Skip to content

ભોજા ભગત | ભોજલરામ બાપાનો સંપુર્ણ ઇતિહાસ Bhoja bhagat

સંત કવિ ભોજા ભગત
10228 Views

જલારામબાપાનાં ગુરુ એટલે સંત કવિ ભોજા ભગત. આજે વાંચો ભોજા ભગત નાં જીવન અને તેમની રચનાઓ વિશે. Bhojalram bapa, bhoja bhagat, bhoja bhagat na chabkha, Jalarambapa na guru. ભોજલધામ ફતેપુર, ભોજા ભગતના ચાબખા. ભોજલરામ બાપાનું જીવન. ભોજલરામ બાપાના પરચાઓ, ભોજા ભગતની રચનાઓ, ભોજલરામ બાપાનાં ભજન.

‘‘કીડી બિચારી કીડલી રે, કીડીનાં લગનીયા લોવાય,
પંખી પારેવડાંને નોતર્યા, કીડીને આપ્યા સન્માન,
હાલોને કીડી બાઈની જાનમાં હાલોને કીડી બાઈની જાનમાં “

ભોજલરામ બાપા (ભોજા ભગત) નું જીવન

આ પ્રખ્યાત ભજનના રચયિતા સંતકવિ એટલે ભોજા ભગત. ગિરનારની છત્રછાયામાં જેતપુર આવેલું છે. તેની બાજુમાં દેવકીગાલોળ ગામમાં ભોજા ભગતનો જન્મ થયો હતો. બુદ્ધપૂર્ણિમાનાં પાવન દિવસે તેમનો જન્મ થયો. કરશનદાસ અને ગંગામાં તેમના માતાપિતા. આવા તેજપૂંજ સમા પુત્ર રતનનાં આગમનથી કણબી કુટુંબમાં હરખની હેલી ચડી. અને હા … એમની જન્મભૂમિ ભલે દેવકીગાલોળ, પરંતુ તેઓએ અમરેલી પાસે આવેલા ફતેપુરને એમની કર્મભૂમિ બનાવી.

રાજાશાહીના વખતમાં ખેડૂતો એક સ્થળેથી બીજા સ્થળે ખેતી કરવા જતા હતા. ‘‘ જ્યાં ગાજે ત્યાં ગરાસ ” એ કહેવત પ્રમાણે જ્યાં સારો વરસાદ હોય, રાજા અને રાજ વ્યવસ્થા સારી ત્યાં જઈને લોકો વસતા. આવા જ કોઈ કારણસર આ કુટુંબ દેવકીગાલોળથી નીકળ્યું. વડોદરા રાજ્યનાં અમરેલી શહેરથી ત્રણ માઈલ દૂર ચક્કરગઢ ગામે આવ્યું. ત્યાંના નારણબાપા ધોરાજિયા ભોજા ભગતનાં માસિયાઈ ભાઈ થતા હતા.

પરંતુ ભોજા ભગતને કોઈ શાંત સ્થળમાં આશ્રમ બાંધી ભગવાનની ભક્તિ કરવાની તાલાવેલી જાગી.

અમરેલીથી દક્ષિણમાં બે માઈલનાં અંતરે એક ટીંબો હતો. સરસ મજાની વનરાજી ખીલી હતી. કેસુડાએ કામણ પાથર્યા હતા.
પરંતુ આ ટીંબા ૫૨ આવીને કોઈને વસવાનું ગમતું ન હતું. કારણ કે તે વખતનાં લોકો એવું માનતા હતા કે ટીંબા ઉપર ભૂતાવળ થાય છે. એટલે લોકો ત્યાં જતા નહીં. જો જાય તો રાત્રિ પહેલાં તે સ્થળ છોડી દેતા. આ વાત ભોજા ભગતે જાણી. તેમને ખૂબ દુ:ખ થયું. તેમણે લોકોનાં આ વહેમને દૂર કરવા માટે જ આ સ્થળે આશ્રમ બાંધ્યો.

આ ટીંબો એટલે આજનું ફતેપુર ગામ. હરિકીર્તનનાં સ્વર ગુંજવા લાગ્યા. વહેમી લોકોનાં વહેમ ઉપર ફતેહ મેળવી એટલે આ ગામનું નામ ફતેપુર કહેવાયું. કોઈ કહે છે બાપાએ વહેમ ઉપર ફતેહ કરી, તો કોઈ કહે છે બાપાએ ભૂત ઉપર ફતેહ કરી, પણ લોકો અહીંયા આવીને વસવા લાગ્યા. ધીમે ધીમે આ આશ્રમ અમરેલી જિલ્લાનું તીર્થધામ ‘ ભોજલધામ ’ બની ગયું.

ભોજલરામ બાપાનાં બે સમર્થ શિષ્યો થઈ ગયા. એક હતા જલારામ અને બીજા હતા વાલમરામ.

એક વાર ફતેપુરમાં મોટો મેળો ભરાયો. તેમાં હજારો ભક્તો તથા સંતો – મહંતો પધાર્યા હતા. તેમાં સંતો – ભક્તોને જમાડવાની આગેવાની જલારામનાં શીરે હતી. નાની ઉંમરનાં શિષ્ય જલારામને વારંવાર શંકા જતી કે રસોઈ ખૂટશે તો ? એટલે વારંવાર ભોજલરામ બાપાને પૂછવા જતા. કામ પૂર્ણ થતા વળી બાપાને પૂછવા ગયા કે બાપા ! હવે હું શું કરું ? એટલે બાપાએ રમૂજમાં કહ્યું કે , ‘‘ જા પડ પાટમાં.”

બસ બાપાનાં મુખેથી નીકળેલા શબ્દ એટલે બ્રહ્મવાક્ય.

જલારામ જઈને આખી રાત પાણીમાં ઊભા રહ્યાં. સવારે બાપાને ખબર પડી કે જલારામ તો સાચે જ પાટમાં પડેલ છે. તેમણે જલારામને બોલાવ્યા. ગુરુ – શિષ્ય ભેટી પડ્યા. આવી હતી જલારામની ગુરુભક્તિ.

બીજા શિષ્ય વાલમરામ. ગારિયાધારમાં આ વાલમરામ બાપાની જગ્યા છે અને ત્યાં સવાર – સાંજ પૂજા – અર્ચના થાય છે અને સદાવ્રત પણ ચાલે છે.

આ મહાનસંત ભોજા ભગતનાં રચેલા પદો ચાબખા નામે જાણીતા છે : ભોજાભગતે જગતના સ્વાર્થી અને દંભી લોકોને રીતસરનાં આડે હાથ લીધા છે. જેમ ચાબુકનાં ચાબખા મારવામાં આવે એ રીતે આવા લોકોને બરાબરના ઠપકાર્યા હોવાથી આવી રચનાઓ ‘ચાબખા’ તરીકે પ્રસિદ્ધ થયા.

-: ભોજા ભગત નાં ચાબખા :-

દુનિયા ભરમાવા ભોળી રે,
ચાલ્યો બાવો ભભૂતી ચોળી રે,
દોરાદાગા ને ચીઠ્ઠી કરે,
બાવો આપે ગુણકારી ગોળી રે ..
મનથી ફેરવો માળા રે,
મેલી દીયો જગતનાં ચાળા રે,
અનેક જન્મ થયા અડવડતા,
ને કર્મ લાગ્યા કાળા રે …

મૂરખો રળી રળી કમાણો રે, માથે મેલસે મોટો પાણો.
ધાઇ ધુતીને ધન ભેળું કીધું, કોટિધ્વજ કહેવાણો;
પુણ્યને નામે પા જૈ ન વાવર્યો, અધવચેથી લૂટાણોરે.
મૂરખો….
ભર્યા કોઠાર તારા ધર્યા રહેશે, નહિ આવે સાથે એક દાણો;
મસાણની રાખમાં રોળાઇ ગયા કઇક, કોણ રંકને કોણ રાણોરે. મૂરખો…
મંદિર માળિયાં મેલી કરીને, નીચે જઈ ઠેરાણો;
ભોજો ભગત કહે મુવા પુઠે જીવ, ઘણો ઘણો પસ્તાણો રે.
મૂરખો…..

અંતમા ભોજા ભગતનું પ્રખ્યાત અને તત્વજ્ઞાનનાં ગુઢ રહસ્યોથી ભરેલુ ખુબ જ પ્રખ્યાત ભજન માણીને આ લેખ પુરો કરુ છુ.

🌺 હાલોને કીડી બાઇની જાનમાં – ભોજા ભગત

કીડી બિચારી કીડલી ને કીડીના લગનીયા લેવાય
પંખી પારેવડા ને નોતર્યા…હે કીડી ને આપ્યા સન્માન
હાલો ને કીડીબાઇની જાનમાં….

મોરલે બાંધ્યો રૂડો માંડવો રે, ખજુરો પિરસે ખારેક
ભુંડે રે ગાયાં રૂડાં ગીતડાં…હે પોપટ પિરસે પકવાન,
હાલો ને કીડીબાઇની જાનમાં….

મંકોડાને મોકલ્યો માળવે રે લેવા માંડવીયો ગોળ
મંકોડો કેડે થી પાતળો…હે ગોળ ઉપડ્યો ન જાય
હાલો ને કીડીબાઇની જાનમાં….

મીનીબાઇને મોકલ્યાં ગામમાં રે એવા નોતરવાં ગામ
હામા મળ્યા બે કૂતરા…હે બિલાડીના કરડ્યા બે કાન
હાલો ને કીડીબાઇની જાનમાં….

ઘોડે રે બાંધ્યા પગે ઘુઘરા રે, કાકીંડે બાંધી છે કટાર
ઉંટે રે બાંધ્યા ગળે ઢોલકા…હે ગધેડો ફુંકે હરણાઇ
હાલો ને કીડીબાઇની જાનમાં….

ઉંદરમામા હાલ્યા રે રીહામણે ને, બેઠા દરીયાને પેટ
દેડકો બેઠો ડગમગે…હે મને કપડાં પેહરાવ
જાવું છે કીડીબાઇની જાનમાં….

વાંસડે ચડ્યો એક વાંદરો રે, જુએ જાનની વાટ
આજતો જાનને લુટવી…હે લેવા સર્વેના પ્રાણ
હાલો ને કીડીબાઇની જાનમાં….

કઇ કીડીની કોની જાન છે રે, સંતો કરજો વિચાર
ભોજા ભગતની વિનતી…હે સમજો ચતુર સુજાણ
હાલો ને કીડીબાઇની જાનમાં….

કીડી બિચારી કીડલી ને કીડીના લગનીયા લેવાય
પંખી પારેવડા ને નોતર્યા…હે કીડી ને આપ્યા સન્માન
હાલો ને કીડીબાઇની જાનમાં…..

  • ભોજા ભગત
જડ ભરત કોણ હતા ? શા માટે બધા એને જડભરત કહેતા ?

જડ ભરત કોણ હતા ? શા માટે બધા એને જડભરત કહેતા ? વાંચો અનોખી કથા

ભોજલરામ બાપા (ભોજા ભગત) નો ઈતિહાસ

આમ તો ભોજલરામબાપા (ભોજા ભગત)ના નામથી કોઈ અજાણ નહી જ હોય. અમરેલીના લાપાળીયા ગામથી પાંચેક કી.મી. દુર જ ફતેપુર ગામે ભોજા ભગતનો આશ્રમ છે. જલારામબાપાને પણ સહુ જાણતા જ હશે, ભોજાબાપા તેમના ગુરુદેવ હતા.

કાઠિયાવાડના કોઈ ઊંડાણના ગામડામાં જઇ ચડીએ ને ગળતી રાતના ગામના ચોરે રામજી મંદિરની પાર્યે બેસીને ગાતા કોઈ ભાવિક ભજનિકના તંબૂરાના તારથી ટપકતું ‘હાલો કીડીબાઈની જાનમાં’ ભજન સાંભળીએ ત્યારે ભાવવિભોર બની જઇએ છીએ. ભજનાન્તે ભોજા ભગતનું નામ આવે છે. સૌરાષ્ટ્રના સુપ્રસિઘ્ધ સંતકવિ ભોજા ભગતના જીવન – કાર્ય વિશે આપણે ભાગ્યે જ ઝાઝું જાણતા હોઈએ છીએ. આજથી સવા બસો વર્ષ પૂર્વે થઇ ગયેલા ભોજા ભગતના અવતારકાર્ય અને તેમના સર્જનકાર્યનો અછડતો પરિચય કરાવવાનો અહીં ઉપક્રમ રાખ્યો છે.

સૌરાષ્ટ્રમાં જેતપુર પાસે આવેલા દેવકીગાલોલ નામના નાનકડા ગામના ભોળા હૃદયના કૃષ્ણભક્ત શ્રી કરશનદાસના ખોરડે ભોજા ભગતનો જન્મ થયો. એ વર્ષ હતું સને ૧૭૮૫નું. એમનાં માતાનું નામ ગંગાબાઈ. જ્ઞાતિએ લેઉવા કણબી અટક એમની સાવલિયા. કહેવાય છે કે પૂર્વ જન્મનું અઘૂરું રહેલું કાર્ય પૂરું કરવા ધર્મપરાયણ જીવન જીવતાં દંપતીને ત્યાં તેમણે અવતાર ધારણ કર્યો.

શ્રી મનસુખભાઈ સાવલિયા ભોજા ભગતની વાણીમાં લખે છે કે માનવ કલ્યાણનું મહાન કાર્ય કરવા અવતરેલ આવા પુરૂષોમાં સામાન્ય લોક સમુદાયથી ભિન્ન એવી વિલક્ષણતા હોય છે. પરિચિત ચીલાને ચાતરીને તેઓ નવો પંથ શોધે છે. જન્મથી માંડીને બાર વર્ષની ઉંમર સુધી ભોજા ભગત ફક્ત દૂધ પીને જ રહેલા. દિવ્ય તેજવાળા દુધાહારી બાળક ભોજલની ખ્યાતિ લોકવાયકાના વેગીલા અશ્વ પર સવાર થઇને ગુજરાતના ખુણે ખુણે ધૂમી વળી. અસંખ્ય લોકો તેમના દર્શને આવવા લાગ્યા. જ્ઞાનના આ નાના તણખામાં અજ્ઞાન અને અધર્મના ઘોરવનને બાળી નાખનાર મહાજ્યોતિનાં દિવ્ય દર્શન તેઓને થવા લાગ્યા.

બાળભોજા ભગત બાર વર્ષ સુધી દુધાહારી રહ્યા ત્યારે વિસ્મયકારક ઘટના ઘટી. એ વખતે ગિરનાર ઉપરથી અતીતોની વનશાખાના રામેતવન નામના એક અતીત યોગી દેવકીગાલોલ ગામે આવી ચડ્યા. રામેતવને આ દિવ્યકાંતિવાળા બાળકની મહાદશાનાં દર્શન પળવારમાં જ કરી લીધા. ચાર આંખો મળી. અને આ તપસ્વીએ દ્રષ્ટિ દ્વારા શક્તિપાતની ક્રિયાથી ભોજા ભગતને દીક્ષા દીધી.

મન, વચન અને કર્મથી જનસેવાનો મહામંત્ર આપી ભગતના માતાપિતાને કહ્યું‘ તમારો દીકરો માનવ કલ્યાણ કરવા જન્મ લેનાર મહાન વિભૂતિ છે. સમાજનો ઉઘ્ધાર કરનાર મહાવિભૂતિ છે. ઇશ્વરમાં એકાકાર થઇ જનાર યોગી છે. સંસારના બંધનો એને બાંધી શકશે નહીં.’ આટલું કહીને સાઘુ ગિરનારના શેષાવન તરફ સિધાવી ગયા. કહેવાય છે કે ત્યાર પછી ભોજા ભગતને કદી પણ આ તપસ્વીના દર્શન થયા નહીં.

જીવનના ૨૪ વર્ષ સુધી દેવકીગાલોલ ગામમાં રહ્યા પછી દુષ્કાળ અને રાજકીય અંધાઘૂધીને કારણે એમનું કુટુંબ અમરેલી નજીક ચક્કરગઢ ગામે આવ્યું. અહીં માસીયાઈ ભાઈને ત્યાં થોડો વખત રહ્યા. ભોજા ભગતને કોઈ શાંત સ્થળમાં આશ્રમ બાંધી રામરટણમાં આઠેય પહોર રત રહેવાની ઝંખના જાગી. એ કાળે અમરેલીથી બે માઈલના અંતરે ફતેપુરિયા એક ઉજ્જડ ટીંબો હતો. બાજુમાં વહેતી ઠેબી નદીના કારણે આજુબાજુ ગાઢ વૃક્ષ વનરાજિની રમણીયતા હતી. પક્ષીઓના કલરવથી પ્રકૃતિનું વાતાવરણ ભર્યું ભર્યું લાગતું હતું. પણ લોકો કહેતા ટીંબો તો ભૂતાવળનું ધામ છે.

વહેમ અને અંધશ્રઘ્ધાના અંધારા ઉલેચવા અવનિ પર અવતાર લઇને આવેલા ભોજા ભગતે અહીં જ આશ્રમ બાંઘ્યો. પ્રકૃતિદેવીએ પોતાની રમણીયતાથી ટીંબાને ભર્યો ભર્યો બનાવ્યો. ભોજા ભગતે અહીં વસવાટ કરીને કહ્યું પંચભૂતના બનેલા માનવીએ એક ભૂતથી ડરવાની શું જરૂર છે ? એવો ઉપદેશ આપી લોકોનો વહેમ દૂર કર્યો. એક સમયે જ્યાં નરી ભૂતાવળ ભટકતી હતી ત્યાં ઉજ્જડ ટીબાની જગા પર ભક્તિની ભાગીરથી પ્રગટી.

મનને આઘ્યાત્મિક રંગે રંગતા શંખ ઘ્વનિ સંભળાવા લાગ્યા. ભોજા ભગત અહીં આશ્રમમાં રહીને અજપા જાપજપવા લાગ્યા. લોકો તેમના દર્શન કરવા ને ઉપદેશ સાંભળવા આવવા લાગ્યા. અનેક મનુષ્યો એમના શિષ્ય બન્યા. અમરેલી પાસે વસેલું ફતેપુર ગામ ભોજા ભગતના સંગમાં વૈકુંઠધામ બની રહ્યું.

ભોજા ભગતના જીવન જોડે જોડાઈ ગયેલી અનેક ચમત્કારિક વાતો પણ સાંભળવા મળે છે. શ્રી મનસુખલાલ સાવલિયા આવી એક ઘટના ઉલ્લેખે છે. ભોજાભગત આશ્રમમાં રહીને શિષ્ય મંડળને ઉપદેશ આપીને કહેતાઃ જાતરા એટલે જીવનું ત્રાણ કરે, જીવને જે તારે તે જાતરા. આપણે હંધાય તીર્થોમાં જાતરા નહીં પણ ભ્રમણ કરતા હોઈએ છીએ. ભ્રમણ તો ભ્રમ વધારે. મન પવિત્ર હોય, અંતરમાં વિવેકના દીવડાની વાટ્યું પ્રજ્વલિત થઇ હોય તો જાતરાની કોઈ જરૂર નથી.

શ્રીહરિ તો જાતરામાંથી નહીં પણ અંતર્યાત્રામાંથી મળે છે. દિલમાં દયાભાવ હોય તો કાશી- ગયાની જાતરાએ જાવાની કોઈ જરૂર નથી. એવામાં વૈશાખી પુનમની રાતે જાતરા કરવા નીકળેલા એક સંઘે આશ્રમમાં આવીને પડાવ નાખ્યો. દ્વારકાની જાતરા જુવારવા જતા આ સંઘમાં બાવાજી બાળકદાસ દંડવત્ પ્રણામ કરતા કરતા જાતરામાં જોડાયા હતા.

એ જોઇને ભોજાભગત વિચારવા લાગ્યા. અરેરે! આ તે તપનું કેવું અભિમાન ! ભક્તોએ એમને જાતરામાં જોડાવા વિનંતિ કરી. ત્યારે એમણે એટલું જ કહ્યું‘ એકાસન માથે બેસીને ભજન કરનાર અમારા જેવા વૈરાગીને જાતરાના રંગમાં રંગાવું ન શોભે.’

ભોજા ભગતના આશીર્વાદ લઇને સંઘ દડમજલ કરતો અઠ્ઠાવન દિવસે દ્વારકા પહોંચ્યો. એ રાત્રે બાવાજી બાળકદાસને પાછલા પહોરે સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં કોઈ સંતનો અવાજ સંભળાયો ‘હરિદર્શન કે લિયે તુમ દ્વારકા મેં આયા લેકીન સ્વયં શ્રી હરિભોજા ભગત કો દર્શન દેને કે લિયે યહાં સે ફતેપુર ગયે હુએ હૈ’ બીજે દિવસે સંઘ જાતરા કરીને વળી નીકળ્યો. વળતા ફતેપુર આશ્રમે આવીને ભોજા ભગતને સ્વપ્નની વાત કરી.

ભોજા ભક્તે વિનમ્રભાવે કહ્યું ‘સ્વપ્નમાં તમને અલગારી સંતે વાત કરી હતી તે સાચી છે. દ્વારકાધીશ ભગવાનના દર્શન મને અહીં જ થયા હતા. તે દિ’રાતે એક હજાર સૂરજ ઊગે એવા અજવાળા ઓરડામાં પથરાઈ ગયા. હું આનંદની સમાધિમાં લીન થઇ ગયો. શ્યામ પ્રભુએ સ્વયં સ્વહસ્તે મારી ભૂજાઓ પર છાપ લગાડી દીધી. આ રહી જુઓ’ આટલું કહેતા ભોજા ભગતની જીભમાંથી દિવ્ય વાણી પ્રગટી:

પ્રથમ આવ્યા પત રાખવા, ગુરુ તણે જ્ઞાન;
ભોજો ભગત કહે ચાલી આવ્યા, છાપું દેવા શ્યામ.

ભોજા ભગતના શિષ્યમંડળમાં બે શિષ્યો મુખ્ય હતા. ‘જલા જગમેં ઝગમગે જિમિ ગગન મંડલમેં સૂર’ એવા ખ્યાતિ પ્રાપ્ત વીરપુર નિવાસી સંતવર્ય જલારામ અને બીજા ગારિયાધારના ભક્ત વાલમરામ. વાલમરામની ગુરુભક્તિ અપાર હતી. તેમને સ્વપ્નમાં ગુરુદર્શન થયેલું અને ભોજા ભગતને જોતાં પૂર્વજન્મના સંસ્કાર જાગી ઉઠ્યા. ભોજા ભગતને ગુરુપદે સ્થાપી એમની પાસે પોતે દીક્ષા લીધી.

ચરણસેવાથી ગુરુને પ્રસન્ન કર્યા પછી એક વચન માગ્યું કે ગુરુદેવની જગ્યામાં કાયમ માટે ગારિયાધારની ધજા ચડે. આજે પણ ગુરુએ આપેલા વચન મુજબ ફતેપુર ભોજા ભગતની જગ્યામાં જન્માષ્ટમીના ઉત્સવ ટાણે વાલમરામબાપાની જગ્યામાંથી આવેલી ધજા ચડે છે. વીરપુર અને ગારિયાધાર આ બંને શિષ્યોની ધાર્મિક જગ્યાઓમાં માનવકલ્યાણની જ્યોત અહર્નિશ જલતી રહી છે. બંને સેવાના અમરધામ બન્યાં છે, જ્યાં અભ્યાગતને મીઠો આવકાર, ભૂખ્યાને ભોજન અને દુખિયાને દિલાસો મળે છે.

જલારામ મહારાજને ભોજા ભગત ઉપર અનન્ય શ્રઘ્ધા હતી. તેમણે પોતાની સેવાવૃત્તિ અને પ્રેમભક્તિથી ગુરુને પ્રસન્ન કરી એક વચન માગી લીઘું કે અંતવેળાએ શિષ્યને દર્શનનો લાભ આપવો. ભોજા ભગત તો યોગી હતા. યોગી પુરુષને દેહલીલા સંકેલી લેવાની ઇચ્છા થાય ત્યારે અમલમાં મૂક્તા હોય છે. પોતાના દેહાવસાનનો ખ્યાલ આવી જતાં ફતેપુરથી વિદાય લઇ અંતિમ દિવસોમાં આપેલું વચન પાળવા વીરપુર આવ્યા.

સ્વજનોને અને ભક્તોને કહ્યું ‘આ મારી અંતિમ વિદાય છે’ અને ‘છેલ્લી વેળાના રામ રામરે’ પદ પણ રચ્યું. વીરપુર આવ્યા પછી સમર્થ શિષ્ય જલારામના સાંનિઘ્યમાં મહાપ્રતાપી સંતરત્નનો દેહવિલય થયો. એ વર્ષ હતું ઇ.સ. ૧૮૫૦નું. વિદાયવેળાએ શિષ્યોને શીખ આપી ‘ભાઈઓ, બધા રંક ભાવે રહેજો. પ્રભુની ભક્તિ કરજો. અનંતના નામ અને ગુણોનું સ્મરણ કરજો. આટલું કરશો તો તમે તરશો ને બીજાને પણ તારશો.’

વીરપુરની ભાગોળે ભોજા ભગતનો અગ્નિસંસ્કાર કરાયો. ત્યાં સમાધિમંદિર બાંધવામાં આવ્યું છે. જલારામની જગ્યામાં રામમંદિર સામે ભોજા ભગતની ફૂલસમાધિનું મંદિર છે. ત્યાં એમનાં ફૂલ પધરાવાયાં હતાં. ફતેપુર ગામની જગ્યામાં ભજન કરવાના ઓરડામાં ભોજા ભગતના સ્મૃતિચિહ્નો, તેમણે ઉપયોગમાં લીધેલી તેમની પ્રસાદીની પાવન વસ્તુઓ ઢોલિયો, પાઘડી, માળા, સાદડી અને ચરણપાદુકા રાખવામાં આવ્યાં છે. ઢોલિયા પર બિરાજમાન ભોજા ભગતની તેજોમય મૂર્તિના દર્શન થાય છે.

મિત્રો પોસ્ટ અહીથી share કરી શકશો 👇 કોપી કરવાની મનાઇ છે.

🌻 અહીંથી વાંચો બાલમુકુંદ હવેલી ધરાઇ નો ઇતિહાસ

સંત શ્રી દેશળભગત

સંત મહાત્મા મૂળદાસ
મહાત્મા મૂળદાસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *