Skip to content

વીર વિક્રમ રાજા અને સિંહાસન બત્રીસી : નવમી પૂતળીની વાર્તા

વીર વિક્રમ રાજા અને સિંહાસન બત્રીસી
7703 Views

વીર વિક્રમ રાજા અને સિંહાસન બત્રીસી, નવમી પૂતળીની વાર્તા, વિક્રમ વૈતાળ pdf, બત્રીસ પૂતળીની વાર્તા, 32 putli ni varta Gujarati ma, vikram betal ni varta Gujarati, સિંહાસન બત્રીસીના લેખક કોણ ?, Batris putli ni varta gujarati pdf, વિક્રમ રાજા ની વાર્તા, વિક્રમ રાજા ની બત્રીસ પૂતળીની વાર્તા, અબોલા રાણીની વાર્તા, 32 પૂતળી ની વાર્તા pdf, Batris Putli ni Varta Gujarat, sinhasan battisi pdf, sinhasan battisi Gujarati ma, sinhasan battisi book pdf downland

વીર વિક્રમ રાજા અને સિંહાસન બત્રીસી

નવમી પૂતળીની વાર્તા – બત્રીસ પૂતળીની વાર્તા ભાગ 8

નવમે દિવસે પૂતળી ‘કામાક્ષી’ એ સિંહાસન ઉપર બેસવા જતાં ભોજ રાજાને અટકાવી, વિક્રમ રાજાના પરાક્રમની અને પરોપકારની નવી વાર્તા કહેવી શરૂ કરી.

સિંહાસન બત્રીસી – અમરકથાઓ પર વાંચી રહ્યા છો

એક દિવસ વિક્રમ રાજા નગરમાં પાછા ફરતી વખતે તેમની નજર એક ખેતર પર પડી. તેમણે એ ખેતરમાં એક ખેડૂતને ગોફણ વડે પક્ષીઓ ઉડાડતો જોયો. પક્ષીઓ ભયને કારણે આમતેમ ઊડતાં હતાં. રાજાને આ મૂંગાં પશુ – પક્ષીઓ પર દયા આવી તેમણે પ્રધાનને હુકમ કરીને ઠેર ઠેર પાણીની વધુ પરબો, ચબૂતરાઓ અને પાંજરાપોળો બનાવવા કહ્યું.

પાણીની વધુ પરબો, ચબૂતરાઓ, પાંજરાપોળો બનવાથી પશુ – પક્ષીઓને રાહત થઈ ગઈ. બધાં જ પશુ-પક્ષીઓ રાજાના ખૂબ વખાણ કરવા લાગ્યાં. રાજાના આ વખાણ ધીરે ધીરે માનસરોવરના હંસો સુધી પહોંચી ગયા.
આ હંસોના ઉપરી હંસને રાજા વિક્રમનાં દર્શન કરવાની ઇચ્છા થઈ. તે પોતાની હંસલી સાથે વિક્રમ રાજાનાં દર્શન કરવા ઉજ્જયની નગરીમાં રાજાના મહેલે આવ્યાં.

આવા સુંદર હંસ અને હંસલીને જોઈને વિક્રમ રાજાને આશ્ચર્ય થયું. તેમણે હંસ – હંસલીને પોતાના સરોવરના કિનારે ઉતારો આપ્યો અને ઉત્તમ ચારાની વ્યવસ્થા કરી. આ હંસ અને હંસલી થોડા દિવસ વિક્રમ રાજાની મહેમાનગતિ માણીને વિદાય થયાં.
તેઓ ઊડતાં ઊડતાં ઇન્દ્રસભાના ખંડ પાસે આવ્યાં.
હંસ ઇન્દ્ર રાજાના દરબારમાં જવા ઇચ્છતો હતો, જ્યારે હંસલી ના પાડતી હતી. હંસલીની ઉપરવટ જઈ હંસ ઇન્દ્રસભામાં ગયો. ત્યાં ત્રણે લોકના ઋષિમુનિઓ આવ્યા હતા. બધા ભેગા થઈને ચર્ચા કરતા હતા કે ‘’ આ લોકમાં શ્રેષ્ઠ કોણ ? ”

ત્યાં આવીને ઉપસ્થિત રહેલ હંસ બોલ્યો : “ મહારાજ ! શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મૃત્યુલોકનાં વિક્રમ રાજા છે. ”

આ સાંભળી ઇન્દ્ર ગુસ્સે થઈ ગયા અને તેણે હંસને પિંજરામાં પૂરી દીધો ને કહ્યું : “ જોઉં છું કે તારો પરદુઃખભંજન વિક્રમ રાજા તને કેવી રીતે છોડાવે છે ? ”

આ વાતની હંસલીને ખબર પડી. તે સીધી વિક્રમ રાજા પાસે આવી અને બધી વાત કહી. વિક્રમ રાજાએ હંસલીને હિંમત આપીને કહ્યું : “ હું જ્યાં સુધી તારા હંસને પિંજરામાંથી મુક્ત નહિ કરાવું , ત્યાં સુધી હું ઉજ્જયિની નગરીમાં પગ નહિ મૂકું. ”

આમ કહી વિક્રમ રાજા હંસને છોડાવવા માટે જંગલ તરફ નીકળી પડ્યા. તેઓ એક નગરીમાં આવ્યા. આ નગરના રાજાની કુંવરીને રોજ મધરાતે એક યુવાન માણસને ખાવાની ટેવ હતી. વિક્રમ રાજા આ નગરીમાં એક કુંભારને ઘેર રાતવાસો કરવા રોકાયા આ હતા. તેના એકના એક પુત્રને આજે કુંવરી પાસે જવાનો વારો હતો, તેથી ઘરનાં બધાં રડતાં હતાં.

રાજાએ વાત જાણી ત્યારે તેમણે કુંભારપુત્રને બદલે પોતે રાજમહેલમાં જવા તૈયાર થયા. તેમણે કુંવરી વિશે માહિતી મેળવી. કુંવરી થોડા સમય પહેલા સામાન્ય હતી. પણ પછી ન જાણે કઇ રીતે જીવતા માણસને ખાવા લાગી છે.

તેમણે હરસિદ્ધી માતાનું સ્મરણ કરી. તમામ સત્ય હકીકત જાણી. પછી રાજમહેલ જવા તૈયાર થયા. અમરકથાઓ
ત્યાં સોળ વર્ષની રાજકુંવરી સૂતી હતી.

રાજાએ એક યુક્તિ શોધી કાઢી. તે પ્રમાણે તેમણે એક કપડાનો માણસ બનાવી કુંવરીની બાજુમાં મૂક્યો અને પોતે એક બાજુ ખૂણામાં ઊભા રહ્યા.

કુંવરીએ ઊંઘમાં જેવું પડખું ફરી બગાસું ખાધું કે તરત જ તેના પેટમાંથી એક નાગ નીકળ્યો અને તે કપડાના માણસને ખાવા લાગ્યો કે તરત જ રાજાએ તલવાર વડે નાગના બે કટકા કરી એક મોટી ડબ્બામાં ભરી લીધા.

થોડીવારમાં કુંવરી સ્વસ્થ થઈ ગઈ અને તેનું પેટનું દર્દ મટી ગયું. સવાર થતાં જ કુંવરીના પિતાને એટલે કે નગરના રાજાને આ વાતની જાણ થઈ, તેમની દિકરીને એકદમ સ્વસ્થ જોઇ તેઓ ખુબ જ ખુશ થયા. તેમણે રાજા વિક્રમને પોતાની કુંવરી અને અડધુ રાજપાઠ આપવાની ઇચ્છા દર્શાવી.

જ્યારે કુંભારપુત્રે આ વાત જાણી તો તે રડવા લાગ્યો.
રાજાએ આનું કારણ પૂછ્યું ત્યારે તે બોલ્યો : “ જો તમને રાતે જવા ન દીધા હોત અને હુ ગયો હોત તો હું આ બધું મેળવત”

રાજા વિક્રમે કુંવરી અને અડધું રાજપાટ બધું કુંભારપુત્રને સોપી પોતે પોતાના માર્ગે આગળ વધ્યા.

આગળ જતા વિક્રમ રાજા એક વૃક્ષ નીચે રાતવાસો કરવા રોકાયા. હંસને છોડાવવાના વિચારમાં જાગતા જ પડ્યા હતા, ત્યાં વૃક્ષની બાજુમાં ગુફા જેવું લાગ્યું. બરાબર મધરાત થતાં એક વિમાન આ ગુફા પાસે ઊતર્યું કે તરત ગુફા ખૂલતાં તેમાં પ્રવેશ્યું. તરત વિક્રમ રાજા પણ વિમાનની પાછળ ગુફામાં દાખલ થઈ ગયા. ગુફા તરત જ બંધ થઈ ગઈ. વિમાન ગુફામાંથી સીધું પાતાળલોક સુધી પહોંચ્યું. અમરકથાઓ

વિક્રમ રાજા પણ વિમાનની પાછળ પાછળ પાતાળલોક સુધી પહોંચી ગયા. વિમાનમાંથી એક દેવ ઊતર્યો અને પાતાળમાં રહેલ શેષનાગને વંદન કરીને બોલ્યો : “હે નાગરાજ ! સ્વર્ગલોકમાં એક યજ્ઞ કરવામાં આવે છે. તેમાં ઇન્દ્રે તમને ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. ”

શેષનાગ બોલ્યો : “ હું સ્વર્ગલોકના યજ્ઞમાં હાજરી આપી શકીશ નહિ , કારણ મારો એકનો એક પુત્ર થોડા સમયથી ગુમ થયો છે. હું તેની શોધખોળમાં પડ્યો છું. ”

વિક્રમ રાજાએ આ શેષનાગની વાત સાંભળી, તેમને સર્પનો પ્રસંગ યાદ આવ્યો. વિક્રમ રાજા હિંમત કરીને નાગરાજ પાસે ડબ્બો લઈને આવ્યા અને પરિચય આપી કહ્યું : “ હે નાગરાજ ! તમારો પુત્ર જો લાલ રંગનો હોય તો તેનું મૃત્યુ મારા હાથે થયું છે. ” આમ કહી તેમણે ડબી ખોલીને નાગના કટકા બતાવ્યા.

શેષનાગ પોતાના પુત્રના કટકા જોઈને ખૂબ જ દુ:ખી થઈ ગયો. પછી તેમણે પોતાની પાસે રહેલું અમૃતજળ યાદ આવતાં તરત જ પુત્રના કટકા પર અમૃતજળ છાંટ્યું, કે તરત નાગપુત્ર સજીવન થઈ ગયો.

શેષનાગે વિક્રમ રાજાનો ખૂબ જ આભાર માન્યો અને તેમણે પોતાની પુત્રીનાં લગ્ન વિક્રમ રાજા સાથે કરી દીધા.

હવે શેષનાગ સ્વર્ગલોકમાં જવા તૈયાર થઈ ગયો. તેઓ પોતાની સાથે વિક્રમ રાજા અને પોતાના પુત્રને પણ લઈ ગયા.
બધા વિમાનમાં બેસી સ્વર્ગલોક પહોંચ્યા.

101 ગુજરાતી બાળવાર્તા સંગ્રહ
101 ગુજરાતી બાળવાર્તા સંગ્રહ


શેષનાગે વિક્રમ રાજાની ઓળખાણ ઇન્દ્ર રાજાને આપી અને કહ્યું : “ ઇન્દ્રદેવ ! આ મૃત્યુલોકના વિક્રમ રાજાએ ઘણાં પરોપકારી કાર્યો કરીને એક અપૂર્વ નામના મેળવી છે, તેને હું આપનાં દર્શને લાવ્યો છું. ”

વિક્રમ રાજાએ બે હાથ જોડી ઇન્દ્ર રાજાને પ્રણામ કર્યા.
ઇન્દ્ર રાજાએ પહેલા પણ હંસ દ્વારા વિક્રમ રાજાનાં વખાણ સાંભળ્યાં હતાં. તેમને હવે હંસની વાત સાચી લાગી.
ઇન્દ્ર રાજાએ વિક્રમ રાજાને તેમનાં કાર્યો બદલ ધન્યવાદ આપ્યાં. અંતે કંઈ માગવા કહ્યું.

વિક્રમ રાજા બોલ્યા : “ હે ઇન્દ્રદેવ ! તમારી દયાથી મારી પાસે બધું છે. મારી એક ઇચ્છા છે કે આપે માનસરોવરના જે હંસને પિંજરામાં પૂરેલ છે, તેને મુક્ત કરી દો. ”

ઇન્દ્ર રાજાએ તરત જ હંસનું પાંજરું મંગાવી હંસને મુક્ત કરાવ્યો. વધુમાં ઇન્દ્ર રાજાએ પોતાના ગળામાંથી એક કીમતી માળા વિક્રમ રાજાને અર્પણ કરી.

વિક્રમ રાજા દેવવિમાનમાં બેસી હંસને માનસરોવર મૂકી નાગરાજની પુત્રી અને અઢળક સંપત્તિ સાથે ઉજજયની નગરીમાં આવી પહોચ્યા. તેમણે દેવવિમાન પાછું મોકલ્યું.

‘કામાક્ષી’ પૂતળીએ વાર્તા પૂરી કરીને કહ્યું : “ હે ભોજ રાજા, તમે સાંભળ્યુંને કે વિક્રમ રાજા પ્રાણીમાત્ર ઉપર પણ દયા રાખતા હતા અને ઉપકારના કાર્ય કરતા હતા. જે રાજા વિક્રમ રાજા જેવા હોય, તે જ આ સિંહાસન ઉપર બેસી શકશે. ”

આટલું કહી પૂતળી સ..૨૨૨.. કરતી આકાશમાં ઊડી ગઈ.

ક્રમશઃ – આવતી કાલે- દસમી પૂતળીની વાર્તા

અમારી YouTube ચેનલની મુલાકાત લો 👇

https://youtube.com/channel/UCNytVNB6lXdQ5_63eMm0V8w


(⚠ આ આખી સિરીઝ લેખકની અનુમતિથી મુકવામાં આવતી હોય અન્ય કોઇપણ જગ્યાએ copy કરવાની સખત મનાઇ છે. આપ ફક્ત share કરી શકો છો. છતા પણ આવી બાબત ધ્યાને આવશે. તો copy right ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે.) typing – અમરકથાઓ

આગળનાં કોઇ પણ ભાગ વાંચવા માટેની લિંક નીચે આપેલી છે. ક્લીક કરીને વાંચો 👇

🌟 સિંહાસન બત્રીસી – ભાગ 1 – સિંહાસન પ્રાપ્તિ

🌟 સિંહાસન બત્રીસી – ભાગ 2 – પ્રથમ પૂતળીની વાર્તા

🌟 સિંહાસન બત્રીસી – ભાગ 3 – બીજી પૂતળીની વાર્તા

વિક્રમ વૈતાલની વાર્તા ભાગ 1 થી શરુ

વિક્રમ અને વેતાળની વાર્તા 2

વિક્રમ અને વેતાળની વાર્તા 3

વિક્રમ અને વેતાળની વાર્તા 4

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *