Skip to content

Mahabharat | વિરાટ યુદ્ધ – 1

Mahabharat | વિરાટ યુદ્ધ - 1
10013 Views

મિત્રો Mahabharat નાં વિરાટ પર્વમાં આવતા વિરાટ યુદ્ધ વિશે સંપુર્ણ કથા આપની સમક્ષ મુકી રહ્યા છીએ. જે ક્રમશઃ ભાગોમાં પ્રસિદ્ધ થશે. આજે વાંચો Mahabharat વિરાટ યુદ્ધ ભાગ-1, mahabharat gujarati book pdf, read online mahabharata book, virat yudhdh mahabharat

Mahabharat Katha


દુર્યોધન ની બુદ્ધિ

પૂર્વભૂમિકા : પાંડવો ચોપાટની રમતમાં હાર્યા પછી બાર વર્ષનો વનવાસ અને એક વર્ષનો અજ્ઞાતવાસ સ્વીકારે છે. અને શરત મુજબ આ અજ્ઞાતવાસનાં સમય દરમિયાન જો તેઓ ઓળખાય જાય તો ફરીથી તેમને બાર વર્ષનો વનવાસ અને એક વર્ષનો અજ્ઞાતવાસ ભોગવવો. અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો વિરાટનગરમાં જુદાજુદા વેશે આશરો લે છે. અને એ દરમિયાન ભીમ કિચકનો વધ કરે છે. આ સમાચાર કૌરવો સુધી પહોચતા તેમને શંકા જાય છે કે પાંડવો વિરાટનગરમાં જ હશે. અને તેથી જ દુર્યોધન તેમને શોધી કાઢવા પ્રયત્નો આદરે છે. હવે વાંચો આગળ….

👉 દુર્યોધન ના મોકલેલા ગુપ્તચરો પાંડવો ની શોધ કર્યા વગર પાછા આવે છે.
ગુપ્તચરો કુરુસભા માં જણાવે છે કે

👉 ” મહારાજ, અમે પાંડવો ને શોધવા વિશાળ વનો માં ફર્યા ત્યાં પાંડવો ના પદચિન્હો શોધવાના અનેક પ્રયત્નો કર્યા, અમે ઉચા ઉંચા પર્વતો ના શિખરો સુધી યાત્રા કરી, અલગ અલગ દેશોમાં ગયા, ત્યાં ના લોકો વચ્ચે રહ્યા. ગામો માં, બજારોમાં, દરેક દિશામાં અમે પાંડવો ને શોધવાનો પ્રયત્ન કર્યો પણ અમે ન જાણી શક્યા કે આખરે તે પાંડવો ક્યાં ગયા.
આટલા શોધવા છતાં ન મળ્યા તેથી અમને લાગે છે કે પાંડવો નષ્ટ થઈ ગયા છે”

👉 દુર્યોધન ધ્યાન થી ગુપ્તચર ની વાત સાંભળતો રહ્યો
ગુપ્તચરે આગળ કહ્યું

👉 ” મહારાજ, અમુક સમય સુધી તો અમે પાંડવો ના સારથિઓ પર પણ નજર રાખી છતાં પાંડવો વીશે કાંઈ જાણવા ન મળ્યું.”
“એક વાત જાણવા મળી છે કે યુધિષ્ઠિર ના સારથિ ઈન્દ્રસેન, ભીમ ના સારથિ વિશોક અને અર્જુન ના સારથિ પુરુ પાંડવો વગર જ દ્વારકા ગયા છે. દ્રૌપદી પણ ત્યાં દ્વારકામાં નથી.”

👉 “અમે આપણા માટે હજુ એક સમાચાર લાવ્યા છીએ જે તમને અતિપ્રિય લાગશે.”

“જે મત્સયરાજ ના સેનાપતિ મહાબલી કીચકે વિશાળ સેના દ્વારા ત્રિગર્ત દેશ પર આક્રમણ કરીને ત્રિગર્ત દેશ ને તહસ નહસ કરી નાખ્યો હતો એ કીચક અને તેના ભાઈઓ નો ગંધર્વો એ રાત્રે વધ કરી નાખ્યો. એક સ્ત્રીના કારણે ગંધર્વો એ કીચક ને નિર્દયતા થી મારી નાખ્યો.”

👉 ગુપ્તચરે આટલા સમાચાર આપ્યા અને પ્રણામ કરીને સભા થી બહાર ચાલ્યો ગયો.

👉 સમાચાર સાંભળી ને દુર્યોધન મન માં જ કાંઈક વિચારવા લાગ્યો અને થોડીવાર પછી બોલ્યો કે
” હું આ સભામાં ઉપસ્થિત સભાસદો નો મત જાણવા માગું છું કે તમે શું વિચારો છો”

“અજ્ઞાતવાસ ને થોડી અવધિ જ બાકી છે અને પાંડવો અજ્ઞાતવાસ પૂર્ણ કરી લેશે તો વચન માંથી મુક્ત થઈ જશે અને હસ્તિનાપુર માટે સંકટ બની શકે છે”

👉 દુર્યોધન ની વાત પૂર્ણ થતાં જ સભાસદો એ પોતાના મત રજુ કર્યા
સૌથી પહેલાં અંગરાજ કર્ણે કહ્યું.

” તમારે અતિશીધ્ર બીજા કુશળ અને ધુર્ત ગુપ્તચરોને અલગ અંલગ દેશોમાં જનતા વચ્ચે, મુનિઓના આશ્રમોમાં અને તીર્થસ્થાનો માં મોકલવા જોઈએ, એમને તાલીમો આપવી જોઈએ જેથી તેઓ પોતાનુ કાર્ય કુશળતા થી કરી શકે. પાંડવો નષ્ટ થઈ ગયા હોય એવું હું નથી માનતો. પાંડવો અવશ્ય કોઈ ગુપ્ત સ્થાને નિવાસ કરે છે.
તેથી તમારે અતિશીઘ્ર તીર્થો, પર્વતો, ગુફાઓ વગેરે જ્યાં પાંડવો જઈ શકે તેવી જગ્યાએ ગુપ્તચર મોકલી ને શોધવા જોઈએ”

👉 કર્ણ ની વાત પૂર્ણ થતાં જ દુઃશાસન બોલ્યો કે

” અંગરાજ કર્ણ ઠીક કહે છે, આપણે જેવા ગુપ્તચરો પર વધુ વિશ્વાસ હોય તેવા ગુપ્તચરો ને ધન, રથ આપી ને પુનઃ પાંડવો ની શોધમાં મોકલવા જોઈએ. એવું પણ બની શકે કે પાંડવો ને કોઈ વિશાળ અજગર ગળી ગયું હોય”

👉 આચાર્ય દ્રોણ બોલ્યા.

” પાંડવો અત્યંત શૂરવીર, બુદ્ધિમાન, ધર્મ નું પાલન કરનાર, દરેક વિદ્યા માં નિપુણ તથા મોટા ભાઈ ની આજ્ઞા માનનારા છે‌. આવા પુરુષો ના તો નષ્ટ થઈ શકે કે ના કોઈ તેમનો તિરસ્કાર કરી શકે.”

“યુધિષ્ઠિર તો ધર્મ ના દરેક તત્વ ને જાણે છે તેથી હું તો મારી બુદ્ધિ થી એ જ જોઈ શકું છું કે પાંડવો અનુકૂળ સમય ની પ્રતીક્ષા કરી રહ્યા છે.”

“પાંડવો દરેક રીતે નીપુણ છે તેથી તેઓને શોધવા મુશ્કેલ છે અને કોઈ પાંડવો ને જોઈ જશે તો પણ તેમને ઓળખવા અસંભવ છે. તેથી આ સમયે આપણે જે પ્રયત્ન કરવો હોય તે સમજી વિચારીને કરવો જોઈએ.”

👉 પિતામહ ભીષ્મે કહ્યું

” આચાર્ય દ્રોણ જે કહે છે તે ઉચિત કહે છે. પાંડવો સર્વગુણસંપન્ન છે. હંમેશા કઠોર વ્રત પાલન માટે તત્પર રહે છે. અજ્ઞાતવાસ ની અવધિ અને તે વ્રત ને જાણવાવારા બુદ્ધિશાળી પુરુષો છે અને શ્રીકૃષ્ણ ની યુક્તિઓ નું અનુસરણ કરવા વાળા છે.
તેથી મારો પણ એ જ મત છે કે પાંડવો નષ્ટ ન થઈ શકે.”

👉 આગળ પિતામહ કહે છે કે
“પાંડવો ના વિષય માં હું જે કહું છું તે વાત ધ્યાન થી સાંભળો”

“યુધિષ્ઠિર ના નિવાસ સ્થાન બાબતે મારો મત દરેક થી ભિન્ન છે. મારું માનવું છે કે યુધિષ્ઠિર જ્યાં રહેતા હશે ત્યાંના રાજા નું આ વર્ષે કાંઈ અમંગળ નહીં થયું હોય. તે સંપન્ન રાજ્ય હશે જ્યાં વરસાદ પણ જરુરી માત્રામાં જ થતો હશે. ત્યાં ધર્મ અને ભગવાન ના સ્વરૂપ ઉપર પાખંડ નહીં થતો હોય.”
“આમ, જે રાજ્યમાં આવા લક્ષણો જણાય ત્યાં અવશ્ય યુધિષ્ઠિર નું નિવાસ સ્થાન હશે.”

👉 કૃપાચાર્ય બોલ્યા.

” જેણે સમ્રાટ બનવાની ઈચ્છા હોય તેણે સામાન્ય શત્રુ ની પણ અવહેલના ન કરવી જોઈએ તો જે સંપૂર્ણ અસ્ત્ર શસ્ત્ર ના જ્ઞાતા, બુદ્ધિશાળી, વીર છે એવા પાંડવ ની તો અવહેલના ન જ કરવી જોઈએ.
અજ્ઞાતવાસ પછી પાંડવ પૂર્ણ ઉત્સાહ થી પ્રગટ થશે તેથી આ સમયે તમારે નીતિ, ધન, સેના એવી બનાવી રાખવી જોઈએ જેથી સમય આવે ત્યારે બળવાન પાંડવો સાથે ઉચિત સંધિ કરી શકાય.”

“આ સમયે તમારે જાણી લેવું જોઈએ કે તમારી પાસે કેટલી શક્તિ છે, તમારા મિત્રો અને સહયોગીઓ પાસે કેટલી શક્તિ છે, તમારી સેના પ્રસન્ન છે કે અપ્રસન્ન છે‌.
સંપૂર્ણ શક્તિ નું આંકલન કર્યા પછી જ યુદ્ધ ની તૈયારી કરવી જોઈએ. પછી શક્તિશાળી પાંડવ હોય તો પણ તમે સંધિ અથવા યુદ્ધ કરી શકો છો.”

👉 દુર્યોધને દરેક ની વાત ધ્યાન થી સાંભળી પછી વિચાર કરી ને કહ્યું.

” મેં વિદ્વાનો થી એવી વાતો સાંભળી છે કે આ સમયે માનવ, દૈત્યો અને રાક્ષસો માં ચાર જ મહાબલી આ ધરતી પર છે જે આત્મબલ અને બાહુબળ માં ઈન્દ્ર સમાન હોય.
તેમના નામ છે બલરામજી, ભીમસેન, મદ્રરાજ શલ્ય અને કીચક.આ ચાર સમાન કોઈ બાહુબળ સંપન્ન વીર મારા ધ્યાનમાં નથી.”

“ગુપ્તચરો અને તમારા સૌ ની વાતો ને જાણીને મને ભીમસેન ની ઉપસ્થિતિ નો આભાસ થાય છે‌.
તે પણ સ્પષ્ટ છે કે પાંડવો જીવિત છે. મને લાગે છે કે વિરાટનગર માં કીચક નો વધ ભીમસેને કર્યો છે.”

“ગુપ્તચર અનુસાર જે નારી ના કારણે કીચક નો વધ થાય તે નારી દ્રુપદ કુમારી કૃષ્ણા હોય એવું પ્રતીત થાય છે.
મને સંદેહ છે કે ભીમસેને જ રાત્રી ના સમયે ગંધર્વો નું નામ ધારણ કરીને કીચક ને તેના ભાઈઓ સહિત મારી નાંખ્યો.
ભીમસેન સિવાય કોણ એટલા બાહુબળ થી સંપન્ન છે જે કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર વગર મહાબલી કીચક નો વધ કરી શકે.”

“પિતામહ ભીષ્મે યુધિષ્ઠિર ના નિવાસ સ્થાન ના સંદર્ભમાં જે લક્ષણો કહ્યા છે તે લક્ષણો પણ દુતો ના કહ્યા અનુસાર વિરાટ નગરમાં જોઈ શકું છું.
તેથી મારુ માનવુ છે કે પાંડવ વિરાટ નગર માં વેશ બદલી ને નિવાસ કરી રહ્યા છે. આપણે સંપૂર્ણ શક્તિ થી વિરાટનગર પર આક્રમણ કરવું જોઈએ.”

“આક્રમણ કરવાથી આપણે બે માંથી એક લાભ જરૂર થશે. પાંડવો નગર માં હશે તો રાજા ની રક્ષા કરવા જરૂર આવશે અને નગર માં નહીં હોય તો આપણે વિરાટ ના વિશાળ ગૌધણ પર અધિકાર કરીને પાછા આવતા રહેશું.
આમ પણ રાજા વિરાટ મારા માટે તિરસ્કાર નો ભાવ રાખે છે.”

👉 આ રીતે દુર્યોધને પોતાની બુદ્ધિ થી અનુમાન લગાવ્યું કે પાંડવો વિરાટનગર માં છે.


કૌરવૌ ની રણનીતિ અને સુશર્મા ની ચડાઈ

👉 દુર્યોધને અનુમાન લગાવ્યું કે કીચક વધ ભીમસેને જ કર્યો‌ છે.
સંભવતઃ પાંડવો વિરાટનગર માં છે.

👉 દુર્યોધને ત્રિગર્તરાજ સુશર્મા ને બોલાવ્યા અને વિરાટનગર પર ચડાઈ કરવા માટે આ પ્રમાણે રણનીતિ બનાવી.

👉 સુશર્મા – “મત્સ્યદેશ ના સૈનિકો એ અનેક વખત ત્રિગર્ત દેશ પર આક્રમણ કરીને અમને કષ્ટ આપ્યું છે. પરાક્રમી, ક્રુર, ક્રોધી કીચક તેમનો સેનાપતિ હતો.”

“તમારા ગુપ્તચરો અનુસાર કીચક નો વધ થઈ ગયો. રાજા વિરાટ નું સાહસ તુટી ગયું હશે.
આ અવસર નો લાભ લઇ ને કૌરવો તથા ત્રિગર્તો એ વિરાટનગર પર આક્રમણ કરવુ જોઈએ.
મેં સાંભળ્યું છે કે મત્સ્ય દેશ અત્યંત વૈભવશાળી છે. તેમના પાસે વિશાળ ગૌધણ છે.
આપણે વિરાટ પર આક્રમણ કરીને તેનું ધન અને ગાયો પર અધિકાર કરી લઈશું.”

“એના સેનાપતિ ના મૃત્યુ પછી નિર્બળ થયેલી સેના પર અધિકાર કરીને આપણી શક્તિ માં વધારો કરશું.”

👉 દુર્યોધન – ” સુશર્મા ઠીક કહે છે, સેનાને તૈયાર કરી ને તેણે ઘણી ટુકડીઓ માં વહેંચી ને આપણે કુચ કરવી જોઈએ.”

👉 સુશર્મા – ” આપણે યોગ્ય રણનીતિ બનાવી ને રાજા વિરાટ ને વશ માં કરવા જોઈએ.”

“પાંડવો આ સમયે ધન,બળ, પરાક્રમ વિહિન છે. પાંડવો થી આપણ ને શું મતલબ, તે છુપાયા હોય કે યમલોક ગયા હોય તેમની ચિંતા કર્યા વગર આપણે વિરાટ પર આક્રમણ કરીને રાજા વિરાટ ને આપણા આધિન કરી લેવા જોઈએ.”

👉 દુર્યોધને કર્ણ તરફ જોયું અને દુઃશાસન ને આદેશ આપ્યો કે
“આ સભામાં ઉપસ્થિત વૃદ્ધો ની આજ્ઞા લઈને તરત કૌરવ સેના ને તૈયાર કરો.”

“વીર સુશર્મા તમે તમારી સેના ને નિશ્ચિત દિશામાં લઈ ને જાવ અને સંપૂર્ણ શક્તિ થી મત્સ્ય દેશ પર આક્રમણ કરો.
તમે ગોવાળો ને વશ કરીને ગાયો ને આધિન કરો.
એક દિવસ પછી અમે સંપૂર્ણ શક્તિ થી મત્સ્ય દેશ પર આક્રમણ કરી નાખીશું.
આ પ્રમાણે આપણે બે ભાગ માં વહેંચાય ને તેમની લાખો ગાયો નું હરણ કરી લઈશુ.”

👉 કૃષ્ણ પક્ષની સપ્તમીના અગ્નિવેધ(એક ગામ) તરફ થી સુશર્મા એ વિશાળ સેના સાથે મત્સ્ય દેશ પર આક્રમણ કરી નાખ્યું.

👉 ત્રિગર્તો ગૌધણ પર અધિકાર કરવા લાગ્યા ત્યારે મત્સ્ય દેશ ના ગોવાળો લડવા લાગ્યાં.
પણ ત્રિગર્તો પાસે વિશાળ હતી તેથી તેમણે ગોવાળો ને મારી નાખ્યાં.
એ ગોવાળો માંથી એક ગોવાળ ભાગી ને રાજા વિરાટ ની સભામાં આવ્યો અને કહ્યું

👉 ગોવાળ – “મહારાજ, ત્રિગર્તો આપણા ગોવાળો નો વધ કરીને આપણા ગૌધણ ને હાંકી રહ્યા છે.
તે ગૌધણ ની ત્રિગર્તો થી રક્ષા કરો.

👉 આ સાંભળી ને રાજા વિરાટે સંપૂર્ણ સેના ને એકત્રિત થવા નો આદેશ આપ્યો.

👉 થોડા સમય માં સેના એકત્રિત થઈ ને રાજા ના આદેશ ની પ્રતીક્ષા કરવા લાગી.

👉 રાજા વિરાટે પોતાના ભાઈ શતાનિક ને સેનાપતિ નિયુક્ત કર્યો. શતાનિક ની સાથે તેનો એક ભાઈ મદિરાક્ષ પણ હતો જે શૂરવીર હતો તથા રાજા વિરાટ નો પુત્ર શ્વેત પણ કવચ ધારણ કરીને યુદ્ધ માટે તૈયાર થયો.

👉 મત્સ્ય દેશ ની સેના કવચ ધારણ કરીને આગળ વધી રહી હતી તે સમયે કંક અર્થાત્ યુધિષ્ઠિરે રાજા વિરાટ ને કહ્યું.

👉 કંક – ” મહારાજ, મેં પણ શ્રેષ્ઠ ગુરુ પાસે થી ધનુર્વિદ્યા શીખી છે. આ બલ્લવ(ભીમસેન) નામનો રસોઈયો પણ બળવાન દેખાય છે. ગૌશાળા અધ્યક્ષ તંતિપાલ(સહદેવ) અને ગ્રંથિક(નકુલ) પણ અસ્ત્રો શસ્ત્રો ચલાવવામાં નિપુણ છે.

👉 રાજા વિરાટે શતાનિક ને કહ્યું

“મને કંક, બલ્લવ, તન્તિપાલ અને ગ્રંથિક યુદ્ધ માં નિપુણ અને બળવાન લાગે છે. તેમની ભુજાઓ ક્ષત્રિય યોદ્ધા ઓ જેવી છે. તેઓ યુદ્ધ ન કરતા હોય એવું સંભવ નથી. તેથી તે ચારેય ને રથ આપી ને આપણે યુદ્ધ માટે આગળ વધવું જોઈએ.”

👉 રાજા વિરાટ ની વાત સાંભળી ને પાંડવો પ્રસન્ન થયા અને કવચ ધારણ કરી ને રથ પર સવાર થયા.

👉 રાજા વિરાટ ની વિશાળ સેના યુદ્ધ કરવા આગળ વધે છે. તે સેના માં 8000 રથ, 1000 હાથી, 60000 ઘોડેસવાર હતાં.

👉 આ વિશાળ સેના તીવ્ર ગતિ થી આગળ વધી અને સુર્યાસ્ત પહેલા ત્રિગર્તો ની સેના હતી ત્યાં પહોંચી ગઈ.

👉 બંને બાજુથી ઘોર શંખનાદ થયા અને બંને સેના એકબીજા પર તુટી પડી.

Mahabharat | વિરાટ યુદ્ધ
Mahabharat | વિરાટ યુદ્ધ

👉 એક બાજુ સુર્યનારાયણ પશ્ચિમ બાજુ નમી રહ્યા હતા. બીજી બાજુ બંને સેનાઓ ભયંકર મારકાપ કરી રહી હતી.

👉 બંને બાજુ ની ભયંકર બાણ વર્ષા થી રણભૂમિ માં અંધકાર છવાઈ ગયો.
રથી રથીથી, ઘોડેસવાર ઘોડેસવાર થી અને હાથીસવાર હાથીસવાર થી યુદ્ધ કરવા લાગ્યા.

👉 ચારેય પાંડવ ભાઈઓ એક બાજ પક્ષી ના આકાર નું નાનું વ્યુહ બનાવી ને આગળ વધ્યા.
તે વ્યુહ માં ચાંચ ના સ્થાને યુધિષ્ઠિર, બંને પાંખો ના સ્થાને નકુલ-સહદેવ અને પૂંછ ના સ્થાને ભીમસેન હતાં.

👉 યુધિષ્ઠિરે એક હજાર સૈનિકો, ભીમસેને અત્યંત ક્રોધિત થઈ ને બે હજાર રથીઓ નો વધ કરી નાખ્યો.
નકુલે ત્રણસો અને સહદેવે ચાર સો સૈનિકો ને યમલોક મોકલી દીધા.

👉 સેનાપતિ શતાનિકે 100 અને મદિરાક્ષે 400 સૈનિકો નો વધ કરી ને ત્રિગર્તો ની સેના માં ઘુસી ને ભયંકર મારકાપ કરવા લાગ્યા. તેઓ પાયદય સૈનિકો ને મારીને ત્રિગર્તો ની રથસેના પર આક્રમણ કર્યું.
લડતા લડતા તે બંને ભાઈઓ ત્રિગર્ત સેના ની ઘણા અંદર સુધી ઘુસી ગયા.

👉 રાજા વિરાટે પોતાનું પરાક્રમ બતાવતા 500 રથી યોદ્ધા અને 5 મહારથી ને યમલોક મોકલ્યા અને સુશર્મા પર આક્રમણ કર્યું.

👉 રાજા વિરાટ અને સુશર્મા વચ્ચે ભયંકર યુદ્ધ શરુ થયું.
બંને એકબીજા પર નિરંતર બાણ વર્ષા કરવા લાગ્યાં.

👉 રાજા વિરાટે સુશર્મા ને તથા તેના અશ્વો ને ઘાયલ કરી નાખ્યાં.
જવાબ‌ માં સુશર્મા એ રાજા વિરાટ ને ઘાયલ કરી નાખ્યાં.

👉 અચાનક યુદ્ધ માં ભાગદોડ થઈ ગઇ.
આ અવસર નો લાભ લઇ ને સુશર્મા એ રથીઓ ના એક નાના સમૂહ અને પોતાના ભાઈ સાથે રાજા વિરાટ પર આક્રમણ કરી નાખ્યું.

👉 બંને ભાઈઓ એ વેગપૂર્વક આક્રમણ કરીને રાજા વિરાટ ની સૈન્ય ટુકડી ને છિન્નભિન્ન કરી નાખી અને રાજા વિરાટ નો રથ ધ્વસ્ત કરીને રાજા ને જીવિત પકડી લીધા.

👉 વિરાટ યુદ્ધ ભાગ- ૨ વાંચવા માટે અહી ક્લીક કરો.👈

👉 વિરાટ યુદ્ધ ભાગ-૩ વાંચવા માટે અહી ક્લીક કરો. – MAHABHARAT KATHA IN GUJARATI

🙏હર હર મહાદેવ 🙏
🙏જય શ્રી કૃષ્ણ 🙏

  • મહેન્દ્ર સિંહ ગોહિલ
  • mahabharat story, મહાભારત, Mahabharat ki katha, Mahabharat read online.

આ પણ વાંચો 👉 ભીમસેને બકાસુરનો વધ કઇ રીતે કર્યો ?