Skip to content

અખંડ ભારતના શિલ્પી (સરદાર વલ્લભભાઈ પટેલ)

અખંડ ભારતના શિલ્પી (સરદાર વલ્લભભાઈ પટેલ)
313 Views

ડૉ. રાઘવજી માધડ દ્વારા લખાયેલા આ લેખમા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ વિશે સુંદર અને સચોટ રીતે સરદાર વલ્લભભાઈના જીવનના મુખ્ય પ્રસંગોનુ નિરુપણ કરવામા આવ્યુ છે.

અખંડ ભારતના શિલ્પી

વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડતનું ભારતના સ્વાતંત્ર્યસંગ્રામની જેમ જ એક આગવું અને અનોખું મહત્ત્વ છે. વલ્લભભાઈના સમર્પિત જીવનની સિદ્ધિઓનું આ એક શિરછોગું ગણાય છે. બારડોલીની લડત પુરજોશમાં ચાલતી હતી. તેમાં કોઈ એક પ્રસંગે કોઈકના મોંમાંથી વલ્લભભાઈ પટેલ માટે ‘ ખેડૂતોના સરદાર ‘ એવો ઉદ્ગાર નીકળી ગયો હતો. જેમણે જેમણે આ ઉદ્ગાર સાંભળ્યો તેમણે તેમણે ઉપાડી લીધો હતો. તેઓ સ્વાભાવિક રીતે ખેડૂતોના સરદાર તરીકે ઓળખાવા લાગ્યા હતા.

બારડોલીની સમગ્ર લડતનો દોર વલ્લભભાઈના હાથમાં હતો. આ લડતવેળા એકવાર ગાંધીજી આવ્યા હતા. ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી હતી પરંતુ તેમણે ના પાડીને કહ્યું હતું કે , અહીંના ‘ સરદાર ’ વલ્લભભાઈ છે એટલે તેઓ એકલા જ ભાષણ કરી શકે. આમ, ગાંધીજીએ વલ્લભભાઈને રીતસરનું ‘ સરદાર’નું બિરુદ આપ્યું હતું. પછી તો તેઓ માત્ર ખેડૂતોના સરદાર ન રહેતાં, સમગ્ર દેશના લોકહૈયામાં ‘ સરદાર’નું માનભર્યું સ્થાન પામ્યા હતા.

વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ નડિયાદમાં તા. 31-10-1875ના રોજ થયો હતો. તેમનું વતન હતું ખેડા જિલ્લાનું કરમસદ ગામ.

તેમના પિતા ઝવેરભાઈ એક સામાન્ય ખેડૂત હતા. તેઓ રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં અંગ્રેજ સરકાર સામે ઈ.સ.1857 ના સ્વતંત્રતા સંગ્રામમાં લડ્યા હતા. દૃઢતા અને દેશભક્તિ તેમની નસેનસમાં ધબકતી હતી. ગાંધીજીએ કહ્યું હતું : “ ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતોનું જીવન જ સાચું જીવન છે. ” આ ખેડૂતપૂત્રે નાનપણમાં જીવનને ઝીણી નજરે જોયું હતું. ગામડાના જીવનની ઓછપ અને અધૂરપને અનુભવી હતી. આ વાત પિતાની જેમ વલ્લભભાઈએ બાળપણમાં આત્મસાત્ કરી હતી.

ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ વલ્લભભાઈએ નડિયાદ અને વડોદરામાં ઉચ્ચશિક્ષણ મેળવ્યું હતું. વિદ્યાર્થીવયથી જ તેમનામાં નીડરતા, નેતાગીરી કે દૃઢ સંકલ્પબળનાં બીજ પડેલાં હતાં. એક વાર તેમને કાખબલાઈ થયેલી. ગામના વૈદ્યરાજે ઇલાજ માટે લોખંડના ધગધગતા સળિયા વડે ડામ દેવાનું વિચાર્યું, ત્યારે કુમળું બાળક જોઈ ખુદ વૈદરાજ અવઢવ અનુભવવા લાગ્યા હતા. આ સમયે વૈદ્યરાજના હાથમાંથી ગરમ સળિયો લઈ જાતે જ ગાંઠ પર ડામ દઈ દીધો હતો. જોનારાં સૌ દંગ રહી ગયાં હતાં. તેઓના વિશિષ્ટ ગુણોને વ્યક્ત કરતા બાળપણના આવા તો અનેક પ્રસંગો છે.

વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા ; પરંતુ મોટા ભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દઈ ભ્રાતૃભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અનન્ય પ્રેમ પ્રગટ કર્યો હતો, પછીથી તો વલ્લભભાઈએ સખત પરિશ્રમ અને બુદ્ધિચાતુર્યથી એક સફળ વકીલ તરીકેની નામના મેળવી હતી.

એક વખતની વાત છે : વલ્લભભાઈ કોર્ટની કાર્યવાહીમાં વ્યસ્ત હતા, ત્યાં પ્યૂન આવીને એક તાર આપી ગયો. તાર વાંચીને કોઈ જ પ્રતિક્રિયા વગર વલ્લભભાઈએ ખિસ્સામાં મૂકી દીધો. વળી, તેઓ કોર્ટની કાર્યવાહીમાં લાગી ગયા.

કાર્યવાહી પૂરી થયા પછી કોઈએ પૂછ્યું : ” મિ. પટેલ … ! શાનો તાર હતો ? ”

વલ્લભભાઈએ ધીમેથી જણાવ્યું, ‘ મારાં પત્નીનું અવસાન થયું છે ! ‘ આમ, લાગણીને વશ થયા વગર પોતાની ફરજને અડગતાથી અદા કરી હતી.

આમ તો દૂરથી જોનારને વલ્લભભાઈનું વ્યક્તિત્વ એકદમ રૂક્ષ લાગતું. સ્વભાવ પણ બહુ કડક છે એવી છાપ પડતી. પણ એ તેમની બોલી, સચ્ચાઈ અને આખાબોલાપણાના લીધે એમ લાગતું હતું. ખરેખર તો તેઓ નાળિયેર જેવા હતા. નાળિયેર ઉપરથી કઠણ અને બરછટ લાગે પણ અંદરથી મીઠું અને કોમળ હોય છે.

તેમના સ્વભાવની ખાસિયત એ હતી કે કોઈનાથી પણ ડરતા નહિ. ભલભલાને પણ કોઈ જ શેહ – શરમ વગર સાચું અને સ્પષ્ટ સંભળાવી દેતા. વળી, તેમની વાણીમાં જોમ – જુસ્સો અને સચ્ચાઈનો રણકો રહેલો હતો.

બારડોલીની લડત વખતે એક પત્રિકા પ્રગટ કરી હતી અને એક જાગ્રત નેતા તરીકે ચેતવણી આપતાં તેમણે લખ્યું હતું : “ લડાઈ લડવી હોય, તો લગ્નમાં મહાલવાનું ન પોસાય. કાલ સવારે ઊઠીને તમારે ઊગ્યાથી આથમ્યા સુધી ઘરને તાળાં મારી, ખેતરમાં ફરતાં રહેવું પડશે. છાવણી જેવી જિંદગી ગાળવી પડશે. ગરીબ, તવંગર બધા વર્ગ અને બધી કોમ એકરાગ થઈ, એક ખોળિયે પ્રાણ હોય તેમ વર્તે. આપણા હાથેથી એક દમડી સરકારને આપવી નથી, એ નિશ્ચયમાં કાયમ રહેજો, નહિ તો જીવ્યું ન જીવ્યું થઈ જશે અને તાલુકો કાયમના માટે બોજામાં પડશે. ”

વલ્લભભાઈ વીર હતા, એટલા જ વિનોદી હતા. મહાદેવભાઈની ડાયરીમાં વિનોદના ઘણા પ્રસંગો નોંધાયા છે. એક વાર મહાદેવભાઈએ ક્યાંક એક શબ્દ વાંચ્યો. શબ્દ હતો – ‘ રચનાત્મક ગફલત ’ , એમને નવાઈ લાગી. રચનાત્મક ગફલત તે વળી કેવી હોય ?

પણ સરદાર જેમનું નામ … બીરબલની છટાથી બોલી ઊઠ્યા – “ ન સમજ્યા ? આજે તમે દાળ બનાવી હતી, તેવી દાઝેલી દાળ ! ”

વલ્લભભાઈએ જેલયાત્રા પણ વેઠી હતી. દાંડીયાત્રાના પાંચ દિવસ પહેલાં સાત માર્ચના રોજ અંગ્રેજ સરકારે રાસ ગામમાંથી ધરપકડ કરી. તેમણે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા. તે વખતે જેલમાં સજા ભોગવી રહેલા આઝાદી જંગના આંદોલનકારીઓએ ગગનભેદી નારાઓથી જેલની દીવાલોને ગજવી મૂકી હતી.

સરદારની આ પ્રથમ જેલયાત્રા કેટલી કઠિન હતી, તેનું વર્ણન મહાદેવભાઈની ડાયરીમાં મળે છે. ધરપકડના ત્રીજા દિવસે મહાદેવભાઈ અને આચાર્ય કૃપલાણીજી સરદારને મળવા જેલમાં ગયા હતા, તે વખતે થયેલી પ્રશ્નોત્તરીના થોડા અંશો જોઈએ તો –

“ તમને કેવી રીતે રાખે છે.”

“ ચોર – લુટારાની જેમ મને રાખે છે. ”

“ સૂવાને માટે શું ? ”

“ એક કાળો કામળો છે , એની ઉપર આળોટીએ છીએ.”

“ ખોરાકનું કેમ છે ? ”

“ ખોરાકનું તો શું પૂછવું ? બપોરે કંઈક જાડા રોટલા ને દાળ, સાંજે રોટલા ને શાક એમ આપે છે. ઘોડાને ખપે તેવું જ હોય છે.”

આઝાદીકાજે આપણા દેશનેતાઓએ કેવી અને કેટલી યાતનાઓ વેઠી હતી, તેની માત્ર આ એક ઝલક છે. સાબરમતી જેલમાં જ્યાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા, તે વિભાગને ‘ સરદારસ્મૃતિ વિભાગ ’ તરીકે ઓળખવામાં આવે છે.

આપણા એક કવિએ વલ્લભભાઈને ‘વીર’નું વિશેષણ આપ્યું છે. વલ્લભભાઈને મળેલાં વિશેષણોની યાદી લાંબી થાય તેમ છે. તેઓ લોખંડી પુરુષ તરીકે જાણીતા છે.

આપણી રાષ્ટ્રભાષાના કવિ હરિવંશરાય બચ્ચને સરદાર માટે અદ્ભુત કવિતાની રચના કરી છે –

“ હરેક પક્ષ કો પટેલ તૌલતા,
હરેક ભેદ કો પટેલ ખોલતા
દુરાવ યા છિપાવ સે ઇસે ગરજ
કઠોર નગ્ન સત્ય બોલતા !
પટેલ હિંદ કી નીડર જબાન હૈ. “

સરદાર જનસમુદાયની નાડના ભારે પારખુ હતા. લોકસમુદાય પર તેમની જબરદસ્ત પકડ હતી, જેને લીધે સંગઠન અને સંચાલનમાં તેમના બુદ્ધિચાતુર્યનાં દર્શન થતા હતાં. લોકોને થતાં અન્યાય અને દમન સામેની લડતમાં તેઓ હંમેશાં અગ્રેસર રહેતા હતા.

દાંડીકૂચ દરમિયાન લોખંડી મનોબળવાળા સરદારના ઉદ્ગારો જોઈએ તો – –

“ હવે એક ધર્મયુદ્ધ ખેલવાનું છે, જે દુનિયાએ પહેલાં ક્યારેય નહિ જોયું હોય. બધાં ગુજરાતીઓને ટકોરા મારીને કહી દઉં કે મૃત્યુનો ભય હોય તે જાત્રાએ જતા રહે. પૈસા હોય તે પાલવે તો દેશપલાયન થાય. શરમાવું પડે તેવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહિ કરે. ગુજરાતી પ્રજા – સ્વતંત્રતાના ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધનાં મંડાણ કરશે. પ્રભુ સૌનું કલ્યાણ કરે. ઈશ્વર સૌને સહાય કરે. ”

સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ – ગાંધી, સરદાર અને જવાહરલાલ નહેરુ – પૈકીની એક મૂર્તિ. એ યુગના આ ત્રણેય પ્રખર દેશભક્તો. ગાંધીજીએ સત્યને જ આરાધ્યું. સરદારે પાવિત્ર્ય અને નહેરુએ સૌંદર્યનું મહિમાગાન કર્યું.

સરદારના ગુરુ ગાંધીજી હતા. સરદારનાં નૈતિકતા, દૃઢ મનોબળ અને વ્યવહારુપણાનાં અનેક ઉદાહરણો ઇતિહાસના સોનેરી પાને લખાઈને પડ્યાં છે. તેમાં ભારતના ગૃહપ્રધાન તરીકે સરદારની ભૂમિકાને તો ઇતિહાસ ક્યારેય ભૂલી શકશે નહિ.

ભારતમાં અનેક નાનાં – મોટાં દેશી રજવાડાંઓ હતાં. આ રજવાડાંના ઘણા રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસૂબા ઘડતા હતા. તે રાજ્યોના વિલીનીકરણની કપરી અને મહત્ત્વની જવાબદારી સરદારના શિરે આવી હતી. આ કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું. છતાં પણ તેમણે કુનેહપૂર્વક પાર પાડ્યું હતું. જ્યાં સમજાવટથી કામ ચાલ્યું, ત્યાં તેમ કર્યું પણ જ્યાં કડક હાથે કામ લેવાનું બન્યું, ત્યાં કડપ પણ દાખવ્યો.

ભારતનાં આ તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરી રાજાશાહીને નાબૂદ કરી હતી અને રાજાશાહીનો વિકલ્પ પૂરો પાડ્યો હતો. આમ, દેશને અખંડતા બક્ષીને તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાયા.

વિનોબા લખે છે : “ સરદાર સ્પષ્ટ બોલતા હતા. પ્રહાર કરતાં તે ડરતા નહિ. ભલે કોઈને ગમે તે લાગે. વળી , વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે, તો તેથી જરાય ડગમગતા નહોતા.”

ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ સરદાર માટે લખે છે : “ ખેડૂતોની ભાષામાં બોલતા સરદારની આંખોમાં અંગારા જેવી ચમક દેખાતી અને વિરોધીઓનો વિનાશ કરી નાખે, તેવી આંધીનું સર્જન તેમની વાણીમાં થતું. “

ગાંધીજીએ સરદારના એક અત્યંત છૂપા સ્વરૂપને છતું કરતાં જણાવ્યું હતું કે, “ સરદારની શૂરવીરતા, જ્વલંત દેશદાઝ અને અનંત ધૈર્યના ગુણોથી તો હું અજાણ ન હતો પણ તેમણે મને જે પ્રેમથી તરબોળ કર્યો છે, તેવા માતૃપ્રેમ જેવા ગુણ માટે સદાય ઋણી છું. મને તેમની લાગણીઓમાં માતાનું સ્મરણ થઈ આવતું. માતા જ દર્શાવી શકે તેવા ગુણોનું મને સરદારે દર્શન કરાવ્યું. ”

વલ્લભભાઈ સાદગીપ્રિય હતા. ‘ સાદું જીવન અને ઉચ્ચ વિચાર ‘ તેમનો જીવનમંત્ર હતો. જે પોતાની પુત્રી મણિબહેનને પણ તેમણે વારસામાં આપ્યો હતો. ઉત્તરકાળમાં દીકરી મણિબહેને પિત્તાની ઊલટથી સેવા કરી હતી. મણિબહેનની પણ સાદગી એવી કે, થીગડું મારેલી સાડી પહેરવામાં પણ તેઓ નાનપ અનુભવતા નહોતાં.

અખંડ ભારતના આ શિલ્પીનું તા. 15-12-1950ના રોજ અવસાન થયું. ચરોતરના એક નાનકડા ગામમાં જન્મીને છેક દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવાઓ આપનાર સરદારને લાખ – લાખ વંદન.

દુર્ગાભાભી - મહિલા ક્રાંતિકારી

દુર્ગાભાભી : એ મહિલા ક્રાંતિકારી જે ભગતસિંહને બચાવવા તેમના પત્નિ બન્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *