Skip to content

Panchtantra ni Best varta in Gujarati pdf | પંચતંત્રની 75 વાર્તાઓ

Panchtantra ni Best varta in Gujarati pdf
9461 Views

પંચતંત્રની રચના વિષ્ણુ શર્મા નામના પંડીતે રાજાના ત્રણ મુર્ખ રાજકુમારોને યોગ્ય શિક્ષા આપવા માટે કરી હતી, Panchtantra ni Varta pdf, પંચતંત્ર ગુજરાતી વાર્તા, પંચતંત્ર ગુજરાતી વાર્તા pdf, પંચતંત્રની 75 વાર્તાઓ pdf, મિત્રભેદ, હિતોપદેશની વાર્તાઓ pdf, ત્રણ માછલી ની વાર્તા, પ્રેરણાદાયી ટૂંકી વાર્તા pdf, ત્રણ મિત્રોની વાર્તા, જાદુઈ વાર્તા pdf, Panchtantra ni varta in Gujarati pdf, પંચતંત્રની 75 વાર્તાઓ pdf download, Panchtantra ni Varta pdf, મહેનત વાર્તા, જાદુઈ વાર્તાઓ, બોધદાયક વાર્તા, બોધ વાર્તા ગુજરાતી, રાક્ષસની વાર્તા,

Panchtantra (પંચતંત્રની વાર્તાઓ)

સાપની કપટવિદ્યા – પંચતંત્રની વાર્તા

મૈકલ પર્વત પર એક નાગ રહેતો હતો. શરીરે તે બળવાન અને લાંબો હતો. આથી તે લાંબો કાળ સુધી સુરક્ષિત રહીને જીવ્યો.

સમય જતાં ઘરડો થયો. હવે તેનામાં શિકાર કરવાની શક્તિ અને ચપળતા ઘટી ગઈ હતી. દાંત પણ તૂટી ગયા હતા. આથી તે ધારેલો શિકાર કરી શકતો ન હતો.

ભૂખ્યો ભૂખ્યો તે વધુ અશક્ત બનવા લાગ્યો. તેને થયું, આમને આમ તો હું મરી જઈશ. જીવતાં રહેવા માટે મારે કંઈક તો કરવું જ જોઈએ. એટલે તે વિચારવા લાગ્યો. અચાનક તેને એક યુક્તિ સૂઝી આવી.

તે તો આનંદમાં આવી ગયો અને પહાડથી સડસડાટ નીચે ઊતરવા લાગ્યો. એ એક તળાવને કિનારે પહોંચ્યો. જ્યાં દેડકાઓનું મોટું રાજ્ય હતું. પુષ્કળ દેડકાંઓ ત્યાં રહેતાં હતાં. એને જોતાં જ બધાં જ દેડકાં તળાવમાં ભાગી ગયાં. પરંતુ એ કોઈ દેડકાં પાછળ દોડ્યો નહિ.

એણે એક ઝાડ નીચે આસન જમાવ્યું અને ચૂપચાપ દેડકાંઓની ગતિવિધિ જોવા લાગ્યો.

થોડી વાર થઈ એટલે દેડકાંના રાજાએ બહાર ડોકું કાઢ્યું તો નાગ દૂર એક ઝાડ નીચે ચૂપચાપ બેસી રહ્યો હતો. ધીરે રહીને તે બહાર નીકળ્યો. અને સલામત રહેવાય એ રીતે અંતર રાખીને નાગ પાસે પહોંચ્યો. નાગે દેડકાને જોયો છતાં તે હાલ્યો નહિ. તેમ એની આંખોને પણ હલાવી નહિ. જાણે દેડકાને જોતો જ નથી !

દેડકાને નવાઈ લાગી. તેને થયું, આ નાગની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હશે ? અથવા તે આંધળો થઈ ગયો હશે ? ધીરે ધીરે એ વધુ નજીક આવ્યો. છતાં તેણે સલામત અંતર તો રાખ્યું જ. અને નાગને બૂમ મારીઃ

‘એ નાગરાજ ! આમ ચૂપચાપ કેમ બેઠા છો ?’

‘ભાઈ ! મારા હાથે બહુ મોટું પાપ થઈ ગયું છે. એટલે હું ઢીલો થઈ ગયો છું. મને બ્રાહ્મણે શાપ આપ્યો છે.’

‘શાપ !’ દેડકાને આશ્ચર્ય થયું. તે નાગની વધુ નજીક કૂદ્‍યો.

‘દેડકાભાઈ ! મારા કરમની શું કથની કરું ! હું મારા સ્વભાવ અનુસાર એક ઉંદરનો શિકાર કરવા દોડ્યો પરંતુ ઉંદર પણ જીવ લઈને ભાગતો હતો. તે એક ઘરમાં પેસી ગયો જે બ્રાહ્મણનું હતું. ઘરમાં બ્રાહ્મણના ચાર-પાંચ છોકરાંઓ રમતાં હતાં. ઉંદરની પાછળ હું પણ ઘરમાં પ્રવેશ્યો. ઉંદર હાથવેંતમાં હતો એટલે મેં પણ દોટ મૂકી. ઉંદર છોકરાઓ વચ્ચેથી ભાગ્યો. અને હું પણ તેની પાછળ ભાગ્યો, પરંતુ છોકરાંઓને એકદમ ખ્યાલ ન આવ્યો કે, હું ઘરમાં દોડી રહ્યો છું. છોકરાંઓ પણ દોડાદોડી કરી રહ્યાં હતાં. તેમાં એક છોકરાનો પગ મારા પર પડ્યો અને ગુસ્સે થઈ મેં તેને ડંખ માર્યો.

તે દરમિયાન ઉંદર ભાગી ગયો હતો. હવે મને ભૂલનો ખ્યાલ આવ્યો. મને થયું, માણસો મને શોધી મારી નાખશે. એટલે હું પણ દોડતો ભાગી ગયો. પરંતુ મારા ઝેરથી પેલો છોકરો તરત મરી ગયો. ઘરનાં બધાં રોકકળ કરવા લાગ્યાં. કોઈ છોકરાના બાપને બોલાવી લાવ્યું. એનો બાપ સાચો કર્મકાંડી બ્રાહ્મણ હતો. એટલે મને શાપ આપ્યો કે, ‘હે નાગ ! તેં મારા દીકરાનો જીવ લીધો છે એટલે તું દેડકાંની સવારી બની જા. દેડકાં તારા પર સવારી કરશે તો જ તારી સદ્‍ગતિ થશે.’

‘બસ ! ત્યારથી હું ઢીલા પગે આવીને અહીં બેઠો છું. ભલા ! મારા પર દેડકાં થોડી સવારી કરવાના હતાં ! મારો કોણ વિશ્વાસ કરે ? મને લાગે છે કે મારી દુર્ગતિ જ થવાની છે. મારો મરણકાળ નજીક છે. એટલે મને બહુ ચિંતા થઈ રહી છે.’

નાગની કરુણ કથા સાંભળી દેડકો પીગળી ગયો. તેને થયું, ‘હું મારી પ્રજાને હુકમ કરીશ તો બધાં આ નાગ પર સવારી કરશે. અને એનો શાપ ઊતરી જશે. પરંતુ વાત સાચી… નાગનો વિશ્વાસ કોણ કરે ?’

દેડકો તો તળાવમાં ગયો અને બધાંને નાગની વાત કરી અને બધાંને નાગની વાત કરી. બધાં ગભરાઈ ગયાં… ના, ભાઈ ! નાગનો શાપ ઊતરવાનો હોય તો ઊતરે આપણે શા માટે જીવ જોખમમાં નાખવો જોઈએ ?

પરંતુ બે-ત્રણ દેડકાં સાહસિક હતાં. તેમને થયું, આજે મરો કે કાલે મરો… એમાં શું ફેર પડવાનો છે ! નાગ પર સવારી કરવાની કેટલી મજા આવે ! આપણે સાહસ કરીને નાગ પર સવારી કરવા જઈએ. તેમણે પોતાની વાત દેડકા રાજાને કરી.

રાજા પણ ખુશ થયો કે ચાલો, મારા રાજ્યમાં બહાદૂરો છે ખરા ! તેણે કહ્યું, ‘તમે મરજીવા છો. જો તમે નાગની સવારી કરી પાછા આવશો તો હું તમારું બહુમાન કરીશ.’

ત્રણે દેડકાં ખુશ થઈ ગયાં.

દેડકાનો રાજા ત્રણે દેડકાંને લઈને ઊપડ્યો નાગ પાસે અને કહ્યું, ‘હે નાગરાજ ! મારા આ ત્રણ દેડકાં તમારા પર સવારી કરશે.’

નાગ તો ખુશ થઈ ગયો અને બોલ્યો, ‘તમારો આભાર ! દેડકાભાઈ !’ કહીને એણે ત્રણેને પોતાના પર ચઢી જવા કહ્યું. નાગ સરકવા માટે લાંબો થયો એટલે ત્રણે દેડકાં તેના પર કૂદીને બેસી ગયાં. નાગ સરકવા લાગ્યો. દેડકાંનો રાજા તેમને જતાં જોઈ રહ્યો. દૂર દૂર ફરીને નાગ પાછો આવ્યો. એટલે ત્રણે દેડકાં ઊતરી પડ્યાં. અને પોતાના રાજા સાથે તળાવમાં ગયા. ત્યાં રાજાએ ત્રણ દેડકાનું બહુમાન કર્યું. ત્રણે દેડકાં તો છાતી ફુલાવીને પોતાને નાગની સવારી કરવામાં કેવી મજા આવી, રસ્તામાં શું શું જોયું તેનું રોચક વર્ણન કરવા લાગ્યાં.

પછી તો બધા જ દેડકાં નાગની સવારી કરવા તૈયાર થઈ ગયાં. દેડકાના રાજાએ નાગને પૂછ્યું, ‘નાગરાજ ! અમારે ત્યાં ઘણાં દેડકાં તમારી સવારી કરવા તૈયાર થઈ ગયાં છે. તેમને બેસાડશો ?’

‘હા… હા… કેમ નહિ ? તમે તો મારા પર મહા ઉપકાર કરી રહ્યા છો. હું બધાંને બેસાડીને રોજ ફેરવીશ !’

રાજાએ તળાવમાં જઈને કહ્યું, ‘જેને નાગની સવારી કરવી હોય એ નાગ પર બેસી જાય.’

પછી તો પૂછવું શું ? બધા જ કૂદતાં કૂદતાં ભાગ્યાં અને નાગ પર બેસવા પડાપડી કરવા લાગ્યાં. નાગ ધીરેથી એમાંના બે-ત્રણ દેડકાંને ગળી ગયો. કોઈને એ વાતની ખબર ન પડી. નાગ તો સરકવા લાગ્યો. બધાને ફરવાની બહુ જ મઝા આવી. જે રહી ગયા તે નિરાશ થઈને પાછા આવ્યાં. નાગને પણ બહુ મઝા આવી. એને તો વગર મહેનતે ભરપેટ ખોરાક મળી ગયો.

ઘણા દિવસ સુધી આ ક્રમ ચાલ્યો. અચાનક દેડકાંઓના રાજાને થયું, દેડકાંઓની વસતી સારી એવી ઘટી ગઈ છે. અહીં કોઈનો ઉપદ્રવ નથી તો વસતી કેમ ઘટી ગઈ છે ? તે ચિંતામાં પડી ગયો. ગમે તેમ તોયે એ રાજા હતો. રાજ્યના રક્ષણની જવાબદારી એના પર હતી. વિચાર કરતાં કરતાં એને નાગ યાદ આવ્યો. વસતી ઘટવા માટે એ નાગ તો કારણભૂત નહિ હોય ?

બીજે દિવસે બધાં દેડકાં નાગ પર સવારી કરવા તૈયાર થયા ત્યારે એ એક ઝાડ પાછળ સંતાઈ ગયો અને નાગની ગતિવિધિ ધ્યાનથી નિહાળવા લાગ્યો.

નાગ પર બેસવા માટે બધા દેડકાં પડાપડી કરતાં હતાં. ધીરેથી નાગ એના મોં પાસે આવેલા દેડકાને ગળી ગયો. એમ એણે ત્રણ-ચાર દેડકાં ખાધાં. કોઈ દેડકાઓનું એ તરફ ધ્યાન ન હતું. બધાં જ નાગ પર બેસવા માટે પડાપડી કરતાં હતાં.

દેડકાંઓનો રાજા ધ્રૂજી ગયો. ફરીથી બધાં દેડકાં પાછાં આવ્યાં. રાજાએ ધીરેથી બધાંને કહ્યું, ‘આપણે બહુ બની ગયાં છીએ. આ નાગ ઢોંગી છે. મૂરખ બનાવીને આપણને ખાઈ રહ્યો છે…’

ત્યાં જ એક દેડકી બોલવા લાગી : ‘મહારાજ ! મારો દીકરો કેટલા વખતથી નથી મળતો.’ તો કોઈ બોલ્યું, ‘મારો પતિ ગુમ થયો છે.’ આમ એકી અવાજે કેટલાંય દેડકાં પોતાના સ્વજનો ગુમ થયાની ફરિયાદ કરવા લાગ્યાં.

દેડકારાજાને બહુ દુઃખ થયું. તેણે બધાંને આશ્વાસન આપ્યું અને કહ્યું, ‘હવે એ નાગ નજીક કોઈ જશો નહિ. તે ભૂખ્યો-તરસ્યો પોતાની મેળે જ ભાગી જશે.’

બીજે દિવસે કોઈ દેડકો તળાવમાંથી બહાર સવારી કરવા ન આવ્યો. એટલે નાગ સમજી ગયો કે, પોતાના કપટની જાણ દેડકાંઓને થઈ ગઈ છે. હવે અહીં કશો ખોરાક મળવાનો નથી. હવે મારે બીજા તળાવની શોધમાં જવું જોઈએ.

આમે રોજ ભરપેટ ભોજન મળતું હતું. એટલે એ શક્તિશાળી બની ગયો હતો. એ ધીરેથી સરકીને ચાલ્યો ગયો.

દેડકાંનો રાજા છાનોમાનો તેની ગતિવિધિ નિહાળી રહ્યો હતો. તેને જતો જોઈને રાજાએ નિરાંતનો શ્વાસ લીધો.

‘હે કુમારો ! આ દુનિયા કપટી લોકોથી ભરેલી છે. માટે ચેતીને ચાલવું. ઝડપથી કોઈનો વિશ્વાસ કરવો નહિ.’

====

Best Short Stories for kids with moral pdf
Best Short Stories for kids with moral pdf

સમજુ વાંદરો અને શિકારી – પંચતંત્રની વાર્તા

એક શિકારી શિકાર કરવા નીકળ્યો. પહેલાં કદી શિકારે ગયેલો નહિ. એટલે જોખમનો ખ્યાલ નહિ. એકલો એકલો જ નીકળી પડ્યો.

ત્યાં એણે એક હરણ જોયું. એને એણે બંદૂક ઉઠાવી જ્યાં નિશાન લેવા જાય છેવ ત્યાં હરણ ભાગ્યું. એ તો દોડ્યો હરણની પાછળ. હરણ આંખના પલકારામાં ક્યાંનું ક્યાં નાસી ગયું.

શિકારી હરણને શોધતો શોધતો આગળ ગયો. ત્યાં અચાનક નજીકથી જ વાઘની ગર્જના સંભળાઈ. આખું જંગલ ધ્રૂજી ઊઠ્યું. અને શિકારી પણ ધ્રૂજી ઊથ્યો. ગભરાટમાં ને ગભરાટમાં હાથમાંથી બંદૂક પડી ગઈ. ત્યાં તો સામેની ઝાડીમાં વાઘનું માથું દેખાયું.

શિકારીના તો હોશકોશ ઊડી ગયા. એ દોડીને એક ઝાડ પર ચઢી ગયો. વાઘ કૂદ્યો પણ એને પહોંચ્યો નહિ. તે પહેલાં શિકારી ઝાડ પર ઊંચે ચઢી ગયો હતો. શિકારને છટકી ગયેલો જોઈને વાઘે તો ગર્જના પર ગર્જના કરવા માંડી. પણ હવે શું થાય ! ગર્જના કરવાથી શિકાર થોડો મોંમાં પડવાનો હતો.

કંટાળીને વાઘ તો ઝાડ નીચે જ આંટા મારવા લાગ્યો. હવે એટલી જગ્યામાં એ ઝાડ એકલું જ હતું. એની આજુબાજુ થોડા અંતર સુધી બીજું કોઈ ઝાડ ન હતું. હવે એ ઝાડ પર એક વાંદરો પણ હતો. શિકારીને લીધે એ પણ ફસાઈ ગયો. વાંદરો પણ નીચે ઊતરવા જાય તો વાઘ તેનો કોળિયો જ કરી નાખે. અને નીચે ઊતર્યા સિવાય તો બીજે કશે જવાય નહિ. આથી વાંદરો અકળાયો અને ઝાડ પર કૂદાકૂદ કરવા લાગ્યો.

વાઘે વાંદરાને જોયો એટલે વાઘે કહ્યું,

‘વાંદરાભાઈ ! તમે અકળાઓ નહિ. હું તમને નહિ ખાઈ જાઉં. ફક્ત એક કામ કરો. પેલા માણસને નીચે ફેંકી દો.’

‘એ મારો શિકાર છે એને લઈને ચાલ્યો જઈશ. પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જજો.’

વાંદરો કહે, ‘એ માણસે મારું કાંઈ બગાડ્યું નથી કે એ મારો ખોરાક નથી. પછી મારે એવું પાપ શા માટે કરવું જોઈએ ?’

શિકારી પણ વાંદરાને કહેવા લાગ્યો ઃ ‘વાંદરાભાઈ, રખે એવું કરતા ! મને વાઘના મોંમાં ધકેલીને તારા હાથમાં શું આવવાનું છે ! માટે મને ધક્કો નહિ મારતો.’

વાંદરાએ કહ્યું, ‘તું ગભરાઈશ નહિ. હું તને ધક્કો નહિ મારીશ.’

ધીરે ધીરે રાત વીતવા લાગી. વાંદરાને પણ ઊંઘ આવે અને શિકારીને પણ ઊંઘ આવે. જો ઝોકું આવી જાય તો બન્ને નીચે પડે અને વાઘનો શિકાર બની જાય.

એટલે કહ્યું, ‘આપણે વારા બાંધીએ. પહેલાં હું ઊંઘી જાઉં છું. તું મારું ધ્યાન રાખજે. અડધી રાત પછી તું ઊંઘી જજે અને હું જાગીશ. હું તારું ધ્યાન રાખીશ.’

વાંદરો કહે, ‘સારું.’ અને પેલો શિકારી ઊંઘી ગયો. વાઘે વાંદરાને ફરી સમજાવ્યો ઃ ‘વાંદરાભાઈ ! આ માણ્સની જાત બહુ કપટી અને નિષ્ઠુર હોય છે. તમે નકામો એનો પક્ષ લો છો. તમે એને નીચે ફેંકી દો. એથી હું મારા રસ્તે પડું અને તમે પણ છૂટા થાઓ. ઘરે તમારી વાંદરી અને બચ્ચાંઓ તમારી વાટ જોતાં હશે.’

‘ના, એવું મારાથી ન થાય. એ બિચારો મારા ભરોસે ઊંઘે છે. મારાથી એને દગો ન દેવાય.’ વાંદરાએ તો ઘસીને ના પાડી દીધી. અને વાંદરો જાગતો જ બેસી રહ્યો.

અડધી રાત વીતી એટલે વાંદરાએ શિકારીને જગાડ્યો અને કહ્યું, ‘હવે તું જાગ. હું ઊંઘી જાઉં છું.’

શિકારીએ કહ્યું, ‘સારું.’ વાંદરો તો નચિંત બનીને ઊંઘી ગયો.

ત્યાં વાઘે કહ્યું, ‘એ માણસ ! તું આમ ને આમ ઝાડ પર ક્યાં સુધી બેસી રહેશે ? અને હું તો અહીંથી ખસવાનો જ નથી. ગમે એટલા દિવસ જાય ને ! હું તો અહીં જ રહેવાનો છું. પરંતુ જો તું આ વાંદરાને ધક્કો મારીને નીચે ફેંકી દેશે તો હું એનો શિકાર કરીને ચાલ્યો જઈશ ! એટલે હુંય છૂટો અને તુંય છૂટો.’

પહેલાં તો શિકારીએ ના પાડી પણ જેમ જેમ સમય જવા લાગ્યો, તેમ તેમ એને કંટાળો આવવા લાગ્યો. વાઘ પણ એને સમજાવી રહ્યો હતો. આથી શિકારી પીગળી ગયો.

એણે તો વાંદરાને ધક્કો માર્યો. વાંદરો ઊંઘમાં ગબડી પડ્યો પણ બીજી જ ક્ષણે જાગીને વૃક્ષની નીચેની ડાળ પકડી લીધી. એટલે જમીન પર પડતા રહી ગયો. આમ વાંદરો છેલ્લી ઘડીએ બચી ગયો.

વાઘના મોંમાં આવેલો શિકાર પાછો ચાલ્યો ગયો. એણે વાંદરાને કહ્યું, ‘જોયું, વાંદરાભાઈ ! તમે જે માણસ પર વિશ્વાસ રાખ્યો, જેને મારા મોંમાંથી બચાવી રહ્યા છો તે કેવો કપટી છે ! હવે આગળ પાછળનું કંઈ પણ વિચાર્યા વગર એને નીચે ફેંકી દો. એટલે હું માર રસ્તે પડું.’

વાંદરો કહે, ‘ના ! એ ભલે કપટી રહ્યો. મારાથી એવું નથાય. તમે બીજો શિકાર શોધવા ઊપડો. તમારું અહીં કંઈ જ વળવાનું નથી.’

વાંદરાએ તો શાંતિથી ના પાડી દીધી. અને પછી શિકારી સામે જોયું. શિકારી તો ભોંઠો પડીને નીચું જ જોઈ ગયો.

કંટાળીને વાઘ ચાલ્યો ગયો. એટલે વાંદરાએ પણ જવાની તૈયારી કરી. એણે કહ્યું, ‘માણસ ! તારો સ્વભાવ સુધાર. કદી આવું કપટ ન કરવું. એનાથી કોઈક વાર મોટી મુશ્કેલીમાં આવી જશે. તું સવાર પડે પછી જ નીચે ઊતરજે.’ કહીને વાંદરાએ છલાંગ મારી અને નીચે ઊતરી દોડતો સામેનાં વૃક્ષો પર ચાલ્યો ગયો.

શિકારી મનમાં પસ્તાતો ચૂપચાપ બેસી રહ્યો.

‘હે કુમારો ! કદી કપટ કરવું નહિ. ઉપકાર ઉપર અપકાર કદી ન કરવો, ચાહે ગમે તે લાભ કેમ ન મળતો હોય !’

=====

101 ગુજરાતી બાળવાર્તા સંગ્રહ
101 ગુજરાતી બાળવાર્તા સંગ્રહ

વાંદરાની સલાહ – પંચતંત્રની વાર્તા

રત્નપુર નગરના રાજાને ઘોડા પાળવાનો ખૂબ શોખ હતો. એના ઘોડારમાં દેશ દેશના કીમતી ઘોડાઓ હતા. એ બધા ઘોડા રાજાને ખૂબ વહાલા હતા.

આ રાજાનો એક કુંવર હતો. એકનો એક. બધાનો લાડકો. તેને ઘેંટા ને વાંદરાં પાળવાનો શોખ હતો. ધોળાં ધોળાં રૂના ઢગલા જેવાં અલમસ્ત ઘેટાં તેણે પાળ્યાં હતાં. અને વાંદરાનું તો આખું ઝુંડ તેના બગીચામાં હતું. અને વાંદરાં પણ જેવા તેવા નહિ. તાલીમ પામેલાં કુંવર આવે એટલે સલામ કરે. કુંવર સાથે જાતજાતની રમતો રમે. કુંવરને ખુશ કરવા જાત-જાતના ખેલ કરે.

રાજાએ એક વિશાળ જગા આ લોકો માટે અલગ કાઢી હતી. ત્યાં એક તરફ ઘોડાર અને બીજી તરફ વાંદરાં અને ઘેટાં રહેતાં. ઘોડાર સામે જ રાજાનું રસોડું હતું.

હવે એક ઘેટું બહુ તોફાની હતું. તે લાગ મળે ત્યારે આ રસોડામાં ઘૂસી જતું અને જે મળે તે ખોરાક ખાઈ જતું. એના બગાડથી રસોઇયા ખૂબ ગુસ્સે થતા. કુંવરનું ઘેટું એટલે એને મારી તો ન નખાય. પરંતુ મેથીપાક તો બરાબર આપતા.

પરંતુ ઘેટાને એની જરાય પડેલી નહિ. તે તેનું તોફાન ચાલુ જ રાખતું. હવે તેનું આ તોફાન બુઢ્ઢો વાંદરો જોતો. એક દિવસ એણે પોતાના પરિવારને ભેગું કર્યું અને કહ્યું, ‘જુઓ આપણે આનંદથી રહીએ છીએ. કુંવરજી આપણને સારો સારો ખોરાક આપે છે. પણ એક બહુ મોટું જોખમ આપણા માટે ઊભું થયું છે.’

‘શું ?’ બધાં વાંદરાં પૂછવા લાગ્યાં.

‘પેલું તોફાની ઘેટું ઘણી વાર રાજાના રસોડામાં ઘૂસી જાય છે. જો કોઈ વાર રસોઇયો વધારે ખિજવાઈ જશે તો એને સળગતું લાકડું મારશે. એટલે તેના વાળ સળગી ઊઠશે. હવે રસોડાની સામે જ ઘોડારનો દરવાજો છે. ઘેટું ગભરાઈને એ ઘોડારમાં ઘૂસી જશે. આથી ત્યાંનું ઘાસ સળગી ઊઠશે. અને ઘાસ સળગી ઊઠશે તો ઘોડા દાઝી જશે. ઘોડા રાજાને બહુ વહાલા છે. એટલે તરત જ ઘોડાને બચાવવા વૈદો આવશે. વૈદો ઘોડાના દાઝેલા ભાગ પર લગાડવા વાંદરાનાં હાડકાંનું તેલ મંગાવશે. તાત્કાલિક વાંદરાં ક્યાંથી મળે ? એટલે રાજા આપણને મરાવી નાખશે અને આપણાં હાડકાંનું તેલ કઢાવશે. અને એમ આપણો નાશ થશે. માટે એવો કોઈ બનાવ બને તે પહેલાં જ આપણે અહીંથી ભાગી જવું જોઈએ.’

લગભગ બધાં જવાંદરાં આ વાત સાંભળીને હસી પડ્યાં. એક જુવાન વાંદરો બોલ્યો : ‘દાદા ! તમારી તો સાંઠે બુદ્ધિ નાઠી લાગે છે ! તમે તો બહુ જ લાંબા લાંબા વિચાર કરો છો. અને આપણી જિંદગી છે ટૂંકી. માટે હાલ જે સુખસાહ્યબી મળી રહી છે તેને ભોગવો અને શાંતિથી ઊંઘી જાઓ.’

‘નહિ. હું બહુ વિચારીને કહું છું. હું આજે જ અહીંથી ભાગી જાઉં છું. તમે આવો… ન આવો એ તમારી મરજીની વાત છે. પરંતુ હું તમને ચેતવી દઉં છું કે આવી વાત બનવાની શક્યતા છે જ.’

બધાં જ વાંદરાંએ બુઢ્ઢા વાંદરાની મશ્કરી કરી. અને કોઈએ તેની વાત ન માની. દુઃખી હૃદયે બુઢ્ઢો વાંદરો ત્યાંથી ભાગી ગયો.

બીજે દિવસે કુંવરે જોયું તો બુઢ્ઢો વાંદરો ન મળે. તેણે રાજાને કહ્યું. બધાંએ બહુ શોધ કરી પણ એ વાંદરો ન મળ્યો તે ન જ મળ્યો.

દિવસો વીતવા લાગ્યા.

એમ કરતાં દશેરાનો દિવસ આવ્યો. રાજ્યમાં મોટો ઉત્સવ ઊજવાતો હતો. આજે રાજાની સવારી નીકળવાની હતી. અને ત્યાર પછી રાજમહેલમાં મોટો ભોજન સમારંભ હતો. રસોઇયાઓ રાતથી જાતજાતની વાનગીઓ બનાવી રહ્યા હતા. એક તરફ ખીર બનાવીને ઠંડી કરવા મૂકેલી હતી. રાજાને ખીર બહુ જ ભાવતી. એમાં જાતજાતના તેજાના નાખવામાં આવ્યા હતા. બધા ઉતાવળે ઉતાવળે રસોઈ બનાવતા જતા હતા. બધા જ પોતાની ધૂનમાં હતા.

પેલું તોફાની ઘેટું ત્યાં આવ્યું. તેણે જોયું તો પોતાના આગમન તરફ કોઈનું લક્ષ ન હતું. એણે રસોડામાં નજર કરી તો ખીર જોઈ એના મોંમાં પાણી આવ્યું. અને ધીરેથી સરકીને એ ખીર પાસે પહોંચી ગયું અને ખીર ચાટવા લાગ્યું.

અચાનક પૂરી તળી રહેલા રસોઇયાની નજર એ ઘેટા પર પડી. ઘેટાએ રાજાની ખીર બગાડી એટલે રસોઇયો ક્રોધથી લાલચોળ બની ગયો. ગુસ્સાથી એણે ચુલામાંથી સળગતું લાકડું ખેંચી કાઢ્યું અને ઘેટા પર છૂટું માર્યું. સળગતા લાકડાનો સ્પર્શ થતાં જ ઘેટાના વાલ સળગી ઊઠ્યા. તે ભાગ્યું. અને સીધું સામે ના ખુલ્લા દરવાજામાંથી ઘોડારમાં ઘૂસી ગયું. અને આળોટીને પોતાના શરીરની આગ ઠારવા માંડ્યું. તેના શરીરની આગ તો ઓલવાઈ ગઈ પરંતુ ઘાસ સળગવા લાગ્યું.

ઘેટું તો ભાગી છૂટ્યું. હવે રસોઇયાને પણ ખ્યાલ નહિ કે ઘેટું સળગીને ઘોડારમાં ઘૂસી ગયું છે. વળી ઘોડારમાં પણ તે સમયે કોઈ ન હતું. બધા ઘોડાઓને વહેલા નવડાવીને પોતે તૈયાર થવા ગયા હતા. એટલે ધીરે ધીરે ઘાસ વધારે સળગવા લાગ્યું અને જોતજોતામાં આખું ઘોડાર સળગી ઊઠ્યું. ઘોડારના માણસો દોડતા આવ્યા અને ઝડપથી બધા ઘોડાઓને છોડવા લાગ્યા છતાં ઘણા ઘોડા દાઝી ગયા.

આ તો રાજાના પ્રિય ઘોડાઓ હતા. એટલે તાબડતોબ રાજવૈદને બોલાવવામાં આવ્યા.

વૈદે કહ્યું, ‘તાત્કાલિક વાંદરાંનાં હાડકાંનું તેલ જોઈએ. તે લગાડવાથી તરત જ ઘોડાઓને આરામ થશે.’

હવે તેલ માટે વાંદરાંનાં ઘણાં હાડકાં જોઈએ. તે હાડકાં ક્યાંથી લાવવાં ? એટલે રાજાએ રાજનાં વાંદરાંઓને મારી નાખવાનો હુકમ આપ્યો. તરત જ બધાં વાંદરાંઓને મારી નાખવામાં આવ્યાં.

આમ બુઢ્ઢા વાંદરાએ કરેલી આગાહી સાચી પડી. બધાં વાંદરાંઓનો નાશ થઈ ગયો.

થોડો સમય વીત્યો એટલે બુઢ્ઢા વાંદરાને પોતાનો પરિવાર યાદ આવ્યો. એને તેઓ વગર ગમતું ન હતું. અને તેઓની ચિંતા પણ ખૂબ થતી હતી. તે લોકોએ એની વાત મશ્કરીમાં કાઢી નાખી હતી, તે વાતનું એને બહુ દુઃખ હતું. આથી તે લપાતો છુપાતો રાજાના રસોડા પાસે ગયો, જ્યાં એ પોતાના પરિવાર સાથે રહેતો હતો.

ત્યાં જઈને એણે જોયું તો પોતાના પરિવારનો એકે વાંદરો ન દેખાયો. પેલા તોફાની ઘેટાં પર દાઝવાનાં નિશાન હતાં. અને ઘોડારમાં ઘણા ઘોડાનાં શરીર પર પણ દાઝેલાનાં નિશાન આછાં આછાં દેખાતાં હતાં. તે બધી વાત સમજી ગયો. તેની વાત સાચી પડી હતી. રાજાએ ઘોડા ખાતર પોતાના પરિવારનો નાશ કરી નાખ્યો હતો.

આથી વાંદરો રડી પડ્યો. તેને બહુ જ દુઃખ થયું. પરંતુ બનવાકાળ બની ગયું. હવે શું થાય ? વાંદરો ધીરે ધીરે પાછો ચાલ્યો ગયો. હવે એને રાજાના રાજ્યમાં રહેવાનો કંટાળો આવ્યો. એટલે એ જંગલમાં ચાલ્યો ગયો. જંગલમાં એ આગળ ને આગળ વધતો ગયો. એમ કરતાં કરતાં એ એક તળાવને કિનારે આવ્યો. કિનારાના એક વૃક્ષ પર એ શાંતિથી બેઠો. અને એણે પહેલાં આજુબાજુની જગ્યાનું નિરીક્ષણ કર્યું. પછી એણે જમીન પર જોયું તો બધાનાં પગલાં તળાવની અંદર જતાં હતાં. પણ કોઈ પગલાં પાછાં વળતાં દેખાતાં ન હતાં. એટલે એને આશ્ચર્ય થયું. એને થયું કે, આ તળાવમાં ચોક્કસ વસ્તુ લાગે છે. પગલાં અંદર તરફ જાય છે તો બહાર કેમ વળતાં નથી !

જરા વાર એણે વિચાર કર્યો. એને જોખમ લાગ્યું. એણે તળાવમાં જઈને પાણી પીવાનું માંડી વાળ્યું. પણ તરસ તો ખૂબ લાગેલી. ગળું તરસથી સુકાતું હતું. હવે શું કરવું ? આથી એણે આજુબાજુ નજર કરી. તો એને બે-ત્રણ કેળનાં ઝાડ દેખાયાં. એના મનમાં એક યુક્તિ સૂઝી. એણે કેળનું એક મોટું પાન તોડ્યું. તેની ભૂંગળી બનાવી. અને એ ભૂંગળીનો એક છેડો તળાવના પાણીમાં ડુબાડ્યો. અને એના બીજા છેડેથી હવા ખેંચવા લાગ્યો. આથી પાણી સીધું એના મોંમાં આવી ગયું. આ રીતે એણે ઝાડ ઉપર બેઠા બેઠા જ પાણી પીધું.

હવે એ તળાવમાં એક રાક્ષસ રહેતો હતો. તે પાણીમાં છુપાઈ રહેતો. અને જ્યારે કોઈ પ્રાણી પાણી પીવા આવે એટલે એને પકડીને ખાઈ જતો. આ એનો રોજનો ક્રમ હતો.

આજે પણ એ પાણીમાં છુપાઈને આ વાંદરાને જોઈ રહ્યો હતો. વાંદરાનું માંસ તો એનું પ્રિય ભોજન હતું. એટલે એ ખૂબ ખુશ થઈ ગયો હતો. અને વાંદરો ક્યારે પાણી પીવા તળાવની પાળ પર આવે, ક્યારે પોતાનું મોં પાણીમાં બોળે તેની રાહ જોઈ રહ્યો હતો. પરંતુ વાંદરાએ કેળના પાનની ભૂંગળી બનાવી પાણી પીધું, ત્યારે એ આશ્ચર્યચકિત બની ગયો. તે વાંદરાની અક્કલ પર આફરીન થઈ ગયો. આવું બુદ્ધિશાળી પ્રાણી એણે એની જિંદગીમાં જોયું ન હતું.

એ ખુશ થઈને પાણીની સપાટી પર આવ્યો અને બોલ્યો : ‘હે વાનર ! હું તારા પર બહુ ખુશ છું. મેં તારા જેવું બુદ્ધિશાળી પ્રાણી મારી જિંદગીમાં જોયું નથી.’

વાંદરો તો એને જોઈ ચમક્યો. એને તળવમાં જતાં પગલાંનું રહસ્ય સમજાઈ ગયું. એને થયું, ઉતાવળ કરી જો એ પાણી પીવા ગયો હોત તો એ પણ રાક્ષસના મોંમાં પહોંચી જાત. એ કંઈ બોલ્યો નહિ. એણે રાક્ષસ સમે જોઈને પ્રણામ કર્યાં.

‘હે વાનર ! હું તારા પર ખુશ છું. આથી તને આ હીરાનો હાર ભેટ આપું છું. તેનો તું સ્વીકાર કર.’

‘રાક્ષસરાજ ! સાચું કહું ? મને તમારો ભય લાગે છે. એટલે હું તમારી નજીક કેવી રીતે આવું ?’ વાંદરાએ નમ્રતાથી કહ્યું.

રાક્ષસ હસી પડ્યો. અને બોલ્યો, ‘તારો ભય સ્વાભાવિક છે. વાંધો નહિ. તું આ હાર ઝીલી લે.’ કહીને એણે હર વાંદરા તરફ ફેંક્યો, વાંદરાએ એ હાર સ્ફૂર્તિથી ઝીલી લીધો. અને ગળામાં પહેરી લીધો. વાંદરાએ જોયું તો તે અતિ મૂલ્યવાન મોટા મોટા હીરાનો બહુમૂલ્ય હાર હતો.

તેણે રાક્ષસને કહ્યું, ‘રાક્ષસરાજ ! આ હાર તો ઘણો કીમતી છે. મેં તમારો અવિશ્વાસ કર્યો તે બદલ મને ક્ષમા કરો.’ અચાનક વાનરના મનમાં એક વિચાર આવ્યો. અને તે તેણે અમલમાં પણ મૂકી દીધો.

‘રાક્ષસરાજ ! મારા પર એક કૃપા કરશો ?’

‘કહે.’

વાનરે પોતાના પરિવારના નાશની આખી વાત રાક્ષસને કરી. પછી ઉમેર્યું, ‘હું રાજા સામે બદલો લેવા માગું છું. આ હારની લાલચમાં એ રાજાના પરિવારને હું અહીં લઈ આવીશ. અને તમારે હવાલે કરી દઈશ. પરંતુ કૃપા કરી તમે મને જોઈને બહાર દેખાતા નહિ.’

‘સારું.’ રાક્ષસ તો ખુશ ખુશ થઈ ગયો. માનવ માંસ તો એને અતિપ્રિય હતું.

Best Akbar Birbal stories
Best Akbar Birbal stories

વાંદરો તો ઊપડ્યો રાજા પાસે. સીધો દરબારમાં પહોંચી ગયો અને રાજાને પ્રણામ કરી ઊભો રહ્યો. રાજા અને એનો કુંવર આ બુઢ્ઢા વાંદરાને જોઈને ખુશ થઈ ગયા. ત્યાં જ રાજાની નજર વાંદરાના ગળા પર પડી. તેના ગળામાં ઝળહળતા હારને જોઈને રાજા નવાઈ પામ્યો. અને બોલ્યો, ‘હે વાનર ! તારા ગળામાં બહુમૂલ્ય હાર દેખાય છે. તે તને ક્યાંથી મળ્યો ?’

વાંદરો મનોમન ખુશ થઈ ગયો. જે રીતે વાત શરૂ થવી જોઈએ, એ જ રીતે વાત શરૂ થઈ હતી. તેણે ગળામાંથી હાર કાઢીને રાજાના હાથમાં મૂક્યો અને કહ્યું, ‘મહારાજ ! હું આ હાર આપને બતાવવા આટે જ આવ્યો છું. આપ એનું મૂલ્ય કરાવો.’

રાજાએ એ હાર રાજ્યના મુખ્ય ઝવેરીને આપ્યો. ઝવેરીએ હાર જોઈને કહ્યું, ‘મહારાજ ! આ હારના બધા જ હીરા એટલા કીમતી છે કે આ હારની કિંમત સામે આપના રાજ્યનો ભંડાર છે તેવા દશ ભંડારો જોઈએ. તોય કિંમત ઓછી કહેવાય.’

રાજા ચકિત બની ગયો. અને વાંદરાને પૂછ્યું, ‘તને આ હાર ક્યાંથી મળ્યો ?’

‘મહારાજ ! આ હાર હું તમને ભેટ આપવા આવ્યો છું.’

રાજા ખુશ થઈ ગયો. તેણે એ હાર પહેરી લીધો. પછી વાંદરો બોલ્યો : ‘મહારાજ ! આ હાર એક ગુપ્ત જગ્યાએથી મળ્યો છે. જો આપને આવા બીજા કીમતી હાર જોઈતા હોય તો મારી સાથે ગુપ્ત-ખંડમાં આવો. હું તમને બાકીની વાત કરું.’

રાજા તૈયાર થઈ ગયા. તેમણે સભા બરખાસ્ત કરી અને વાંદરા સાથે ગુપ્તખંડમાં પ્રવેશ્યા. વાંદરાએ કહ્યું, ‘મને એક દિવસ સપનું આવ્યું કે, આપણા રાજ્યની બહાર પશ્ચિમ દિશામાં એક ગાઢ જંગલ છે. તેમાં એક તળાવ છે. તેમાં મોટો ખજાનો છે. આથી હું સવારે ઊઠીને ચાલી નીકળ્યો. આપણા રાજ્યની સરહદ વટાવી હું પશ્ચિમ તરફ ગાઢ જંગલમાં પ્રવેશ્યો.

ત્યાં એક તળાવ હતું. હું એ તળાવ પાસે આવ્યો અને જ્યાં પાણી પીવા ગયો ત્યાં એક દેવ દેખાયા. તેણે કહ્યું, ‘હે વાનર ! તેં આ જળને સ્પર્શ કર્યો એટલે મારે તને કંઈક આપવું જોઈએ. માટે તું અંદર આવ.’ હું હિંમત રાખીને તળાવમાં પ્રવેશી ગયો. ત્યાં સુંદર ભવન હતું. તે દેવ મને ભંડારમાં લઈ ગયા. ત્યાં અનેક પ્રકારનાં રત્નો, આભૂષણો, સુવર્ણ, ચાંદી વગેરેના ચરુ ભરેલા હતા. તે દેવે એક ચરુમાંથી આ હાર કાઢી મને આપ્યો. પછી મને આંખો મીંચી દેવા કહ્યું. મેં આંખો ખોલી તો હું તળાવની બહાર હતો. હું ઝડપથી આપની પાસે આવી પહોંચ્યો છું. અને મેં આપને આ રહસ્યની વાત કહી સંભળાવી છે. હે પ્રભુ ! હવે આપ જલદી આપના પરિવાર સાથે તે તળાવ પાસે આવો. હું આપને રસ્તો બતાવીશ.’

રાજા ખુશ ખુશ થઈ ગયો. તેને થયું, હવે હું અખૂટ સંપત્તિ મેળવી શકીશ. અને તેમાંથી શસ્ત્રો-સૈનિકો ખરીદી મારું રાજ્ય મોટું કરીશ. આગળ જતાં હું ચક્રવર્તી રાજા બનીશ.

રાજાએ પોતાના પરિવારને, મુખ્ય મંત્રીઓને અને સ્વજનોને સાથે લીધા. અને બધા ઘોડા પર બેસી વાંદરા સાથે નીકળ્યા.

થોડા સમયમાં તેઓ તળાવ પાસે આવી પહોંચ્યા. વાંદરાએ રાજાને એક વૃક્ષ નીચે ઊભો રાખ્યો. અને બાકીના બધાંને એક પછી એક અંદર જવા ખ્યું. ધનની લાલસામાં વાંદરો જેમ કહેતો આવ્યો તેમ રાજા અને તેના સ્વજનો કરતાં ગયાં. પછી લાંબો સમય વીતી ગયો. છતાં કોઈ પાછું આવ્યું નહિ. એટલે રાજાએ વાંદરાને પૂછ્યું, ‘હે વાનર ! કેમ કોઈ પાછું ન ફર્યું ? હવે હું જાઉં ?’

‘નહિ રાજન્‌ ! તમે ન જશો. અને ગયેલા છે તેમાંથી કોઈ પાછું આવવાનું નથી. તમે મારા નિરપરાધી પરિવાર-સ્વજનોનો નાશ કર્યો એટલે મેં તમારા પરિવાર-સ્વજનોનો નાશ કર્યો. આમ આપણો હિસાબ સરભર થઈ ગયો. હવે કદી કોઈ નિર્દોષને મારશો નહિ. પછી એ માનવ હોય કે પશુ-પંખી.’

આમ કહીને વાંદરો છલાંગ મારતો દૂર દૂર ચાલ્યો ગયો.

‘હે કુમારો ! તમારે પણ એ જ વાત શીખવાની છે કે, કદી કોઈ નિર્દોષ-નિરપરાધી માનવી, પશુ-પંખી કે કોઈ પણ જીવને મારવો નહિ.’

પંચતંત્રની વધુ વાર્તાઓ અહીથી વાંચો

દલો તરવાડી – રીંગણા લઉ બે ચાર

વાંસળીવાળો અને ઉંદર

ભટુડીની વાર્તા – બકરીબેનની વાર્તા

5 thoughts on “Panchtantra ni Best varta in Gujarati pdf | પંચતંત્રની 75 વાર્તાઓ”

  1. Pingback: Panchatantra ni vartao with moral in Gujarati 5 - AMARKATHAO

  2. Pingback: 101 ગુજરાતી બાળવાર્તા સંગ્રહ | Best Gujarati bal varata pdf collection - AMARKATHAO

  3. Pingback: બોધદાયક વાર્તા : બ્રાહ્મણ, વાઘ અને ચતુર શિયાળ 2 - AMARKATHAO

  4. Pingback: વિસરાતી જતી બાળવાર્તાઓ 5 | Best Balvartao pdf - AMARKATHAO

  5. Thanks n Regards for Excellent Service to Gujarati Language.
    Dr Baldev Bhakt.
    Kamrej X. Surat-394185.
    (+91) 9879 383 555.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *