Skip to content

ડૉ.આઇ.કે. વીજળીવાળા ની સુંદર વાર્તા : ખાનદાની

ડૉ.આઇ.કે. વીજળીવાળા ની સુંદર વાર્તા : ખાનદાની
9399 Views

ડૉ.આઇ.કે.વીજળીવાળા વ્યવસાયે ડૉક્ટર છે. સાથે ઉત્તમ લેખક પણ છે. મોતીચારો, સાયલન્સ પ્લીઝ, અમૃતનો ઓડકાર, પ્રેમનો પગરવ વગેરે તેમના પુસ્તકો છે. ” ખાનદાની ” તેમના પુસ્તકમાથી લીધેલી એક હ્રદયસ્પર્શી વાર્તા છે. Dr. I.K. VIJALIWALA BOOK, ગુજરાતી વાર્તાઓ. best gujarati story

ડૉ.આઇ.કે. વીજળીવાળા ની સુંદર વાર્તા : ખાનદાની

“હલ્લો ! વીજળીવાળા સાહેબ બોલે છે ? ” ફોન પર કોઈનો ગભરાટ ભર્યો અવાજ સંભળાયો.

સવારના સાડાસાત વાગ્યા હતા. ફોન કરનાર માણસ ખરેખર ખૂબજ ચિંતામાં હોય એવું લાગતું હતું. ફોન જાફરાબાદથી હતો.

“હા, હું ડૉ. વીજળીવાળા બોલું છું. બોલો, શું કામ છે ? ” મે કહ્યું.

“સાહેબ, મારો મોટો દીકરો લલિત સવારથી એના બન્ને પગ દુ:ખવાની ફરિયાદ કરે છે. શું કરવું ? મને ખૂબ ગભરાટ થાય છે. જાફરાબાદથી હું શામજીભાઈ બોલું છું ” સામેથી અવાજ આવ્યો.

શામજીભાઈ મારા ખૂબ જુના દર્દી. હમણાં જેના અંગે એમણે વાત કરી એ લલિતથી નાના એમનાં એક દીકરાને હૃદયની બીમારી હતી. એ વખતે અમદાવાદ સિવિલમાં એનું ઓપરેશન કરાવેલું, પરંતુ કમનસીબે ઓપરેશન પછી થોડા વખતમાં એ દીકરો અચાનક જ ગુજરી ગયેલો. લલિત સૌથી મોટો, અગિયાર વરસનો. એને એજ અરસામાં કંઈક થાય તો સ્વાભાવિક છે કે શામજીભાઈને ચિંતા થાય જ.

પણ આ ઉમરનાં બાળકો આખો દિવસ દોડાદોડી કરતા હોય છે. રમતા હોય, સાયકલ ફેરવતા હોય એટલે એમનામાં પગ દુખાવાની ફરિયાદ ઘણી વાર રહેતી હોય છે. મને ચિંતા એ વાતની થઇ રહી હતી કે આવા મોટા ભાગનાં દુ:ખાવા વધારે રાત્રે જ થતા હોય છે. સવારમાં ઊઠતાવેંત આ ફરિયાદ રોગ સૂચવતી હતી.

છતાં એમને શાંતિ થાય અને કોઈ નિષ્ણાતનો અભિપ્રાય મળી જાય એ આશયથી મેં કહ્યું કે, “ શામજીભાઈ ! તમે ચિંતા ન કરો, તમારા દીકરાને કોઈ લોકલ ડોક્ટરને બતાવી દો, લગભગ તો પગનાં સ્નાયુનો દુખાવો હોઈ શકે, બાળકો આખો દિવસ દોડાદોડી કરતા હોય એટલે આવું થતું હોય છે. કદાચ સામાન્ય દવાથી જ સારું થઇ જશે. તેમ છતાં વધારે તકલીફ દેખાય તો ભાવનગર લેતા આવજો.” એમને આટલું સમજાવીને મેં ફોન મૂક્યો.

મોટેભાગે તો આવા બાળકો સાદી દવાથી જ સારાં થઇ જતાં હોય છે. પણ શામજીભાઈ આટલા બધા ગભરાયેલા શું કામ લાગતા હતા એ મને નહોતું સમજાતું. મેં ફોન મૂક્યો છતાં વારંવાર આ વાત મારા મગજમાં ઘુમરાયા કરતી હતી. અમરકથાઓ

આ પચીસેક વરસના અનુભવ પરથી મને બરાબર સમજાઈ ગયું છે કે દરેક માતાપિતાને કુદરતે એક છઠ્ઠી ઇન્દ્રિય આપેલી હોય છે. પોતાના બાળકને આજે કાંઈક વધારે પડતું છે. એની સમજ એ લોકોને આપોઆપ પડી જ જતી હોય છે. શામજીભાઈના અવાજમાં પણ એ પ્રકારની દહેશત સ્પષ્ટ જણાઈ આવતી હતી. એમનો અવાજ જ કહેતો હતો કે નક્કી લલિતને થઇ રહેલો પગનો દુ:ખાવો સાદો તો નથી જ ! આ બધા વિચારોમાં અટવાતો હું હજુ તો ચા પૂરી કરું એ પહેલાંજ …

શામજીભાઈનો ફરીથી ફોન આવ્યો , ” સાહેબ ! લલિત ઊભો થવા ગયો પણ ન થઇ શક્યો. મને લાગે છે કે એના પગમાં કાંઈક વધારે તકલીફ ઊભી થઇ લાગે છે. હું એને લઈને ત્યાં આવવા નીકળી જાઉં છું. ”

બસ, એટલું કહીને એમણે ફોન મૂકી દીધો. મને હવે બરાબર સમજાઈ ગયું કે શામજીભાઈનાં અવાજમાં આટલી દહેશત પ્રથમ ફોન વખતે શું કામ હતી. એમને ખ્યાલ આવી જ ગયો હતો કે લલિતનો રોગ સાદો નહોતો જ. એટલે જ એમના અવાજમાં એક ધ્રાસ્કો ભળેલો હતો. એમને વાત પરથી મને પણ ખાતરી થઈ ગઈ હતી કે લલિત કોઈ વધારે મોટી તકલીફમાં સપડાયો છે.
હું લલિતનાં નિદાન અંગે વિચારવા લાગ્યો.

એ છોકરાના લક્ષણો પરથી એને ગુલેન – બારી નામનો એક ભયંકર રોગ હોવાની સંભાવના હતી. એ રોગમાં અમુક વાયરસ ( વિષાણું ) નાં ચેપ પછી ચેતાતંત્ર પર ખૂબજ વિપરીત અસર થતી હોય છે. ચેતાઓની ઉપર આવેલું સફેદ પડ ઊખડી જવાના કારણે ધીમે ધીમે આખા શરીરને લકવો – પેરાલિસિસ થઇ જાય છે. જો મગજ આ રોગની ઝપટમાં આવી જાય તો પછી દર્દીની જિંદગી પણ જોખમમાં મૂકાઈ જાય છે.

આ રોગ સામે એક ખૂબજ અસરકારક એવી આઈ.વી.આઈ.જી. નામની દવા ઉપલબ્ધ છે. પણ કઠણાઈ એ છે કે એ ખૂબ મોંઘી મળે છે. એક ઈન્જેકશનનો ભાવ લગભગ ૮૦૦૦ રૂપિયાથી વધારે થાય છે. લલિતને જો એજ રોગ હોય તો એની ઉમર પ્રમાણે એને લગભગ ૪૦૦૦૦ – રૂપિયા ચાલીશ હજારથી વધારે ખર્ચો ફક્ત ઇન્જેકશનનો થઈ શકે.

શામજીભાઈની આર્થિક પરિસ્થિતિ આ બોજ ખમી શકશે કે કેમ તે અંગે વિચારતો હું તૈયાર થઈને ૮-૩૦ વાગ્યે હોસ્પિટલ પહોંચ્યો. દાખલ થયેલા દર્દીઓને જોવા હું રામ નર્સિંગ હોમ નામના નર્સિંગ હોમ ગયો.

નર્સિંગ હોમમાં દાખલ થયેલાં દર્દીઓનો રાઉન્ડ મેં પૂરો કર્યો એટલી વારમાં જ શામજીભાઈ ટેક્ષી કરીને ભાવનગર પહોંચી ગયા. લલિતને તેડીને ટેક્ષીમાંથી ઉતારવો પડ્યો. એને તેડીને નર્સિંગ હોમના પગથિયાં ચડાવતી વેળાએ એના લબડતા પગ જોઇને જ મને મારી શંકા વાસ્તવિકતાનું સ્વરૂપ લેતી જતી હોય એવું લાગ્યું .

મેં એને ટેબલ પર સુવડાવ્યો. એને તપાસ્યા પછી તો મારા નિદાનમાં શંકાને કોઈ સ્થાન જ નહોતું.
લલિતને ગુલેન – બારી ( Guillain Barré syndrome ( GBS )) થયો હતો. એના બન્ને પગ કામ કરતા બંધ થઇ ગયા હતા. બંને પગનો પેરાલિસિસ થઇ ગયો હતો. લલિતને તપાસીને હું શામજીભાઈ સામે ફર્યો.

આવી વાત છોકરાના બાપને કઈ રીતે કહેવી એની અવઢવ થઇ આવી. તેમ છતાં વાત કર્યા વિના પણ છૂટકો નહોતો. મેં કહ્યું , “શામજીભાઈ ! લલિતને એક એવો રોગ થયો છે કે જેમાં એના આખા શરીરમાં પેરાલિસિસ થઈ શકે. અત્યારે જે અશક્તિ અને પેરાલિસિસ ફક્ત પગમાં જે દેખાય છે એ ધીમે ધીમે આગળ વધશે. આ રોગની સારવાર માટે અને પેરાલિસિસને આગળ વધતો અટકાવવા માટે એક ખાસ પ્રકારના ઇન્જેક્શન આપવા પડશે. અને એ ઈન્જેકશન ખૂબ મોંઘા આવે છે. ”

” કેટલાક મોંઘા સાહેબ ? ” શામજીભાઈએ પૂછ્યું.

“આપણે અત્યારે જ લગભગ ચાલીસેક હજાર રૂપિયાનાં ઇન્જેકશન જોઇશે. વ્યવસ્થા થઈ શકશે ? ” મેં સાશંક પૂછ્યું.

” સાહેબ ! હું તો સાડા આઠ હજાર રૂપિયા લઈને નીકળ્યો છું. અત્યારે તો હું પહોંચી શકું તેમ નથી. થોડોક સમય મળી જાય તો ઉછીના – પાછીના પણ કરી શકાય કે કંઈક વ્યવસ્થા કરી શકાય. બાકી … અત્યારે તો તમે જે કરો તે ! ” શામજીભાઈ બોલ્યા.

અમે વિચારમાં પડી ગયા. અમારી પાસે વધારે સમય તો હતો જ નહીં. કારણકે આ રોગમાં ૭૨ કલાક સુધી પેરાલિસિસ ઝડપભેર વધતો જાય એવી પૂરી શક્યતા હતી. શામજીભાઈ પાસે જેટલા પૈસા હતા એમાંથી ફક્ત એકજ ઇજેક્શન ખરીદી શકાય તેમ હતું. પરંતુ અમારે તો એવા પાંચ ઇજેક્શનની જરૂર હતી.

” સાહેબ ! શું કરશું ? મારા લલિતને સારું થઈ જાશે ? ” શામજીભાઈએ ધ્રાસ્કાવાળા અવાજે સવાલ કર્યો.

પોતાનો દીકરો વધારે પડતો સિરિયસ છે એની એમને ખાતરી થઈ આવી હતી. નબળાં એંધાણ જોઈ ગયેલા માણસના ચહેરા પર જે ભાવ આવે એ બધાંજ એમના મો પર છવાઈ ગયા હતા. મેં એમની સામે જોયું. લલિત સારો થઇ જશે એવું કહ્યું પણ ખરું, પરંતુ ‘ કઈ રીતે ? એ તો મને પણ નહોતી ખબર. અમર કથાઓ

પરંતુ ભવિષ્યની ચિંતા ઉપરવાળા પર છોડીને મેં લલિતને દાખલ કરી દીધો. મુખ્ય ઇજેક્શન સિવાયની બાકીની સારવાર શરૂ કરાવી. પરંતુ મારા મનને શાંતિ નહોતી થતી. મેં મારા મિત્રોને ફોન કર્યો. મારા બે દરિયાદિલ મિત્રો શ્રી મનીષભાઈ રાઇમગિયા તથા શ્રી સંદીપભાઈ સોપારીયા કોઈ વિગત પણ પૂછ્યા વિના દસ – દસ હજાર રૂપિયા આપી ગયા. બાકીના દસ હજાર મેં મારા ખિસ્સામાંથી નાખ્યા. આદિત્ય મેડીકલ સ્ટોરવાળા શ્રી હિતેશભાઈએ આઈ.વી.આઈ.જી. બનાવતી કંપનીનાં રિપ્રેઝન્ટેટિવ સાથે વાત કરીને અમને ઈજેકશનની કિંમતમાં ખૂબ ફાયદો કરાવી દીધો.

બધાના સહિયારા પ્રયત્નોને કારણે બરાબર સાડા અગિયાર વાગ્યે અમે લલિતને આઈ.વી.આઈ.જી.નું પહેલું ઇજેક્શન નસમાં આપવાનું શરૂ કર્યું. એ બે – ત્રણ જ કલાકમાં એનાં બંને હાથમાં પેરાલિસિસની શરૂઆત થઇ ચૂકી હતી.

એ પછી થોડા કલાકો અમે ફડકા સાથે વિતાવ્યા. અમને બીક તી કે કદાચ દવાની અસર શરુ થાય એ પહેલા રોગ શ્વાસના કેન્દ્રો સુધી પહોંચી જશે તો લલિતને બચાવવો મુશ્કેલ થઇ પડશે. પરંતુ એવું ન બન્યું. બે દિવસે ઇન્જેકશનનો કોર્સ પૂરો થયો ત્યાં સુધીમાં રોગે પણ આગળ વધવાનું બંધ કરી દીધું હતું. ચોથા દિવસ પછી તો એનો એક પગ પણ ધીમે ધીમે હલવા માંડયો. અમારાં બધાનાં આનંદનો પાર ન રહ્યો. સાતમાં દિવસે લલિતે થોડા ડગલાં પણ માંડ્યા.

આઠમાં દિવસે અમે એને રજા આપવાનું નક્કી કર્યું.
મારે તો કાંઈ ચાર્જ લેવાનો નહોતો. ( આમેય ચમત્કારિક રીતે બચ્યા હોય એવા સિરિયસ દર્દીઓનો હું ક્યારેય ચાર્જ નથી લેતો. મને હંમેશા એવું લાગ્યું છે કે એ લોકો મારા જ્ઞાન કરતાં પણ કોઈ અગમ્ય શક્તિની મદદથી જ બચી જતા હોય છે અને એટલે એ પૈસા લેવાનો મને અધિકાર નથી. )

રામ નર્સિંગ હોમવાળા ડૉ. રાણીંગા સાહેબે પણ ઘણી રાહત કરી આપી. અને સૌના સહિયારા પ્રયત્નો તેમજ સમયસર દવાઓ મળી જવાથી મોતને પણ હરાવીને પાછો આવેલો લલિત એના બાપુજીના ટેકે ટેકે હોસ્પિટલમાંથી ઘરે જવા નીકળ્યો ત્યારે અમારા સૌના મનમાં પણ હરખની હેલી ચડી આવી હતી.

એને રજા આપીને હું નર્સિંગ હોમમાંથી બહાર આવ્યો. મારી ગાડીમાં બેઠો. હું ગાડી સ્ટાર્ટ કરું એ પહેલા લલિતને રોડના સામા કાંઠે ઊભો રાખીને શામજીભાઈ મારી પાસે આવ્યા, જોડે એમના ભાઈ હતા. બે હાથ જોડીને બોલ્યા, સાહેબ ! મારો લલિત સાજો થઈ ગયો ! તમારો જેટલો આભાર માનું એટલો ઓછો પડે. તમે જો મદદ.. ” એ આગળ ન બોલી શક્યા.

મેં એમના હાથ પકડી લીધા, આગળ બોલવાની ના પાડી. પણ એ વખતે હું પણ બોલી શકું એવી હાલતમાં હતો જ નહીં. મેં ફક્ત આકાશ સામે આંગળી ઊંચી કરી. પછી થોડાક સ્વસ્થ થઈને કહ્યું , ” શામજીભાઈ ! બધું કરનાર તો ત્યાં ઉપર બેઠો છે ! આપણે તો બસ મહેનત કરવાના અધિકારી. એનો પાડ માનો કે આપણી મહેનત કામ આવી ! ”

થોડીવાર પછી શામજીભાઈ પણ સ્વસ્થ થયા. એમણે કહ્યું, ‘ સાહેબ ! હું બને તેટલો જલદી તમારા પૈસાની વ્યવસ્થા કરીને તમને પાછા આપી જઈશ. ચાલો ત્યારે, અમે નીકળીએ. ’ એમની આંખો ભીની થઇ ગઈ.

“નહીં શામજીભાઈ ! ‘ હું બોલ્યો, ‘ તમારે એ પૈસા મને પાછા નથી આપવાના. એ તો અમારાં બધાં તરફથી લલિતને અમે આપેલી ભેટ ગણવાની છે. એટલે એ પૈસાની હવે ચિંતા નથી કરવાની. એ તો તમે ભૂલી જ જજો. ’

‘ નહિ સાહેબ ! એ તો મારે દૂધે ધોઈને આપવાના હોય ! ‘ એમણે કહ્યું, એ ન આપીએ તો નગુણા કહેવાઈએ. એટલે એ તો હું આપી જ જઈશ. ”

‘‘ ના શામજીભાઈ ! જરાય નહીં ! ” ઘસીને ના પાડી, ‘ તમારે એ પૈસા પાછા આપવાના જ નથી અને ખોટો ધક્કો પણ નથી ખાવાનો. બસ, એ વાત જ ભૂલી જજો ! અને ઈશ્વરનો આભાર માનજો. ચાલો , આવજો ત્યારે ! ” એમને પૈસા પાછા આપવા આવવાની સ્પષ્ટ ના પાડી, એ લોકો સામે હાથ હલાવી હું ઘરે આવવા વળ્યો.

શામજીભાઈએ પણ વધારે કાંઈ દલીલ ન કરી.
બીજાના હાથમાં લબડતી લાશની જેમ ઊંચકાઈને આવેલો લલિત હળવે હળવે પોતાની જાતે રિક્ષામાં બેઠો એ સુભગ દૃશ્ય મમળાવતાં મેં કાર મારા ઘર તરફ લીધી. એક મહિના પછી શામજીભાઈ લલિતને બતાવવા આવ્યા. મારી ઓપીડી પૂરી થઈ ત્યાં સુધી બહાર બેઠા. મેં સૌથી છેલ્લે લલિતને તપાસ્યો. હવે એ ખાસ્સો સારો થઇ ગયો હતો. કોઈ પણ જાતના ટેકા વિના ચાલી શકતો હતો. અગિયાર વરસનો એ દીકરો ખુબજ મીઠું હસતો હતો. મેં થોડી જરૂરી દવાઓ લખીને એમને રવાના કર્યા.

એ લોકો ગયા પછી મારું એ દિવસનું કામ પતાવીને લગભગ એકાદ કલાક પછી હું બહાર નીકળ્યો. જોયું તો વેઈટીંગ રૂમમાં શામજીભાઈ અને લલિત હજુ બેઠા હતા.

‘ કેમ શામજીભાઈ ! હજુ ગયા નથી ? હવે તો જાફરાબાદની બસ પણ જતી રહી હશે. ’ પૂછ્યું.

શામજીભાઈ ઊભા થઈને મારી પાસે આવ્યા. પછી ધીમેથી બોલ્યા, ‘ સાહેબ ! મારી પાસે થોડાક પૈસાની ફર્ય ( સગવડ ) થઇ છે. એટલે આપવા માટે આવ્યો છું. ”

‘ કેમ ? આપણે તો વાત થઇ હતી કે તમારે એ પૈસા પાછા નથી આપવાના, તો પછી શું કામ લાવ્યા છો ? અને આટલા બધા પૈસાની આટલા ટૂંકા ગાળામાં સગવડ કરી કઈ રીતે ? ક્યાંક વ્યાજે તો નથી લીધાને ? ” મેં પૂછ્યું.

કોઈ વ્યાજે પૈસા લઈને આવે એ હું ક્યારેય સહન કરી શકતો નથી. વ્યાજનાં ચક્કરનું વરવું સ્વરૂપ મેં મારી વીતેલી જિંદગીમાં નજરે જોયું છે. એટલે વ્યાજ શબ્દ તો મારા માટે એક બિહામણા સપનાનો પર્યાય બની ચૂક્યો છે. ના સાહેબ ! પૂરાં પૈસા નથી લાવ્યો અને વ્યાજેય નથી લાવ્યો. ખાલી ત્રણ હજાર રૂપિયાની ફર્ય થઇ છે આ મહિને એટલું કામ થયું છે એટલે એટલાં જ લાવ્યો છું. શામજીભાઈ બોલ્યા.

હું છક થઇ ગયો. કરોડો રૂપિયા પાસે હોવા છતાં ફક્ત થોડાંક લાખની લોન ન ચૂકવતા કહેવાતા શ્રીમંતોનાં મોં પર આ માણસનો જવાબ એક લપડાક સમાન હતો.
રાત દિવસ કટકીનો કારોબાર ચલાવતા હોવા છતાં કામવાળા કે નોકરને પગારથી વંચિત રાખતા અને પૈસાદાર હોવાનો દેખાવ કરતા લુચ્ચાઓ કરતા મને આ સાવ સાદો માણસ વેંત ઉંચો લાગતો હતો.

એ પછી ઘણી રકઝક થઇ. મેં ખૂબ ના પાડી. પણ શામજીભાઈ તો જાણે કે સાહેબને પૈસા આપ્યા વિના જાફરાબાદનું પાણી ન પીવાના સોગંદ લઈને નીકળ્યાં હોય એમ કાંઈ સાંભળવા જ તૈયાર નહોતા, માણસો માગવા છતાં પૈસા નથી આપતા જયારે અહિયાં હું સતત ના પાડતો હતો તેમ છતાં જાણે પોતાની ધૂનમાં બીજું કાંઈ સાંભળવું જ ન હોય એમ શામજીભાઈ આગ્રહ છોડતા જ નહોતા. વારંવાર કહેતા હતા કે , “સાહેબ ! બાકીની રકમ પણ હું કટકે કટકે આપી દઈશ ! ”

હું ગળગળો થઇ ગયો. મેં એમનો હાથ પકડીને કહ્યું , ‘ બસ , શામજીભાઈ, બસ ! તમે આટલું કહ્યું એમાં બધું જ આવી ગયું. હવે તમારે કાંઈ જ આપવાનું રહેતું નથી. અને એના માટે હવે ક્યારેય ધક્કો પણ ખાવાનો નથી. અને બાકી રહી વાત આ ત્રણ હજાર રૂપિયાની, તો આ ત્રણ હજાર રૂપિયા પણ અમારા તરફથી લલિતને ભેટ રૂપે ગણી લેજો. અને હવે પછી એ ભૂલી જજો કે અમે તમને મદદ કરી હતી.

અરે ભલા માણસ ! અહિયાં કોણ કોને મદદ કરે છે એ આપણને કોઈ દિવસ ખબર જ નથી પડતી. એટલે હવે એ બધો હિસાબ આજે પૂરો થયેલો ગણજો. ” એટલું કહીને મેં માંડ એમને પાછા મોકલ્યા. શામજીભાઈ અને લલિત ગયા. હું ઘડીક ત્યાજ ઊભો રહી ગયો. મારા મનમાં થતું હતું કે ખરેખર, શામજીભાઈ જેવાં માણસોને કારણે જ આ દેશ મહાન બન્યો હશે. અને આવા લોકોને કારણેજ આ દુનિયા પણ ટકી રહી હશે. બાકી તો એ ક્યારની રસાતાળ ગઈ હોય ! અમરકથાઓ

✍ ડૉ. આઇ.કે. વીજળીવાળા. – ટાઇપીંગ/સંકલન – અમરકથાઓ

ડૉ. આઇ.કે. વીજળીવાળા
ડૉ. આઇ.કે. વીજળીવાળા

આ પણ વાંચો 👇

દાદાજીની બહાદુરી વાર્તા

ચતુરાઇની વાર્તા – કાબરાનાં કાંધાવાળો

1 thought on “ડૉ.આઇ.કે. વીજળીવાળા ની સુંદર વાર્તા : ખાનદાની”

  1. Pingback: ભગવાનની લીલા – ડૉ. આઈ. કે. વીજળીવાળા - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *