Skip to content

અમરનાથ મહાદેવની અમરકથા અને અમરનાથ યાત્રા વિશે રોચક જાણકારી

અમરનાથ યાત્રા વિશે રોચક જાણકારી
2224 Views

અમરનાથ હિન્દુઓનું એક મહત્વનું તીર્થસ્થળ છે. જે સ્થળે ભગવાન શિવે માઁ પાર્વતીને અમરત્વનું રહસ્ય સમજાવ્યું હતું. દરેક હિન્દુ વ્યક્તિનુ સપનું હોય છે કે જીવનમાં એકવાર બાબા અમરનાથની યાત્રા અવશ્ય કરવી.. Amarnath Temple, Amarnatha Yatra, Amarnath History, Amarnath Yatra in gujarati

તો આજે અમરકથાઓમા વાંચીએ… અમરનાથની રોચક યાત્રા

અમરનાથ હિન્દુઓનું એક મહત્વનું તીર્થસ્થળ છે. આ તીર્થધામ જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર શહેરથી ઉત્તર-પૂર્વ દિશામાં ૧૩૫ કિલો મીટર દૂર સમુદ્રતટ કરતાં ૧૩,૬૦૦ ફૂટ જેટલી ઊઁચાઈ પર આવેલી એક પહાડી ગુફામાં સ્થિત છે. આ ગુફાની લંબાઈ (અંદર તરફની ઊંડાઈ) ૧૯ મીટર અને પહોળાઈ ૧૬ મીટર જેટલી છે. ગુફા ૧૧ મીટર જેટલી ઊંચી છે. અમરનાથ ગુફા ભગવાન શિવના પ્રમુખ ધાર્મિક સ્થળોમાનું એક છે. અમરનાથને તીર્થોનું તીર્થ કહે છે કેમકે અહીં જ ભગવાન શિવે માઁ પાર્વતીને અમરત્વનું રહસ્ય સમજાવ્યું હતું.

Amarnath ni Amarkatha
Amarnath ni Amarkatha

અહીંની પ્રમુખ વિશેષતા પવિત્ર ગુફામાં બરફથી પ્રાકૃતિક શિવલિંગનું નિર્માણ થવું છે. પ્રાકૃતિક હિમથી નિર્મિત થવાને કારણે આને સ્વયંભૂ હિમાની શિવલિંગ (બર્ફાની બાબા) પણ કહે છે. અષાઢી પૂર્ણિમાથી શરૂ કરી રક્ષાબંધન સુધી પૂરા શ્રાવણ મહીનામાં થવા વાળા પવિત્ર હિમશિવલિંગ દર્શન માટે લાખો લોકો અહીં આવે છે. ગુફાનો પરિઘ લગભગ દોઢ સો ફૂટ છે અને આમાં ઊપરથી બરફના પાણીના ટીપાં ઘણી જગ્યાએ ટપકતા રહે છે. અહીં એક એવી જગ્યા છે, જેમાં ટપકતા હિમ ટીપાંથી લગભગ દસથી બાર ફૂટ ઊંચું શિવલિંગ બને છે. ચંદ્રમાના ઘટવા-વધવા સાથે આ બરફનો આકાર પણ ઘટતો-વધતો રહે છે.

શ્રાવણી પૂર્ણિમાએ તે પોતાના પૂરા આકારમાં આવી જાય છે અને અમાસ સુધીમાં ધીરે-ધીરે નાનું થઈ જાય છે. આશ્ચર્યની વાત એ છે કે આ શિવલિંગ નક્કર બરફનું બનેલું હોય છે, જ્યારે ગુફામાં સામાન્ય રીતે કાચો બરફ હોય છે જે હાથમાં લેતાં જ ચૂરેચૂરો થઈ જાય છે. મૂળ અમરનાથ શિવલિંગથી અમુક ફૂટ દૂર ગણેશ, ભૈરવ અને પાર્વતીના એવા જ અલગ અલગ હિમખંડ છે.

⚜ અમરનાથ વિશેની પ્રચલિત કથા

અમરનાથ વિશે એવી કથા પ્રચલિત છે કે આ જ ગુફામાં માતા પાર્વતીને ભગવાન શિવે અમરકથા સંભળાવી હતી, જેને સાંભળીને સદ્યોજાત શુક-શિશુ, શુકદેવ ઋષિના રૂપમાં અમર થઈ ગયાં હતાં. ગુફામાં આજે પણ શ્રદ્ધાળુઓને કબૂતરોની એક જોડી દેખાઈ જાય છે, જેને શ્રદ્ધાળુ અમર પક્ષી કહે છે. તે પણ અમરકથા સાંભળી અમર થયા છે.

એવી માન્યતા પણ છે કે જે શ્રદ્ધાળુઓને કબૂતરોની જોડી દેખાય છે, તેમને શિવ પાર્વતી પોતાના પ્રત્યક્ષ દર્શનથી ધન્ય કરી તે પ્રાણીને મુક્તિ પ્રદાન કરે છે. એમ પણ માનવામાં આવે છે કે ભગવાન શિવે તેમની અર્ધાંગિની પાર્વતીને આ ગુફામાં એક એવી કથા સંભળાવી હતી, જેમાં અમરનાથની યાત્રા અને તેના માર્ગમાં આવનારા અનેક સ્થળોનું વર્ણન હતું. આ કથા કાલાંતરમાં અમરકથા નામથી વિખ્યાત થઈ.

અમરનાથ યાત્રા
અમરનાથ યાત્રા

અમુક વિદ્વાનોનો મત છે કે ભગવાન શંકર જ્યારે પાર્વતીને અમર કથા સંભળાવવા લઈ જતા હતાં, ત્યારે તેમણે નાના-નાના અનંત નાગોને અનંતનાગમાં છોડ્યાં, માથાના ચંદનને ચંદનવાડીમાં ઉતાર્યું, અન્ય પિસ્સુઓ (જંતુઓ)ને પિસ્સૂ ટૉપ પર અને ગળાના શેષનાગને શેષનાગ નામક સ્થળ પર છોડ્યાં હતાં. આ તમામ સ્થળ હજી પણ અમરનાથ યાત્રામાં આવે છે.

અમરનાથ ગુફાની સૌથી પહલી ખબર સોળમી શતાબ્દીના પૂર્વાર્ધમાં એક મુસલમાન ભરવાડને પડી હતી. આજે પણ ચોથા ભાગનો ચડાવો તે મુસલમાન ભરવાડના વંશજોને મળે છે. આશ્ચર્યની વાત એ છે કે અમરનાથ ગુફા એક નથી. અમરાવતી નદીના રસ્તા પર આગળ વધતા સમયે અન્ય ઘણી નાની-મોટી ગુફાઓ દેખાય છે, તે બધી બરફથી ઢંકાયેલી છે.

અમરનાથ મહાદેવ અને યાત્રાનો ઈતિહાસ

હિન્દુ ધર્મમાં અમરનાથ ગુફાનું વિશેષ મહત્વ છે. દંતકથા અનુસાર, ભગવાન શિવે મા પાર્વતીને અમરત્વ અને બ્રહ્માંડની રચનાના રહસ્યોનું વર્ણન કરવા માટે આ ગુફા પસંદ કરી હતી.
મા પાર્વતીએ પૂછ્યું – શા માટે તમે અમર છો અને હું વારંવાર જન્મ લઉ છું?

ભગવાન શિવે કહ્યું કે આ અમર કથાને કારણે છે. મા પાર્વતીએ અમર કથા સાંભળવાનો આગ્રહ કર્યો અને લાંબા સમય સુધી ભગવાનને સમજાવ્યા પછી, ભગવાન શિવે તે વાર્તા મા પાર્વતીને સંભળાવવાનું નક્કી કર્યું.

કથાનું વર્ણન કરવા માટે, ભગવાન શિવે એકદમ એકાંત જગ્યા શોધવાનું શરૂ કર્યું જેથી મા પાર્વતી સિવાય કોઈ પણ જીવ અમર કથા સાંભળી ન શકે. આખરે તેને અમરનાથ ગુફા મળી. ત્યાં પહોંચવા માટે, તેમણે તેમનો આખલો નંદી પહેલગામમાં, ચંદનવારી ખાતે તેમનો ચંદ્ર, શેષનાગ તળાવના કિનારે તેમના સાપ, મહાગુણ પર્વત પર તેમના પુત્ર ગણેશ અને પંજતરણીમાં, તેમણે તેમના પાંચ તત્વો (પૃથ્વી) છોડી દીધા. , અગ્નિ, પાણી, હવા અને આકાશ).

Amarnath yatra old photo
Amarnath yatra old photo

આ પછી ભગવાન શિવે મા પાર્વતી સાથે આ પવિત્ર અમરનાથ ગુફામાં પ્રવેશ કર્યો. ભગવાન શિવે હરણની ચામડી પર બેસીને સમાધિ લીધી. એક પણ જીવ પણ ગુપ્ત અમર કથા સાંભળી ન શકે તેની ખાતરી કરવા માટે, તેણે કલાગ્નિ નામના રુદ્રની રચના કરી અને તેને ગુફાની આસપાસ આગ લગાડવાનો આદેશ આપ્યો જેથી તે સ્થાનની આસપાસ રહેતી દરેક વસ્તુનો નાશ થઈ શકે. તે પછી તેમણે મા પાર્વતીને અમરત્વની વાર્તા સંભળાવવાનું શરૂ કર્યું.

પરંતુ આટલા પ્રયત્નો છતાં ભગવાન જે હરણની ચામડી પર બેઠા હતા તેની નીચે ઈંડા સુરક્ષિત રહ્યા. પણ તેને નિર્જીવ ગણવામાં આવતા હતા. તે ઇંડામાંથી કબૂતરોની જોડીનો જન્મ થયો અને માનવામાં આવે છે કે તે અમર બની ગયા. અમરનાથ ગુફા તરફ જતી વખતે યાત્રાળુઓ હજુ પણ કબૂતરની જોડી જોઈ શકે છે.

Amarnath yatra Old photos
Amarnath yatra Old photos


પવિત્ર ગુફાની શોધ

દંતકથા અનુસાર, ભૃગુ મુનિએ અમરનાથની શોધ કરી હતી. લાંબા સમય પહેલા એવું માનવામાં આવે છે કે કાશ્મીરની ખીણ પાણીમાં ડૂબી ગઈ હતી અને કશ્યપ મુનિએ તેને નદીઓ અને નાળાઓની શ્રેણી દ્વારા વહેવડાવી હતી. તેથી, જ્યારે પાણી ઓસરી ગયું, ત્યારે ભૃગુ મુનિ ભગવાન અમરનાથના દર્શન કરનારા સૌ પ્રથમ હતા. ત્યારબાદ, જ્યારે લોકોએ લિંગમ વિશે સાંભળ્યું, ત્યારે તે બધા આસ્થાવાનો માટે ભગવાન ભોલેનાથનું નિવાસસ્થાન બની ગયું.

સમય વીતવા સાથે ભક્તોએ આ કઠિન અને જોખમી તીર્થયાત્રામાંથી પસાર થવામાં વધુ મહેનત કરી ન હતી અને તીર્થયાત્રા સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી.

લોકવાયકા મુજબ 1850માં બુટા મલિક નામના વ્યક્તિ દ્વારા ગુફાની પુનઃ શોધ કરવામાં આવી હતી. તે પહાડોમાં તેના ઢોર ચરાવી રહ્યો હતો જ્યારે એક સૂફી સંતે તેને કોલસાની થેલી આપી, જે પાછળથી સોનાની બની ગઈ. તે સંતનો આભાર માનવા માટે પાછો ગયો પરંતુ તેના બદલે તેને ગુફા અને શિવલિંગ મળ્યા. તેમણે તમામને અને અધિકારીઓને જાણ કરી હતી. મહારાજા રણબીર સિંહ એક શ્રદ્ધાળુ હિંદુએ ભયભીત પવિત્ર ગુફા વિશે જાણ્યા પછી યાત્રા કરી અને ત્યારથી અમરનાથ યાત્રા એક વાર્ષિક ધાર્મિક વિધિ બની ગઈ.

બુટા મલિકના વંશજો ત્યારથી મંદિરના રખેવાળ હતા. દશનામી અખાડા અને પુરોહિત સબાહ મટ્ટનના પૂજારીઓ પવિત્ર ગુફાની સંભાળ લેતા હતા. ત્યાર બાદ મંદિરની બાબતોની દેખરેખ માટે અમરનાથ શ્રાઈન બોર્ડની રચના કરવામાં આવી હતી.

Amarnath yatra rare pic
Amarnath yatra rare pic

⚜ અમરનાથ યાત્રાએ કેવી રીતે જશો ?

અમરનાથ યાત્રાએ જવાના બે રસ્તા છે. એક પહેલગામ થઈ અને બીજો સોનમર્ગ બાલતાલથી. એટલે કે પહેલગામ અને બાલતાલ સુધી કોઈ પણ વાહન દ્વારા પહોંચો, અહીંથી આગળ જવા માટે પોતાના પગોનો જ ઉપયોગ કરવો પડે છે. અશક્ત કે વૃદ્ધો માટે સવારીનો પ્રબંધ કરાય છે. પહેલગામથી જતો રસ્તો સરળ અને સુવિધાજનક ગણાય છે.

બાલતાલથી અમરનાથ ગુફાનું અંતર કેવળ ૧૪ કિલોમીટર છે અને આ બહુ જ દુર્ગમ રસ્તો છે અને સુરક્ષાની દૃષ્ટિ એ પણ સંદિગ્ધ છે. આ માટે સરકાર આ માર્ગને સુરક્ષિત નથી માનતી અને મોટાભાગના યાત્રિકોને પહેલગામના રસ્તે અમરનાથ જવા માટે પ્રેરિત કરે છે. પણ રોમાંચ અને જોખમ લેવાનો શોખ ધરાવતા લોકો આ માર્ગે યાત્રા કરવાનું પસંદ કરે છે. આ માર્ગ દ્વારા જવા વાળા લોકો પોતાના જોખમે યાત્રા કરે છે. રસ્તામાં કોઈ અણધારી ઘટના ઘટે તે માટે ભારત સરકાર જવાબદારી નથી લેતી.

⚜ પહેલગામથી અમરનાથ યાત્રા

પહેલગામ જમ્મુથી ૩૧૫ કિલોમીટર દૂર છે. આ વિખ્યાત પર્યટન સ્થળ પણ છે અને અહીંનું નૈસર્ગિક સૌંદર્ય અપ્રતિમ છે. પહેલગામ સુધી જવા માટે જમ્મૂ-કાશ્મીર પર્યટન કેન્દ્રથી સરકારી બસો ઉપલબ્ધ છે. પહેલગામમાં બિન સરકારી સંસ્થાઓ તરફથી લંગરની (અન્નક્ષેત્રની) વ્યવસ્થા કરાય છે.

ગિરનાર

ગિરનાર પર્વત અને લીલી પરિક્રમાનો રોચક ઈતિહાસ Best 2 Girnar

પહેલગામ પછી પહેલો પડાવ ચંદનવાડી છે, તીર્થયાત્રિઓની પગપાળા યાત્રા અહીંથી આરંભ થાય છે. જે પહેલગામથી આઠ કિલોમીટર દૂર છે. પહેલી રાત તીર્થયાત્રી અહીં વિતાવે છે. અહીં રાત્રિ નિવાસ માટે કેમ્પ લગાડાય છે. બીજા દિવસે પિસ્સુ ખીણની ચઢાઈ શરૂ થાય છે. કહે છે કે પિસ્સુ ખીણ પર દેવતાઓ અને રાક્ષસો વચ્ચે ઘમાસાણ લડાઈ થઈ, જેમાં રાક્ષસોની હાર થઈ. લિદ્દર નદીને કિનારે-કિનારે જો ચંદનવાડીથી આગળ આ જ નદી પર બરફનો આ પુલ સલામત રહે તો પહેલા ચરણની આ યાત્રા વધુ અઘરી નથી.

ચંદનવાડીથી ૧૪ કિલોમીટર દૂર શેષનાગમાં પછીનો પડાવ છે. આ માર્ગ ઊભી ચઢાઈ વાળો અને ખતરનાક છે. અહીં પિસ્સૂ ખીણના દર્શન થાય છે. અમરનાથ યાત્રામાં પિસ્સૂ ખીણ ઘણું જોખમ ભરેલું સ્થળ છે. પિસ્સૂ ખીણ સમુદ્રતટથી ૧૧,૧૨૦ ફૂટની ઊંચાઈ પર આવેલું છે. યાત્રી શેષનાગ પહોંચી તાજામાજા થાય છે. અહીં પર્વતમાળાઓ વચ્ચે ભૂરા પાણીનું સુંદર તળાવ છે.

આ તળાવમાં જોતા એમ ભ્રમ થઈ ઊઠે છે કે ક્યાંક આકાશ તો આ તળાવમાં નથી ઉતરી આવ્યું ને ! આ તળાવ લગભગ દોઢ કિલોમીટર લંબાઈમાં ફેલાયેલું છે. વાયકાઓ અનુસાર શેષનાગ તળાવમાં શેષનાગનો વાસ છે અને ચોવીસ કલાકમાં શેષનાગ એક વખત તળાવમાંથી બહાર આવીને દર્શન આપે છે, પણ આ દર્શન નસીબદારોને જ થાય છે. તીર્થયાત્રી અહીં રાત્રિ વિશ્રામ કરે છે અને અહીંથી ત્રીજા દિવસની યાત્રા શરૂ કરાય છે.

amarnath gufa darshan
Amarnath yatra photo

શેષનાગથી પંચતરણી આઠ માઈલના અંતરે છે. માર્ગમાં બૈવવૈલ ટૉપ અને મહાગુણાસ કોતરને પાર કરવું પડે છે, જેની સમુદ્રતટથી ઊંચાઈ ક્રમશ: ૧૩,૫૦૦ ફૂટ તથા ૧૪,૫૦૦ ફૂટ છે. મહાગુણાસ શિખરથી પંચતરણી સુધી આખો રસ્તો ઉતરાણનો છે. અહીં પાંચ નાની-નાની નદીઓ વહેતી હોવાને કારણે જ આ સ્થળનું નામ પંચતરણી પડ્યું છે. આ સ્થાન ચારે તરફથી પહાડોનાં ઊંચા-ઊંચા શિખરોથી ઢંકાયેલું છે. ઊઁચાઈને કારણે ઠંડી પણ વધુ હોય છે. પ્રાણવાયુની ઉણપને કારણે તીર્થયાત્રિઓને અહીં સુરક્ષાના ઉપાયો કરવા પડે છે.

અમરનાથની ગુફા અહીંથી કેવળ આઠ કિલોમીટર દૂર છે અને રસ્તામાં બરફ જ બરફ જામેલ હોય છે. આ દિવસે ગુફાની નજીક પહોંચી, પડાવ નાખી, રાત વિતાવી શકાય છે અને બીજા દિવસે સવારે પૂજા-અર્ચના કરી પંચતરણી પરત ફરી શકાય છે. અમુક યાત્રી સાંજ સુધીમાં શેષનાગ સુધી પાછા પહોંચી જાય છે. આ રસ્તો ઘણો કપરો છે, પણ અમરનાથની પવિત્ર ગુફામાં પહોંચતા જ યાત્રાનો બધો થાક ઊતરી જાય છે અને અદ્‌ભુત આધ્યાત્મિક આનંદની અનુભૂતિ થાય છે.

⚜ બાલતાલથી અમરનાથ યાત્રા

જમ્મુથી બાલતાલ ૪૦૦ કિલોમીટર દૂર છે. જમ્મૂથી ઉધમપુરને રસ્તે બાલતાલ માટે જમ્મુ કાશ્મીર પર્યટક સ્વાગત કેન્દ્રની બસો સરળતાથી મળી જાય છે. બાલતાલ કેમ્પથી તીર્થયાત્રી એક દિવસમાં અમરનાથ ગુફાની યાત્રા કરી પાછા કેમ્પ પર આવી શકે છે.

નોંધ- અમરનાથની યાત્રા માટે રજીસ્ટ્રેશન કરવુ ફરજીયાત છે. અને ફીટનેસનું પ્રમાણપત્ર (માર્ચ મહિનામા કે તે પછીનું) જોડવુ અનિવાર્ય છે. આ યાત્રા જુન કે જુલાઈ માસમા શરુ થાય છે.

🌼 પોષ્ટમા કોઇ ભુલ-ચુક કે ઉમેરવા જેવી માહિતી આવકાર્ય છે. #અમર_કથાઓ

સોમનાથ મંદિર 1869

સોમનાથ મંદિર | Somnath Temple History 1

મહાશિવરાત્રી

મહાશિવરાત્રી (MahaShivaratri) ઇતિહાસ અને રહસ્ય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *