Skip to content

સંત દાસી જીવણનો ઈતિહાસ, પરચા અને ભજનો

સંત દાસી જીવણનો ઈતિહાસ, ભજનો, પરચાઓ
1273 Views

કૃષ્ણ ભકત જીવણદાસ પુરુષ હોવા છતાં પોતાને રાધાનો અવતાર ગણાવતાં હોવાથી દાસી જીવણ તરીકે જાણીતા બન્યા હતા. જીવણ સાહેબ ના ભજન, દાસી જીવણના પરચા

સતી , સંત , શૂરા અને સાવજ સૌરાષ્ટ્ર ભૂમિ ની અમૂલ્ય ભેટ છે..! આ પાવનકારી ભૂમિમાં અનેક અલખના આરાધકો થયા જે ઓલીયા થઈ વર્તમાન સમયમાં માં પણ લોકહૃદયમાં બિરાજમાન છે..!

રાજકોટ જિલ્લા નાં ગોંડલ તાલુકાનાં ઘોઘાવદર ગામે મેઘવાળ સમાજમાં સંત દાસી જીવણ સાહેબ નો જન્મ થયો, પિતાનું નામ જગાભાઈ દાફડા અને માતાનું નામ શામબાઈ માં હતું.
કહેવાય છે નવજાત શિશુ અવતરણ સમયે હંમેશા રડતાં રડતાં અવતરે છે પણ સંતનો જન્મ થયો હસતા હસતા..!

બાળપણ થી જ ભક્તિ નાં રંગે રંગાયેલા એટલે લોકો જીવણને જીવણ ભગત કહી બોલાવતા,ભગત ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ની ભક્તિ માં રંગાયેલા હતા

દાસી જીવણ એ રવિભાણ સંપ્રદાયનાં ઓજસ્વી સંતકવિઓની વેલનું અમરફળ છે. રવિસાહેબ અને દાસી જીવણના પદોએ આટલાં વર્ષે પણ જનમાનસનાં હૈયામાં પોતાનું સ્થાન અણડોલ પણે જાળવી રાખ્યું છે. આમ તેમના ભજનને આત્મજ્ઞાનની અનુભવરૂપી વાણીનો જ એક પરિપાક ગણવામાં આવે છે. તેમણે દાસીભાવે અનેક પદો અને ભજનો રચ્યાં, જે આજેય લોકજીભે પ્રચલિત છે.

દાસી જીવણનો પરિચય

દાસી જીવણનો જન્મ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાનાં ઘોઘાવદર ગામમાં થયો હતો. જે સંવત ૧૮૦૬ માં આસો મહિનાની અમાસ એટલેકે દિવાળીના દિવસે મેધવાળ જ્ઞાતિનાં એક ગરીબ કુંટુંબમાં થયો હતો. તેમનું મુળનામ જીવણદાસ હતું. તેમનાં પિતાનું નામ જગાભાઇ દાફડા અને માતાનું નામ સામબાઈ હતું.

દાસી જીવણનાં પિતાનો વ્યવસાય તે સમયનાં ગોંડલ સ્ટેટનાં મરેલા પશુઓનાં ચામડાં ઉતારી તેને કેળવવાનો ઈજારો રાખવાનો હતો. ગોંડલ સ્ટેટનાં ચમારોમાં દાસી જીવણનાં પિતાનું બહુ મોટું નામ ગણાતુ હતું. વ્યવસાય પ્રમાણે કોઈ કોઈ માણસો તેને ચમાર જ્ઞાતિનાં પણ ગણે છે.

ધાર્મિક લાગણી અને ઈશ્વરી આસ્થા દાસી જીવણના કુંટુંબનું અંગ બની ગયા હતા. રાત પડે અને જગા દાફડાની ડેલીએ ભજનો શરૂ થાય. સાધુ-સંતો માટે તેમનું ઘર આશરો બની રહેતું. આવા વાતાવરણ વચ્ચે દાસી જીવણનો ઉછેર થતો હતો. દાસી જીવણ પોતાના પિતાનાં વ્યવસાય કરતાં કરતાં મન તો ભક્તિના રંગમાં ડુબેલું જ રાખતા. આમ સમય જતાં તે યુવાનાવસ્થામાં પહોંચ્યા.

લગ્નજીવન અને ગુરૂનો મેળાપ

દાસી જીવણ યુવાન થતા તેમના પિતા અને માતાએ તેમના માટે સારી કન્યા ગોતવા માંડયા. લગ્ન માટે આમતો દાસી જીવણની ઈચ્છા ન હતી છતા પણ પોતાના માતાપિતાની આજ્ઞાને શિરે ધરી. સમય થતા જાલુમા નામની કન્યા સાથે તેમના લગ્ન થયા. પોતાનો સંસાર સમયનાં વહેણની સાથે ચાલવા લાગ્યો અને તેમને ત્યાં એક પુત્રનો જન્મ થયો. તેમનુ નામ દેશળ રાખવામાં આવ્યુ. સંસારની જવાબદારી વધવા છતા પણ તેમનો ભક્તિમાં લીન રહેવા લાગ્યા.

તેઓ આજુબાજુના ગામમાં થતા ભજનમાં પણ જવા લાગ્યા. હવે તો પોતાનાં ઘરમાં પણ સાધુઓની અવર જવર વધવા લાગી. તેમના પિતાએ શરૂ કરેલ આતિથ્ય સતકારની ભાવનાથી રંગાયેલ દાસી જીવણને આ કાર્યમા આનંદ આવતો હતો. આમ એક દિવસ રવિભાણ સંપ્રદાયનાં સિધ્ધસંત ત્રિકમ સાહેબનાં શિષ્ય એવા આમરણ(તા.મોરબી) નિવાસી સંતશ્રી ભીમ સાહેબના સમ્પર્કમાં આવ્યા પછી પ્રેમલક્ષણા ભકિતનો ઉદય થયો. તેમની સાથે ભક્તિની વાતો કરે અને સતસંગમા આનંદ મેળવતા હતા.

આમ પણ દાસી જીવણને નાનપણથી જ ખ્યાલ હતો કે ગુરૂ વિના સાચુ જ્ઞાન મળતુ નથી, અને જો ઈશ્વરનાં દર્શન કરવા હોય તો ગુરૂજ્ઞાન થવુ જરૂરી હતુ. દાસી જીવણને જયારે કોઈ સંત તેજસ્વી લાગતા ત્યારે તે પોતાના ગુરૂ માનીને કંઠી બંધવતા હતા. આમ પ્રભુ ઉપાસનાનાં પંથે પડેલા દાસી જીવણે ૧૭ વખત ગુરૂ બદલાવ્યા, પણ ક્યાંય મેળ ન જામ્યો. પોતાનુ હૈયુ ઠરે તેવા ગુરૂની શોધમાં હતા.

તેવામાં તેમને ભીમસાહેબનો ભેટો થયો. મનમાં જેવા ગુરૂની કલ્પના કરી હતી તે સાકાર થઈ. પરમતત્વની લે લાગી ગઈ. હદયનાં કમાડ ઉઘડી ગયા અને દાસી જીવણની વાણી વહેતી થઈ.

દાસી જીવણનાં ગુરુ સંતકવિ ભીમ સાહેબ

ભીમ સાહેબ : ગુરુ પૂર્ણિમાએ વાંચો દાસી જીવણનાં ગુરુ સંતકવિ ભીમસાહેબનો ઈતિહાસ

દાસી જીવણની રચનાઓ

દાસી જીવણની રચનાઓ વિશે પણ બે અભિપ્રાય જોવા મળે છે. એક અભિપ્રાય પ્રમાણે તેમની ૧૦૮ રચનાઓ છે, તો બીજા અભિપ્રાય પ્રમાણે કહેવા મુજબ ૧૭૦ રચનાઓ છે. 

યૌગિક રહસ્યની અનુભૂતિ, ગુરુમહિમા અને પ્રેમલક્ષણા ભક્તિનાં પદો

રૂપકાત્મકતા, તલપદા વાણી વલોટો અને હિન્દીની છાંટવાળા પદો એમની વિશેષતા છે.

તેમની રચનાઓ પ્યાલો, કટારી, બંગલો, મોરલો, હાટડી, ઝાલરી વગેરે સાહિત્યમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે.

દાસી જીવણ અને પરચાઓ

દાસી જીવણ સંસારમાં રહીને ભક્તિ કરતાં , તેમનાં પત્નિ નું નામ જાલુમા હતું..! જાલુમા પણ સરળ નિખાલસ અને સહૃદયી સ્વભાવ નાં હતાં, સંતનાં અર્ધાંગિની તરીકે જાલુમા ગૌરવ અનૂભવતા..! ,ભક્ત ની લાજ સદાય હરિને હાથ હોય છે..!’ અને પરમાત્મા સદાય તે જાળવતા હોય છે. પોતાના ભક્તની કસોટી કરતા હોય છે પણ ભક્ત ની લાજ સદાય જાળવતા હોય છે.

સંતની આર્થિક સ્થિતિ અતિશય નબળી હતી, ગરીબાઈ આંટો લઈ ગયેલી..! શ્રાવણ માસનો સમય આવ્યો, સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસ ધાર્મિક ભાવના સાથે સાતમ આઠમ નાં તહેવારો મોજ થકી ઊજવે છે,પણ સંતનાં ખિસ્સામાં, ઠનઠન ગોપાલ, હતી..! સૌ સાથે સાતમ આઠમ નાં તહેવારો ઊજવવા ની ચિંતા સંતને સતાવતી હતી,જીવણ ભગતે જાલુમા ને પૂછ્યું : તમારા પાસે કંઈ પૈસા છે..? સાતમ આઠમ માટે હટાણું કરી આવીયે,

જાલુમા એ પોતાની પાસે રહેલા દશ રાણી છાપ સિક્કા ભગતના હાથમાં આપતાં ભગતનાં જીવમાં જીવ આવ્યો..!
આપણે ગોંડલ હટાણું કરવા જવું છે , જીવણ ભગતે કહ્યું.

જાલુમા એ કહ્યું : ભગત..! હું તમારી સાથે હટાણું કરવા આવું તો ખરી પણ તમે મને છોડીને ક્યાંય ભજનમાં તો નહિ જતાં રહોને..?

ભગત ખડખડાટ હસવા લાગ્યા.
હટાણું કરવા બન્ને પગપાળા ગોંડલના પંથે પડ્યા, ચાલતા ચાલતા ગોંડલ નાં પાદરમાં પંહોચ્યા, ભગતે જાલુમા ને ત્યાં બેસાડીને હમણાં આવ્યો તેમ કહ્યું ત્યારે જાલુમા એ ભગતને ફરી ભજનમાં તો નહિ જતાં રહોને..? એવું પૂછ્યું

અચાનક જીવણ ભગતને બાજુનાં સુલતાનપુર ગામે ભજનમાં જવાનું યાદ આવતા સંત તો નીકળી ગયા..! મોડે સુધી રાહ જોઈ સંત ન આવતા જાલુમા ઘોઘાવદર પરત ફર્યા..!

રાત્રી પસાર થઈ ભગતના કોઈ સમાચાર ન આવ્યાં પણ સવારે જાલુમા એ બારણું ખોલ્યું ત્યાં સાતમ આઠમ નાં તહેવારો ઉજવવા સિધો સામાન પડેલ જોયાં, ભગત આવ્યાં નો ભાસ થયો પણ ભગત દેખાયા નહિ..!

જાલુમા એ સાતમ આઠમ માટે રસોઈ બનાવી ,જીવણ ભગતની ચાર દિવસ રાહ જોઈ , ભગત આવ્યાં અફસોસ કરતા કહ્યું : મેં આપનાં તહેવાર બગાડ્યા ,સિધો સામાન પણ ન લીધો અને તમોને પરેશાન કર્યા.. તમે સાતમ આઠમ ઉજવી કે નહિ..?,

ત્યારે જાલુમા એ કહ્યું : ભગત..! તમે તો સિધો સામાન આપી ગયા અને પાછી મજાક કરો છો.. ખરાં છો તમે હો..!,

જીવણ ભગતને માનવામાં નહોતું આવતું પણ હકીકત હતી પોતાના ભક્તની લાજ રાખવા ખુદ શ્રીકૃષ્ણ પરમાત્મા ને જીવણ ભગતનું રૂપ ધરવું પડેલું..! જીવણ ભગત પરમાત્મા નું સ્મરણ કરી કહેવા લાગ્યા : હે નાથ..! મને માફ કરજે વ્હાલા..! મારા ખાતર તારે પોતાને ધક્કો ખાવો પડ્યો..! ખરેખર હું ખુબજ દિલગીર છું.

———

એકવાર ઘોઘાવદરથી દાસી જીવણ અને તેમના શિષ્ય તેમજ અન્ય માણસો સાથે પરબધામ (દેવીદાસ બાપુની જગ્યાએ) ગયા. તે વખતે દાસી જીવણ સંત કહેવાતા હતા. હવે બન્યુ એવુકે ત્યાના તે વખતના મહંત શાદુળભગત હતા. ત્યા દાસી જીવણ બધા સાથે રોકાયા હતાં. તે દરમિયાન જગ્યામાં પાણીનો કુવો હતો. દાસી જીવણ કુવા પાસે ગયા અને કહ્યુકે શાદુળભગત કુવામાં પાણી નથી ?

જેથી જવાબ આપતા શાદુળભગતે કહ્યુકે ફરતી સીમનાં ગાયુનાં ધણ ધા નાખે છે. કસ જોવરાવ્યો પણ પાણી નથી. જેથી દાસી જીવણે કુવામાં ઉતરીને કસ જોઈ દેવા તૈયારી બતાવી. અને થોડીજ વારમાં ખાટલીમાં બેસાડીને જીવણદાસજીને કુવામાં ઉતાર્યા અને પછી દાસી જીવણના સંતપણાના પારખા લેવા શાદુળભગતે ખાટલી કુવામાંથી બહાર કઢાવી લીધી.

પથ્થરોના તળ તપાસીને દાસી જીવણે કહ્યુકે મને હવે ઉપર સીંચી લ્યો. જેથી શાદુળભગતે કહ્યુકે એ નહી બને. આ કુવામાં પાણી આવ્યા વગર તમને બહાર નથી કાઢવા. તમે તો સંત છોને તો ત્યાજ પાણી આવે તેવુ કરો તો જ હુ માનું. દાસી જીવણે કહ્યુકે અરે ભાઈ, મારામાં એવુ સત નથી. મારી આબરૂ ન લે. છતા શાદુળભગત ન માન્યા.

અંતે દાસી જીવણે પોતાનો એકતારો દોરડા મારફત મંગાવ્યો અને દાસી જીવણે પ્રભુને રીજવવા અને પાણી લાવવા એક સાથે ચાર ભજન કુવામાં ગાયા હતાં. અને તે બાબત ઇતિહાસમાં પણ સાક્ષી પુરે છેકે તેમનાં દાસીપણા અને સંગીતનાં જોરે સુકેલા કુવામાં પાણી આવ્યા હતા. અને તે સમયે શાદુળભગત દાસી જીવણના પગે પડી ગયા અને તેમનુ દીલ દુભાયુ તે બદલ પસ્તાવા રૂપે વચન આપ્યુકે જ્યા લગી આકુવો છે તેમા કોઈ દિવસ આભળછેટ નહી લાગે અને અઢારેય વરણ તેમા પાણી પીશે.

આમ દાસી જીવણે પરચો પુર્યો હતો. આ ઉપરાંત ગોંડલ સ્ટેટનાં કર ન ભરવા માટે થઈને જેલમાં પુર્યા હતાં. તે દિવસે પણ તેની પત રાખવા ખુદ ભગવાન કૃષ્ણએ તેમનો દંડ ભર્યો હતો અને દાસી જીવણને છોડાવ્યા હતા. ભગવાને દાસી જીવણને છોડાવવા માટે આપેલ કોરી આજે પણ ગોંડલ સ્ટેટના વારસદારો પાસે છે. આમ દાસી જીવણ કામ પણ ભગવાને કરેલા છે.

સંત શ્રી દેશળ ભગત

સંતશ્રી દેશળ ભગત – ગરણી | Saurashtra Na Sant Deshalbhagat

વંશ પરંપરા

દાસી જીવણને સંતાનમાં એકજ પુત્ર દેશળ હતા, જે સમય જતા દેશળભગત તરીકે ઓળખાયા. દેશળભગતને સંતાનમાં એકમાત્ર પુત્રી હતા અને તેને ઘોઘાવદર પાસેના મોટા દડવા ગામે પરણાવેલા. જમાઈ સાતા ભગત ઘોઘાવદર રહેતા. સાતા ભગતને બે પુત્રો પુરણદાસ અને હમીરદાસ થયા. પુરણદાસના ત્રણ પુત્રો હિરદાસ, જીવાદાસ અને મંગળદાસ થયા. તેઓનાં વંશજો અત્યારે દાસીજીવણની જગ્યામાં પુજા વગેરે કામ સંભાળે છે.

દાસી જીવણનુ સમાધીમંદીર

પોતાના જીવનમાં ભક્તિ કરતા કરતા ૭૫ વર્ષનું આયુષ્ય ભોગવીને સંવત ૧૮૮૧નાં વર્ષમાં ઘોઘાવદર ગામમાં સમાધી લીધી. તેમના સમાધિસ્થાન ઉપર મંદીર બંધાયુ છે. તેમાં દાસી જીવણ, તેમના પત્ની અને પુત્રની મુર્તિઓ છે. મંદીરની બાજુમાં જુના વખતની દેરી પણ જાળવી રાખવામા આવી છે. તેમના પગલા પુજાય છે. દાસી જીવણનાં એક ભકત અમરાબાપાના પગલા પણ દેરીની બાજુમાં આવેલા છે. તેમના વંશજ ગોંડલના કોન્ટ્રાકટર રાણાભાઈએ ૧૯૭૪મા સમાધીમંદીરનો જીર્ણોધાર કરાવી વર્તમાન મંદીર બંધાવ્યુ છે. સમાધીમંદીરના દ્વાર પર દાસી જીવણની વિશાળ કદની તસવીર લટકાવવામાં આવી છે.

મેકરણ દાદા નો ઇતિહાસ

સંત મેકરણ દાદા નો અમર ઈતિહાસ વાંચો ભાગ 1 થી 3

1 thought on “સંત દાસી જીવણનો ઈતિહાસ, પરચા અને ભજનો”

  1. Pingback: સંત વેલનાથ બાપુનો ઇતિહાસ અને પરચાઓ ભાગ 1 - AMARKATHAO

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *