હજી બાકી છે.”

મુળુ માણેક તુ એક કામ કર કાલે ઓખાના ચોકમા શેરડી પીલવાનો ચિચોંડો માંડ એટલે સિપાહીઓ બંધ કરાવવા આવશે, તારે ચોખ્ખી ના પાડી દેવાની અેટલે સિપાહીઓ બાદશાહને જાણ કરશે એટલે બાદશાહ યુધ્ધનો હુકમ કરશે.

તુ યુધ્ધની સંપૂર્ણ તૈયારી કરી ચિચોંડો માંડજે, જેમ ચિચોંડામા શેરડી પિલાઈ તેમ સેજકનુ લોહી પી જાવ ને તો જ હુ ઓખાના મંડાણની ગાંડી દેવી કેવાવ..

બીજા દિવસે વહેલી સવારે મુળુ માણેક પોતાના સાથીદારોને ઓખાના ચોકમા છુપાવેશે ગોઠવી દે છે અને ત્રણ જણા ચિચોંડા પર ગોઠવાઈ જાય છે, સિપાહીઓ નગરમા આંટો મારવા નિકળે છે ત્યારે તેમની નજર ચિંચોંડા પર પડે છે બાજુમા ઉભેલા મુળુ માણેકને જોઈ ડઘાઈ જાય છે, પણ મુળુને હથીયાર વિનાનો જોઈ તેની પાસે જવાની હિંમત કરે છે.

સૈનિકો : મુળુ માણેક ઓખાના ચોકમા શેરડીનો ચિંચોડો કેમ માંડ્યો છે ?

મુળુ : (હસીને) શેરડી પીલવા માટે.

સૈનિકો : આ તારો લબાચો ઉપાડી લે નહીતર મજા બગડી જાહે..

મુળુ : તો આયા કોણ મજા લેવા આયવુ છે..

સૈનિકો : બાદશાહને જાણ થાશે તો જીવવુ વહમુ પડી જાહે..

મુળુ : કહી દો તમારા બાદશાહને જે થાય તે કરી લે અમે તારા બાદશાહ જેવા ડરપોક નથી કે પીઠ પાછળ વાર કરીયે આ મુળુ મોતને મુઠ્ઠીમા લઈને જ કરે છે.

સૈનિકો ગુસ્સે થઈને કહે છે મુળુ માણેક મરવા માટે તૈયાર રહેજે, અમે હમણાંજ આવીએ છીએ.

સૈનિકો જઈને બાદશાહને જાણ કરે છે, બાદશાહ સૈન્ય સહિત ઓખાના ચોકમા આવે છે,

સેજક બાદશાહ : એય…. મુળુ મારી પરવાનગી વગર ઓખામા ચકલુ પણના ફરકે તો તે આ ચિંચોડો માંડવાની ગુસ્તાખી કેમ કરી ?

મુળુ માણેક : અરે… આે સેજક આ આેખા તારા બાપ-દાદાની જાગીર નથી કે તને પુછવુ પડે.

સેજક બાદશાહ : મોઢુ સંભાળીને બોલ, અત્યારે આ ઓખાનો બાદશાહ આ સેજક છે

મુળુ માણેક : ભલેને બાદશાહ તુ રહ્યો પણ ઓખામા હુકમ તો ઓખાના મંડાણની ગાંડી દેવીનો જ હાલે

સેજક બાદશાહ : સિપાહીઓ આ મુળુને તેના ચિંચોડા સહિત દરીયામા નાંખી દો

મુળુ માણેક : (ચિંચોડોની નીચેથી તલવાર બહાર કાઢીને) જેને સહી સલામત ઘેર જાવુ હોય ને એ ચિંચોડાને હાથનો લગાવતા આ મુળુની તલવાર કાઈ શોભાની નથી ઈ વાત યાદ રાખજો

સેજક બાદશાહ સિપાહીઓને યુધ્ધ માટે હુકમ કરે છે, સામે મુળુ માણેક પોતાના સાથીદારોને ઈશારો કરી હુમલો કરવાનું કહે છે,

મુળુ માણેકના સાથીદારો બાદશાહની ફોજ ઉપર ચારે બાજુથી મરણિયો હુમલો કરે છે, સામસામે ધમાસાણ યુદ્ધ થાય છે, અને તેના સાથીદારોની તાકાત જોઈ સેજક બાદશાહની આંખો પહોળી થઈ જાય છે.

એક સાથીદાર દસ સિપાહીઓ પર ભારે પડે છે અને મુળુ તો જેમ શેરડીનો વાઢ હાલતો હોય તેમ તેજ ગતીથી સિપાહીઓના માથા વાઢતો બાદશાહની નજીક પહોંચી જાય છે.

મુળુ માણેક : સેજક, આ મુળુ તલવાર સમણવાનુ ચાલુ કરે ને પછી લાશો ગણવાવાળા થાકી જાય, તે આ મુળુને ઓળખવામાં ભૂલ કરી.

સેજક બાદશાહ : અરે તારા જેવા હજારોને દફનાવીને દિલ્હીથી ઓખા પહોચ્યોં છુ.

મુળુ માણેક : ચડ્યા હશો ટેકરી, ડુંગરા ચડવાને વાર છે, હરાવ્યા હશે કાયરોને, આજે આ મરદ સાથે વેર છે.

મુળુ અને સેજક વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે, બંને અેકબીજા પર ભારે પડી રહ્યા છે, કલાકો સુધી લડાઈ ચાલુ રહે છે પણ કાઈ નિર્ણય આવતો નથી, છેલ્લે સેજક બાદશાહ જીત તરફ આગળ વધે છે, મુળુ માણેકના શરીર ઉપર તલવારના ઘાવ લાગવાથી જખ્મી થઈ જાય છે,
શરીરમાંથી લોહી નીકળી જવાથી તેની હાલત કફોડી થઇ જાય છે,

મુળુ માણેક જગદંબાને યાદ કરે છે હે “મા” આેખાના ચોકમા આજ મારી આબરુના ધજાગરા ઉડે છે તારા કેવા મુજબ હુ બાદશાહ સામે યુદ્ધે ચડ્યો, મારા શરીરમાં લોહીનુ એક ટીપુ હશે ત્યા સુધી હુ પીછેહટ નહી કરુ પણ મારી આબરુ તમારા હાથમા છે,

મુળુ માણેક જગદંબાને પ્રાથના કરતો હોય ત્યા સેજક તેના પર વાર કરવા તલવારનો ઘા કરે……ત્યા તો “અખંડ બ્રહમાંડની ધણીયાણી” તેના ત્રિશુલથી બાદશાહનો ઘા રોકી બાદશાહને હવામા ફંગોળી દે છે, મુળુ માણેક જગદંબાનો જય જય કાર બોલાવે છે,

બાદશાહ વિચાર કરે છે આટલી પ્રચંડ તાકાતથી મને દુર સુધી ફંગોળનાર આ કોણ છે ?

સેજક બાદશાહ : અમારી વચ્ચે પડવાની હિંમત કરનાર તુ છે કોણ????

માતાજી : (અટ્ટહાસ્ય કરીને) સમગ્ર સૃષ્ટિનું સર્જન અને સંહાર કરનાર હુ ઓખાના મંડાણની ગાંડી દેવી છુ,

મુળુ માણેકને આપેલું વચન નિભાવવા તારો કાળ બનીને આવી છુ.

સેજક બાદશાહ : તારા જેવી બહુરૂપીથી આ સેજક કાઈ ડરવાનો નથી

માતાજી : સેજક, આજે ઓખાના ચોકમા જેમ શેરડી પીલાઈને રસ નિકળે તેમ તારુ લોહી પી જાવને તો જ હુ ગાંડી દેવી કેવાવ

“મુળુ અે ચિંચોડો માંડ્યો ને વાઢેર પીલે વાળ,
સેજકની બનાવી શેરડી, જો ને ધબકે લોહીની ધાર”

બંને વચ્ચે વિકરાળ યુધ્ધ થાય છે માતાજીની તલવારના વા’ર થી સેજકનુ માથુ ધડથી અલગ થઈ જાય છે,

મુળુ માણેક અને સાથીદારો માતાજીનો જય જય કાર બોલાવે છે, બધા માતાજીના ચરણોમા દંડવત પ્રણામ કરે છે.

મુળુ માણેક : (જગદંબાના પગે પડીને) હે…મા ભગવતી તે આજે આ મુળુની આબરૂ સાચવી લીધી અને સેજક બાદશાહના ત્રાસમાથી મુક્તિ અપાવી ઓખાને ધન્ય કરી દીધુ.

માતાજી : મુળવા આ ધરતી પર જ્યારે પાપીઓનો ભાર વધે ને ત્યારે તેનો નાશ કરવા અમારે અવતાર લેવો પડે છે

મુળુ માણેક : “મા” હુ તારા વિશ્વાસે જ ધર્મનુ બહારવટિયુ ખેલુ છે,

માતાજી : મને ખબર છે, તારે જ્યારે જરૂર પડે ત્યારે મને યાદ કરજે હુ તારી મદદે દોડી આવીશ આ ગાંડીનુ વચન છે

મુળુ માણેક : ઘણી ખમ્મા “મા”
તમને જાજી વધાયયુ

માતાજી : પણ એક વાત હંમેશા યાદ રાખજે કોઈ પણ અબળાને હેરાન ના કરતો અને પ્રજાને રંજાડતો નહીં અને અધર્મના રસ્તે જાતો નહી, જે દિવસે આમાંથી અેક પણ ભુલ કરી તે દિવસ તારી જીંદગીનો છેલ્લો દિવસ બની જાશે ચાહવા છતા હુ તારી મદદ નહી કરી શકુ.

મુળુ માણેક : જેવી તમારી આજ્ઞા

આટલુ કહી માતાજી અદ્રશ્ય થઈ જાય છે

મુળુ માણેક તેના સાથીદારોમા અભિમાન આવી જાય છે, હવે તો માતાજી આપણી સાથે છે પછી આપણે ક્યાં કોઈથી ડરવાનુ છે.

થોડાક દિવસ આરામ કરી પાટણના રાજા ભૈરવસિહને બરાબર નો પાઠ ભણાવવાનુ વિચારે છે,

મુળુ માણેક અને તેના સાથીદારો ભૈરવસિહના રાજ્ય પાટણમા ધામા નાંખે છે.

પાટણનો વેપારી વણીક વસ્તુની ખરીદી કરવા માટે નિકળે છે.

મુળુ માણેક : સાથીઓ આ પાટણના વાણીયાને લુટી લો, આપણે પાટણની પ્રજાને હેરાન કરશુ તો જ ભૈરવસિહને જાણ થાશે કે આપણે પાટણમા ધામા નાખ્યા છે,

સાથીદારો વાણીયાને લુટી લે છે અને કહે છે કહી દેજે તારા રાજા ભૈરવસિહને કે મુળુ માણેકે મને લુટી લિધો છે પાણીયારો હોય તો સામનો કરવા આવે.

વાણીયો ત્યાથી ચાલ્યો જાય છે,

વાણીયો જઈ ભૈરવસિહને જાણ કરશે માટે મુળુ માણેક તેના સાથીદારોને સાબદા રહેવાનુ કહે છે પણ કલાક સુધી કાઇ હલચલ થતી નથી અેટલે મુળુ કહે છે વાણીયાઅે ભૈરવસિહને જાણ નથી કરી માટે કોઈ બીજાને લુટવુ પડશે.

થોડીકવાર પછી ત્યાંથી એક પનીહારી પાણી ભરવા માટે નિકળે છે, સાથીદાર ઈશારો કરે છે બઘા પનીહારીને ધેરી લે છે અને ગળામા પહેરેલો હાર લુટી લે છે.

પનીહારી : ભાઈ મને જવા દો, મારા સાસુ મને ખીજાશે

સાથીદાર : તને જવા જ દેવી છે..

પનીહારી : મારો હાર આપી દો નહીતર મારા સાસુ મને કાઢી મુકશે.

સાથીદાર : (હસીને) હાર પાછો આપવા થોડા લુટ્યો છે

પનીહારી : (રડતા – રડતા) તમે આ અબળાને લુટીને બોવ મોટી ભુલ કરી છે, મરદ હોયને તે સમોવડિયા સામે બાથ ભીડે, આજથી તમારો દિવસ આથમવા લાગશે આ મારો શ્રાપ છે

સાથીદાર : અરે…. મરદ છીએ એટલે જ પાટણપતી ભૈરવસિંહ સાથે યુદ્ધ કરવા આવ્યા છીએ, કહી દેજે તારા મહારાજાને કે મુળુ માણેકે મને લુટી લિધી છે ત્રેવડ હોય તો આવીને તારો હાર લઇ જાય

પનીહારી ત્યાંથી પોતાના ઘરે જાય છે અને સાસુને વાત કરે છે સાસુ તેને અપશબ્દો કહી માર મારે છે અને રાજમહેલમા જઈ ફરિયાદ કરે છે.

રાજા ભૈરવસિહ ગુસ્સે થઈ સૈનિકોને યુધ્ધ માટે હાકલ કરે છે બધા મુળુ માણેક પાસે જાય છે,

ભૈરવસિહ : મુળુ, મારા રાજ્યમાં આવીને પ્રજાને લૂંટવાની હિંમત કેમ કરી તને ખબર છે ને અહીનો રાજા ભૈરવસિંહ છે.

મુળુ માણેક : એય…. બાયલા તુ પાટણનો રાજા છે ને એટલે જ હુ અહી આવ્યો છુ

ભૈરવસિહ : તુ નથી આવ્યો તારુ મોત તને અહી ખેંચી લાવ્યુ છે

મુળુ માણેક : અરે મોતને તો આ મુળવો મુઠ્ઠીમા લઈને ફરે છે

ભૈરવસિહ : મોતને જે મુઠ્ઠીમા લઈને ફરતો હોયને ઈ કોઈ અબળાને હેરાન ના કરે

મુળુ માણેક : અરે ઈ તો તને જાણ કરવા માટે અબળાને લુટી હતી બાકી રૂપિયા અને ઘરેણાની જરૂર મારે નથી

ભૈરવસિહ : બાયલા હોય ને ઈ જ બાયમાણા સામે હથીયાર ઉપાડે, મારા જેવો ભાયડો તો સામી છાતીએ પડકાર ફેંકે

મુળુ માણેક :(હસીને) તુ અને ભાયડો, અરે બાયલા અંગ્રેજ સરકારની હેંઠ ખાનારા તારી ઈનામની લાલચના લીધે તે જે મારી ભડવાઈ કરી ને એટલે તો મારે આયા ધક્કો થયો છે, તારી રૈયત સાથે મારે કાઈ દુશ્મની નથી

ભૈરવસિહ : હુ તારી લવારી સાંભળવા નથી આવ્યો

મુળુ માણેક : તો મે આ તલવાર કાઈ શાકભાજી સુધારવા નથી રાખી, થા ભાયડો આજ તારી તાકાત પણ માપી લવ

બન્ને વચ્ચે યુદ્ધ થાય છે અેકબીજાને મચક આપતા નથી,
કલાકો સુધી લડાઈ ચાલુ રહે છે પણ કાઈ નિર્ણય આવતો નથી, થોડા સમય પછી યુધ્ધમા ભૈરવસિહનુ પલડુ ભારે રહે છે મુળુ માણેક ગંભીર રીતે ઘાયલ થઈ જાય છે તેના શરીરમાંથી લોહી નીકળી જવાથી તેની હાલત કફોડી થઇ જાય છે મુળુ ઉભો પણ થઈ શકતો નથી મોતને અને મુળુને હાથવેંતનુ જ છેટુ છે.

મુળૂ માણેક “મા ગાંડી” ને યાદ કરે છે પણ “માતાજી” તેની મદદે નથી આવતા મુળુને તેની ભૂલ સમજાઈ જાય છે અને માતાજીને આરાધના કરે છે હે મા મારુ મોત નજીક છે હુ બચાવવા માટે તમને યાદ નથી કરતો મારે મરતા પહેલા તમારા દર્શન કરવા છે

મુળુ માણેકની હ્રદયની આરાધના સાંભળી માતાજી તેના સમક્ષ પ્રગટ થાય છે મુળુ માણેક હાથજોડી પ્રણામ કરી રડવા લાગે છે, માતાજી તેને આશ્વાસન આપતા કહે છે તુ મારા વચન પ્રમાણે ન ચાલ્યો અેનુ આ પરીણામ છે પણ તુ ચિંતા ના કર તારૂ અધુરૂ કામ હુ પુરુ કરીશ
આ ભૈરવસિહને ઠેકાણે પાડી હું હમણા તારી પાસે આવુ છે.

માતાજી, ભૈરવસિહને યુદ્ધ માટે લલકારે છે

ભૈરવસિહ : અમારા વચ્ચે આવનાર તુ કોણ છે, હટી જા મારા રસ્તામાથી નહીતર તારી હાલત પણ આ મુળુ જેવી કરી નાંખીશ

માતાજી : ભૈરવસિંહ જરાક ધીરો રે તને બધુ જ સમજાઇ જાશે, મારી લીલા પ્રમાણે મુળુની આ હાલત થઇ છે બાકી તારા જેવા સત્તરને તો ઈ હાલતો જાય ને ભોંમા ભંડારતો જાય

ભૈરવસિહ : અરે….આના જેવા કેટલાય નમાલાને મોતને ઘાટ ઉતારી દીધા છે, તુ મારા રસ્તામાથી દુર ખસી જા નહીતર આ તલવાર તારી સગી નહી થાય

માતાજી : તો ઉઠાવ તલવાર તારી ઈચ્છા પણ પુરી કરી લે

બંનૈ વચ્ચે યુદ્ધ થાય છે માતાજીના ત્રિશુલના વા’ર થી ભૈરવસિહનુ મૃત્યુ થાય છે.

માતાજી ભૈરવસિહનો વધ કરી મુળુ માણેકનુ માથુ પોતાના ખોળામા લઇ માથા ઉપર હાથ ફેરવી મુળુને છેલ્લી ઈચ્છા પુછે છે.

મુળુ માણેક : (રડતા-રડતા) “મા” તારા ખોળામા માથુ હોય અને જીવ જાય આનાથી વધુ સદભાગ્ય બીજુ શુ હોય, પણ મારી એક ઇચ્છા અધુરી છે.

માતાજી : બોલ મુળવા બોલ તારી કઈ ઈચ્છા અધૂરી છે

મુળુ માણેક : “ગોમતીજીમા” સ્નાન કરવાની ઈચ્છા છે

માતાજી ” કાઈ વાંધો નહી મુળુ હાલ તને દ્વારકા લઈ જાવ અને ગોમતીજીમા સ્નાન કરાવુ.

માતાજી આકાશમાર્ગે મુળુને લઈ દ્વારકા ગોમતીજી ઘાટ પર પહોંચે છે પણ ગોમતીજીમા એક ટીપુ પાણી નથી જાણે કે ગોમતીજી મોઢુ ફેરવી ઘુંઘટો (લાજ)તાણી રિસાણા છે

માતાજીના પાવન પગલા દ્વારકામા પડતા દ્વારકાધીશ ખુશખુશાલ થઇ જાય છે પણ મુળુ માણેકની ગોમતીજીમા સ્નાન કરવાની ઈચ્છા છે અને ગૌમતીજી ઘૂંઘટ તાણી બેઠા છે ત્યારે દ્વારકાના કાળીયો ઠાકરની આંખમાથી આંસુનુ ટીપુ ગૌમતીજીમા પડે છે ત્યાતો ગૌમતીજીમા ભયાનક પૂર આવે છે ગૌમતીજી બે કાંઠે વહેવા લાગે છે ગૌમતીજી દ્વારકાધીશના ચરણોમા દંડવત પ્રણામ કરી ક્ષમા માંગે છે

(નારી રંડાઈ પણ નર ન રંડાઈ
મુળુ મરાતા આજ ઓખો રંડાણો
તે’દી ગોમતીજીએ ઘુંઘટ તાણીયા
તે’દી રોયો તો મારો દ્રારકાનો ઠાકર)

દ્વારકાધીશ અને ગોમતીજીની લીલા જોઈ માતાજી મંદ-મંદ હાસ્ય કરી કાળિયા ઠાકોરને પ્રણામ કરી મુળુને સ્નાન કરાવી ફરી પાછા આેખામા પહોંચે છે

મુળુ માણેક : “તુ ધારે તે સ્થાપે ને પળમા ઉથાપે, સકલ સૃષ્ટિમા અેક તારૂ જ હાલે”
માતાજીના ચરણોમા પ્રણામ કરી મુળુ માણેક આ સૃષ્ટિમાથી વિદાય લે છે

મુળુ માણેકનુ મૃત્યુ થતા ઓખા રંડાઈ છે

મૂળુ માણેકના મૃત્યુ પછી માતાજી અંતરધ્યાન થઈ જાય છે..

વધુ વાંચો : ગાંડી ગેલ ગાત્રાળ મા ભાગ -3 મા

લેખક – વિજય વ્યાસ (વધાવી) – આ લેખના સર્વ કોપીરાઇટ લેખકશ્રીને આધિન હોઇ લેખકના નામ વગર કોપી કરીને ઉપયોગ કરવો નહી 👇 આપ અહીથી share કરી શકો છો.

ખોડિયાર મા નો ઇતિહાસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *